ટીપરવાન ખરીદી, સફાઈ કામદારોની હાજરીમાં ભયંકર ગેરરીતીના પણ રાજુ જૂંજાએ કર્યા આક્ષેપો
ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બન્યા બાદ રાજકોટ મહાનગરપાલિકાની ભ્રષ્ટ શાખાના ભ્રષ્ટ અધિકારીઓના ચિઠ્ઠાઓ ખુલી રહ્યા છે. લોકોમાં પણ એવું ચર્ચા છે કે મહાનગરપાલિકામાં નાણા વગર કંઈ કામ થતા નથી. ત્યારે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ડિરેક્ટર અને સામાજિક અગ્રણી રાજુ જૂંજાએ મહાનગરપાલિકાના વધુ એક કૌભાંડને ઉજાગર કર્યું છે. જેમાં રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં અગાઉ પ્રજાના ખર્ચે મુકવામાં આવેલી લાખોની કિંમતની કચરાપેટીઓ આજે રાજકોટની ભાગોળે સડી રહી છે અને તેની પાછળ મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેવી શંકા વ્યક્ત કરી છે. આ ઉપરાંત ટિપરવાન ખરીદી અને સફાઈ કામદારોની હાજરીમાં પણ ભયંકર ગેરરીતીઓના આક્ષેપો કર્યા છે.
રાજકોટ મ્યુ.કોર્પોરેશનમાં છેલ્લા સાત વર્ષથી ભુતકાળ બની ગયેલી કચરા પેટીઓ શહેરની ભાગોળે ફેકી દેવાતા સડી ગઇ છે. પ્રજાના પૈસામાંથી ખરીદ કરાયેલી લાખોની કિંમતની કચરાપેટીઓ કાટમાળ બની જતા પ્રજાના પૈસાનું પાણી થયુ છે. શહેરના ૧૮ વોર્ડમાં હજારોની સંખ્યામાં કચરાપેટીઓ મુકવામાં આવી હતી. જે એકાએક રદ કરી વોર્ડ દીઠ રપ થી ૩૦ ટીપરવાન ખરીદવામાં આવ્યા હતા. રદ કરાયેલી કચરાપેટીઓની સંખ્યા હજારોની હતી. જે રફેદફે કરી દેવામાં આવી છે. થોડી ધણી પેટીઓ શહેરની ભાગોળે કાલાવડ રોડ પર એક પ્લોટમાં સડી રહી છે. નવા આવેલા કમિશનર દ્રારા આ અંગે તપાસ કરવામાં આવે તો મસમોટુ કૌભાંડ બહાર આવે તેમ છે. કચરાપેટીઓની કિંમત ભલે પાસેરામાં પુણી જેવી હોય પરંતુ એના ઓઠા હેઠળ કરોડોનું કૌભાંડ બહાર આવે તેમ છે. એમ સામાજીક અગ્રણી અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ડિરેકટર રાજુ જુંજાએ જણાવ્યુ હતું.
TRP કાંડ બાદ ટીપીઓ મનસુખ સાગઠીયાએ આચરેલ કરોડોનો ભ્રષ્ટાચાર જગજાહેર થયેલ છે ત્યારે રાજકોટ મ્યુ.કમિશનર આ દિશામા તપાસ કરે તો ટીપરવાન ખરીદી અને સફાઈ કામદારોની હાજરીમા ભયંકર ગેરરીતિઓ બહાર આવે તેમ છે. આ ગેરરીતિઓમાં અધિકારીઓ ઉપરાંત પદાધિકારીઓની પણ સંડોવણી ખુલે તેમ છે એમ રાજુ જુંજાની એક યાદીમા જણાવાયુ છે.