- મુખ્ય નર્મદા કેનાલ પર કેબલ સ્ટેડ બ્રીજનું કામ અંતિમ ચરણમાં
- મોટેરા સ્ટેડિયમથી સે-1 સુધી મેટ્રોનો ટ્રાયલ શરૂ કરવાની જીએમઆરસીની જાહેરાત
- ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે માર્ચ-એપ્રિલમાં મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન શરૂ કરાશે
ગાંધીનગર – અમદાવાદ વચ્ચે આગામી માર્ચ – એપ્રિલ મહિનામાં મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન શરૂ કરવામાં આવશે. હાલમાં સુઘડ નર્મદા કેનાલ પર કેબલ સ્ટેડ બ્રીજનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી હવે તેના આખરી તબક્કામાં છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી સેક્ટર-1 સુધી મેટ્રોનું ટ્રાયલ શરૂ કરાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણી એપ્રિલમાં આવી રહી છે, ત્યારે મેટ્રો ટ્રેનના ટ્રાયલની જાહેરાત કરાઈ છે. પ્રજા સુધી પહોંચવા માટે આટલી જાહેરાત કાફી છે. કારણ જે રીતે મેટ્રોનું કામ શહેરમાં ચાલી રહ્યું છે તે બતાવે છે કે, હવે ટૂંક સમયાં મેટ્રો ટ્રેન ગાંધીનગરમાં પણ દોડતી નજરે ચડશે. વર્ષ 2024માં અમદાવાદ- ગાંધીનગર બંને શહેર વચ્ચે મેટ્રો ટ્રેન દોડતી જોવા મળશે તેવી વિગતો સામે આવી છે. છેલ્લા ઘણા સમયથી ગાંધીનગરના રહીશો મેટ્રો ટ્રેનની સુવિધાની રાહ જોઈ રહ્યા છે. કદાચ ખૂબ ઝડપથી મેટ્રો ટ્રેન બે શહેરને એકબીજા સાથે જોડશે. ગિફટ સિટી પાસે સાબરમતી નદી પર મેટ્રો બ્રીજનું કામ પ્રગતિમાં છે. આ કામ ઝડપથી પુરું કરાશે તેવું ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા આજરોજ જણાવવામાં આવ્યું છે. અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રોજેક્ટની મુલાકાત લેવામાં આવી હતી. મુખ્યમંત્રીએ ખૂદ કામનું નિરીક્ષણ કર્યું હતું. અને એ સમયે માર્ચ મહિનામાં ટ્રાયલ શરૂ કરવાનો ટાર્ગેટ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલ ફેઝ-2નું કામ તેના અંતિમ તબક્કામાં છે. હાલમાં ગિફ્ટ સિટી પાસે સાબરમતી નદી પર મેટ્રો બ્રીજનું કામ ચાલી રહ્યું છે. મુખ્ય કેનાલ પર એક્સ્ટ્રા ડોઝડ કેબલ સ્ટેડ બ્રીજ બનાવાય રહ્યો છે. આ બ્રીજમાં 145 મીટર લંબાઈનું સેન્ટ્રલ સ્પાન તથા 79 મીટર લંબાઈના બે અંતિમ સ્પાનમાં 105 સેગમેન્ટ પૈકી 100 સેગમેન્ટ લોન્ચ થયેલા છે. તથા 28.1 મીટર ઉંચાઈના બે પાયલોનની કામગીરી હાલમાં પુર્ણ થયુ હોવાનું મેટ્રો લેર કોર્પોરેશનના અધિકારીઓએ વિગતો આપતાં જણાવ્યું હતું. આ બ્રીજની કામગીરી ટૂંક સમયમાં પુર્ણ થશે. ત્યારબાદ તેના પર ટ્રેક તથા થર્ડ રેલ વગેરેની કામગીરી ચાલુ કરાશે.
ફેઝ-2માં મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-1 અને ગિફ્ટ સિટીના 20 કીમીનું કામ પુર ઝડપે ચાલી રહ્યું છે. બ્રીજનુ કામ પુર્ણ થવા સાથે જ માર્ચ કે એપ્રિલ મહિનામાં અમદવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન દોડતી જોવા મળે તો નવાઈ નહિ. કારણકે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદી તથા નર્મદા કેનાલ પર બ્રીજ બનાવવાનું કામ ઝડપી બનાવ્યું છે. આ રીતે જોતાં અમદાવાદ અને ગાંધીનગરને મેટ્રો કનેક્ટિવીટી મળવાની હવે બહુ વાર નથી. થોડા મહિનામાં જ મેટ્રો ગાંધીનગર સુધી પહોંચી જશે તેવું દેખાય રહ્યું છે. મેટ્રો ટ્રાન્સપોર્ટેશનની સુવિધાનું સપનું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વચન પુરું થતું દેખાય રહ્યું છે. આમ તો મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા ફેઝમાં અમદાવાદ મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનું આયોજન છે.
કેન્દ્ર સરકાની કેબિનેટ દ્વારા મેટ્રો ફેઝ-2 પ્રોજેક્ટને 19 ફેબ્રુઆરી 2019માં મંજુરી આપી હતી.જેમાં કુલ 28.254 કિમીની લંબાઈમાં બે કોરિડોર બનાવાશે. અંદાજે 5384.17 કરોડનો અંદાજિત પ્રોજેક્ટ છે. વડાપ્રધાનના હસ્તે 4થી માર્ચ 2019માં શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ફેઝ-2માં પાંચ કિમી સૂચિત લાઈનથી કોટેશ્વર રોડને સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ સાથે જોડવા સૂચન કરવામાં આવ્યું છે. અમદાવાદ – ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન પ્રોજેક્ટમાં 20 જેટલા સ્ટેશન બનાવવામાં આવશે. જેમાં કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, જૂના કોબા, કોબા ગામ, જીએનએલયુ, રાયસણ, રાંદેસણ, ધોળાકૂવા સર્કલ, ઈન્ફોસિટી, સેક્ટર-1, સે-10 એ, સચિવાલય, અક્ષરધામ, જુના સચિવાલય, સે-16, સે-24 અને મહાત્મામંદિરનો સમાવેશ થાય છે. મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ પ્રગતિ હેઠળ હોવાના કારણે ગાંધીનગરમાં અનેક રસ્તાઓ બંધ કરાયા છે, અને ટ્રાફિકને ડાયવર્ટ કરાયો છે.


