- એપ્રિલથી મારિજુઆનાને લગતા નિયમો અમલમાં આવશે
- લોકો પોતાના ઘરે વધુમાં વધુ ત્રણ છોડ પણ રાખી શકશે
- દરરોજ 25 ગ્રામ સુધી ગાંજો મેળવવાની મંજૂરી મળશે
જર્મનીની સંસદે શુક્રવારે મારિજુઆનાના કબજા અને ખેતીને કાયદેસર બનાવવા માટે મતદાન કર્યું હતું. વિપક્ષ અને તબીબી સંગઠનોના જોરદાર વિરોધ છતાં તેને મંજૂરી આપવામાં આવી છે અને એપ્રિલથી તેને લગતા નિયમો અમલમાં આવશે. જાણો નવા નિયમોમાં જર્મનીમાં શું ફેરફાર થશે અને તેની શું અસર થઈ શકે છે.
માલ્ટાએ વર્ષ 2021માં અને લક્ઝમબર્ગે વર્ષ 2023માં આપી મંજૂરી
નવા કાયદાના અમલીકરણ સાથે જર્મની લક્ઝમબર્ગ અને માલ્ટા જેવા દેશો સાથે જોડાશે, જ્યાં ગાંજા અંગેના નિયમો સૌથી સરળ છે. માલ્ટાએ વર્ષ 2021માં અને લક્ઝમબર્ગે વર્ષ 2023માં મનોરંજનના ઉપયોગ માટે મારિજુઆનાને કાયદેસર રીતે માન્યતા આપી હતી. નેધરલેન્ડમાં આને લગતા નિયમો સરળ છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી પ્રવાસીઓ અને બિન-નાગરિકો પર કડકતા લાદવામાં આવી રહી છે.
જર્મનીમાં નવા નિયમો કેવા હશે?
નવા કાયદા હેઠળ વ્યક્તિને વ્યક્તિગત ઉપયોગ માટે નિયંત્રિત કેનાબીસ ખેતી સંગઠનો પાસેથી દરરોજ 25 ગ્રામ સુધી ગાંજો મેળવવાની મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત લોકો પોતાના ઘરે વધુમાં વધુ ત્રણ છોડ પણ રાખી શકશે. પરંતુ નવો કાયદો એ પણ જોગવાઈ કરે છે કે 18 વર્ષથી ઓછી ઉંમરના કોઈપણ માટે મારિજુઆના રાખવા અને તેનો ઉપયોગ કરવો ગેરકાયદેસર હશે.
કાળાબજારમાંથી ખરીદી
મળતી માહિતિ અનુસાર જર્મનીમાં ગાંજાના ધૂમ્રપાન કરનારા યુવાનોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. તે કાયદેસર ન હોવાથી તેઓએ કાળાબજારમાંથી ગાંજો ખરીદવો પડે છે. કાળા બજારમાં ખરીદેલા ગાંજામાં ઘણીવાર રેતી, હેર સ્પ્રે, ટેલ્કમ પાઉડર, મસાલા અને કાચ અને સીસાનું મિશ્રણ કરવામાં આવે છે, જે તમામ આરોગ્ય માટે અત્યંત હાનિકારક છે.
વિપક્ષ શા માટે કરી રહ્યો છે વિરોધ?
વિપક્ષનું કહેવું છે કે નવા કાયદાથી યુવાનોના સ્વાસ્થ્ય પર જોખમ જ વધશે. વિપક્ષી નેતાઓએ આરોપ લગાવ્યો છે કે ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝની ગઠબંધન સરકાર દેશ માટે નહીં પણ પોતાની વિચારધારા માટે નવી નીતિ લાવી રહી છે. સ્વાસ્થ્ય સંગઠનો અને મેડિકલ એસોસિએશને ગાંજાને કાયદેસર બનાવતા આ કાયદાની આકરી ટીકા કરી છે.
જર્મનીના લોકો શું કહે છે?
નવા કાયદા હેઠળ જુલાઈથી જર્મનીમાં કેનાબીસ સોશિયલ ક્લબ્સ ખુલશે. અત્યાર સુધી જર્મનીમાં ગાંજાનું ધૂમ્રપાન કરવાની પરવાનગી ફક્ત તે જ લોકોને આપવામાં આવે છે, જેઓ કોઈ તબીબી સમસ્યાથી પીડિત હોય. તેનો અંગત ઉપયોગ પ્રતિબંધિત હતો. એક સર્વે મુજબ દેશના 47 ટકા લોકો આ કાયદાના સમર્થનમાં છે, જ્યારે 42 ટકા લોકોએ તેનો વિરોધ વ્યક્ત કર્યો છે.


