ગીરગઢડાના નવા ઉગલા ગામના યુવાનનો સાસરીયા-વકીલના ત્રાસથી કંટાળી આપઘાત
ભરણપોષણનો કેસ કરી બે લાખ માંગી હેરાન કરતા હોવાનો આક્ષેપ : સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ : દવા પી જીંદગી ટૂંકાવી : પરિવારમાં અરેરાટી
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
ગીર ગઢડા તાલુકાના નવા ઉગલા ગામમાં રહેતા યુવકે પત્ની અને સાસરિયાંના ત્રાસથી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. યુવકે મરતાં પહેલાં એક વીડિયો બનાવીને સાસરિયાં પર આક્ષેપ કર્યા છે. આ અંગે મૃતકના પિતાએ પણ પુત્રના મોતનું કારણ તેનાં સાસરિયાં હોવાનું જણાવ્યું છે. આ અંગે હાલ પોલીસે એ.ડી. નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ ગીર ગઢડા તાલુકાના નવા ઉગલા ગામમાં રહેતા ધનાભાઈ સોંદરવા મોટા પુત્ર ગોપાલના પહેલા લગ્ન ગીર ગઢડા તાલુકાના એક ગામે થયા હતા, જોકે પ્રથમ પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા બાદ ગોપાલના બીજા લગ્ન 11 મહિના પહેલાં વિસાવદર તાલુકાના વેકરિયા ગામે રૂપલ નામની યુવતી સાથે થયા હતા.
લગ્ન બાદ થોડા સમયમાં જ પતિ-પત્ની વચ્ચે અણબનાવ થતાં રૂપલ તેનાં માતા-પિતાના ઘરે વેકરિયા મુકામે રહેવા ચાલી ગઈ હતી અને પતિ ગોપાલ પર કોર્ટમાં ભરણપોષણનો કેસ કર્યો હતો. એ મામલે ગોપાલને વારંવાર માનસિક હેરાન કરવામાં આવતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સતત માનસિક પરેશાન કરવામાં આવતાં કંટાળી ગયેલા ગોપાલે રડતાં રડતાં સોશિયલ મીડિયામાં એક વીડિયો બનાવી પોસ્ટ કર્યો હતો.
વીડિયોમાં ગોપાલ કહે છે કે મારાં મા-બાપ, બહેન, ભાઈ… મારથી ભૂલ થઈ હોય તો માફ કરી દેજો, હવે હું આત્મહત્યા કરવા જાઉં છું. આ આત્મહત્યાનું કારણ મારા સસરા, મારી પત્ની, મારો સાળો તેમજ મારો વકીલ છે. છૂટાછેડા કરવાના અત્યારે આ લોકો 2 લાખ રૂપિયા માગે છે, પણ મારી પાસે અત્યારે એકપણ રૂપિયો નથી. હું બધાથી અલગ રહું છું, અત્યારે મારી પર અત્યાચાર કરે છે અને મારી આત્મહત્યા પાછળ આ લોકો જ જવાબદાર છે.
ગોપાલ વધુમાં જણાવે છે કે હું સરકારને વિનંતી કરું છું કે મને ન્યાય આપજો. મારી પત્ની બીજાને લઈને ભાગી ગઈ તોપણ મેં સાચવી અને અત્યારે મારી પર જેમ ફાવે એમ અત્યાચાર કરે છે. ઉપરથી 2 લાખ રૂપિયા માગે છે. મારી આત્મહત્યા કરવા પાછળનું કારણ મારી પત્ની રૂપલ, મારા સસરા મનસુખભાઈ ઉગાભાઈ પરમાર, મારો એડવોકેટ તેમજ રૂપલની ફઈ શોભા છે.
આટલા શબ્દો બોલીને ગોપાલે અનાજમાં નાખવાના ટીકડા ખાઈ લીધા હતા. એ બાદ તેના પિતા તુલસીશ્યામ મુકામે મજૂરીકામ કરવા ગયેલા હોઈ, તેમને ફોન કરી ગોપાલે માફી માગી હતી અન ટીકડા ખાઈ લીધા હોવાનું જણાવ્યું હતું. પુત્રએ ઝેરી ટીકડા ખાઈ લીધા હોવાની જાણ થતાં જ પિતા તાત્કાલિક ઘરે આવી પહોંચ્યા હતા અને રાત્રિના ઉના સરકારી દવાખાને લાવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે ગોપાલને મૃત જાહેર કર્યો હતો.
આ અંગેની જાણ ગીર ગઢડા પોલીસને જાણ કરાતાં પોલીસ હોસ્પિટલે આવી પહોંચી હતી, જ્યાં ગોપાલના પિતાનું નિવેદન નોંધ્યું હતું અને ગીર ગઢડા પોલીસે મૃતકના પિતાને જણાવ્યું કે તમે ગોપાલના ક્રિયાકર્મનું કામ પૂર્ણ કરી પોલીસ સ્ટેશન પર આવજો, પછી ફરિયાદ નોંધીશું. હાલ પરિવારજનોએ તેમના પુત્રનું પી.એમ.થયા બાદ તેમના ગામ નવા ઉગલા લઈ ગયા છે. આ ઘટના બાદ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.


