- ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન ગુરુવારે રાજસ્થાન આવશે
- ફ્રાન્સના રાષ્ટ્રપતિ છઠ્ઠી વાર પ્રજાસત્તાક પર્વના મુખ્ય અતિથિ
- રાષ્ટ્રપતિ મેક્રોન અને પીએમ મોદીનો ભવ્ય રોડ શો યોજાશે
ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન ગુરુવારે રાજસ્થાનના જયપુરમાં આવશે. ત્યારબાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હીમાં મુલાકાત અર્થે જશે. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ રેલીમાં ભાગ લેશે ત્યાર બાદ બંને નેતાઓ વચ્ચે એક મિટીંગ યોજાશે. મેક્રોનની ભારત મુલાકાતે ભારતના પ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથિ તરીકે ફ્રાન્સની છઠ્ઠી સહભાગિતાને દર્શાવે છે. જે અન્ય કોઈપણ રાષ્ટ્ર કરતાં સૌથી વધુ વખત મુખ્ય અતિથિ રહ્યાં છે.
રાષ્ટ્રપતિ મેક્રોન બપોરે રાજસ્થાનની રાજધાની જયપુરમાં
ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોન બપોરે રાજસ્થાનની રાજધાની જયપુરમાં આવશે. ત્યારબાદ તેઓ અંબર કિલ્લા તરફ રવાના થશે. રાજસ્થાનના અંબર કિલ્લા ખાતે તેમનું ભવ્યાતિ ભવ્ય સાંસ્કૃતિક સ્વાગત થશે અને અંબર કિલ્લાના દિવાન-એ-ખાસ ખાતે સ્થાનિક કલાકૃતિઓના નાના પ્રદર્શનમાં ભાગ લેશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ અંબર કિલ્લાની મુલાકાત બાદ 26મી જાન્યુઆરીના કાર્યક્રમ માટે દિલ્હી જવા રવાના થશે. જ્યાં વડાપ્રધાન મોદી તેમનું સ્વાગત કરશે અને પ્રાચીન ભારતીય ખગોળશાસ્ત્રીય જ્ઞાન વિશે અવગત કરાવશે. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોનના રોડ શો માટે તૈયાર કરવામાં આવેલા ખાસ વાહનમાં સવાર થઈને રેલી કરશે.
UPI થી વ્યવહારો કરે તેવી શક્યતા
હવા મહેલમાં બંને નેતાઓ સ્થાનિક દુકાનો પર ખરીદી કરી શકે છે અને યુપીઆઈ દ્વારા વ્યવહારોની ચુકવણી કરી શકે તેવી સંભાવના છે. રેલી સમાપ્ત કર્યા પછી રાષ્ટ્રપતિ મેક્રોન રામબાગ પેલેસ તરફ પ્રસ્તાન કરશે, જ્યાં તેઓ વડાપ્રધાન મોદી સાથે રાત્રિભોજનમાં ભાગ લેશે. મેક્રોન “અંબર ફોર્ટની મુલાકાત લેશે અને કારીગરો, ઈન્ડો-ફ્રેન્ચ સાંસ્કૃતિક પ્રોજેક્ટ્સમાં હિસ્સેદારો તેમજ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. ત્યારબાદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે અને બંને નેતાઓ સાથે મળીને પિંક સિટીના કેટલાક સીમાચિહ્નોની મુલાકાત લેશે.
ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીની 25મી વર્ષગાંઠની ઉજવણી
મહત્વનું છે કે, ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિ હોવાથી દિલ્હી જતાં પહેલાં સીધા જ રાજસ્થાનના જયપુર એરપોર્ટ પર જશે. જ્યાં મેક્રોનની મુલાકાત ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીની 25મી વર્ષગાંઠની ઉજવણી કરશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિની મુલાકાત પહેલા, ગુલાબી શહેર જયપુરને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનના પોસ્ટરોથી શણગારવામાં આવ્યું છે. મેક્રોન પીએમ મોદીના આમંત્રણ પર 75માં ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ભારતની મુલાકાતે છે. આ પ્રસંગે, ફ્રેન્ચ સશસ્ત્ર દળોની ટુકડી ભારતીય સૈનિકો અને વિમાનચાલકોની સાથે પ્રજાસત્તાક દિવસની પરેડ અને ફ્લાયપાસ્ટમાં ભાગ લેશે.
પીએમ મોદીનું ફ્રાન્સમાં ચાર વખત સ્વાગત કર્યું
તેમના પ્રવાસ બાદ બંને નેતાઓ ઊંડાણપૂર્વક દ્વિપક્ષીય મંત્રણા કરશે બાદમાં 26 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે ગણતંત્ર દિવસની પરેડમાં હાજરી આપશે. તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં હોમ રિસેપ્શનમાં અને બાદમાં ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના આમંત્રણ પર ભોજન સમારંભમાં હાજરી આપશે. નોંધનીય છે કે, મેક્રોન અગાઉ માર્ચ 2018 માં ભારતની મુલાકાતે અને સપ્ટેમ્બર 2023 માં દિલ્હી G20 સમિટ માટે સત્તાવાર મુલાકાતે ભારતમાં આવ્યા હતાં. આ ઉપરાંત તેમણે પીએમ મોદીનું ફ્રાન્સમાં ચાર વખત સ્વાગત કર્યું છે.
પ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથિ તરીકે ફ્રાન્સની છઠ્ઠી સહભાગિતા
તેમની મુલાકાત દરમિયાન, મેક્રોનની સાથે અન્ય ડેલિગેટ્સ ઉપરાંત સ્ટીફન સેજોર્ન (યુરોપ અને વિદેશી બાબતો), સેબેસ્ટિયન લેકોર્નુ (સશસ્ત્ર દળો) અને રચિદા દાતી (સંસ્કૃતિ) નો સમાવેશ કરતું એક મંત્રી પ્રતિનિધિમંડળ પણ તેમની સાથે હશે. ફ્રેન્ચ મેજર, એસએમઈ અને મિડ-કેપ્સનું સી-લેવલ બિઝનેસ ડેલિગેશન અને ESA અવકાશયાત્રી થોમસ પેસ્કેટ સહિત અન્ય પ્રતિષ્ઠિત હસ્તીઓ પણ હાજર રહેશે. મેક્રોનની ભારત મુલાકાતે ભારતના પ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથિ તરીકે ફ્રાન્સની છઠ્ઠી સહભાગિતાને દર્શાવે છે. જે અન્ય કોઈપણ રાષ્ટ્ર કરતાં સૌથી વધુ વખત મુખ્ય અતિથિ રહ્યાં છે.


