ગુજરાતમાં દિવાળીના તહેવારોની અસલ ચમક પરત ફરી રહી હોય તેમ શહેરોની બજારોમાં ભીડ દેખાઈ છે અને રોશનીથી સમગ્ર રાજ્ય ઝગમગતું હોય તેવું ડ્રોનાવલકોનમાં લાગી રહ્યું છે
કોરોના શબ્દ યાદ કરવાનો કોઈ અર્થ જ રહ્યો નથી. આ વર્ષે તે વાત વધારે નક્કર રીતે સાબિત થઈ છે, કેમ કે તેને પાછળ રાખીને દુનિયા આગળ વધી ગઈ છે. ગુજરાત પણ ક્યારનુંય તેનાથી આગળ વધી ગયું છે, પરંતુ આ વર્ષે કોરોનાની કઠણાઈ યાદ પણ ના આવે તેવી સ્થિતિ આવી છે અને તેની જગ્યાએ ઝગમગતું ગુજરાત એવું દૃશ્ય દેખાઈ રહ્યું છે. ડ્રોન ઉત્સાહીઓ શહેરમાં વધી રહ્યા છે ત્યારે રાત્રે રોશનીના દૃશ્યો ઉપરથી વધારે આકર્ષક લાગે છે. વિહંગાવલોકનની જગ્યાએ ડ્રોનદૃષ્ટિ શબ્દ વાપરી શકાય અને અવલોકન શબ્દને આગળ વધારવો હોય તો ડ્રોનાવલોકન પણ કહી જ શકાય.
આપત્તિમાં અવસર શોધવો એ ગુજરાતી પ્રજાનો સ્વભાવ રહ્યો છે. ગુજરાત રાજ્યની રચના થઈ ત્યાંથી વાતની શરૂઆત કરવી હોય તો પણ ઘણી બધી મુશ્કેલીઓ વચ્ચે ગુજરાતીઓ માર્ગ કાઢતા રહ્યા છે. વધારે પાછળ જવું હોય તો વારંવાર દુકાળ, સુરતમાં લૂંટ, મુંબઈનો બંદર તરીકે વિકાસ, ખંભાત સહિત બંદરોની પડતી વગેરે ઘણું બધું યાદ કરવું પડે. પરંતુ આપણે આઝાદી વખતથી જ વાત કરીએ તો પણ આપદામાંથી ગુજરાત ઉગરતું જ આવ્યું છે અને દેશ માટે નમૂનારૂપ મોડલ તૈયાર કરતું રહ્યું છે.
સૌપ્રથમ વાત કરવી પડે મહાત્મા ગાંધી અને સરદાર પટેલના નેતૃત્ત્વની. દેશને આઝાદ પણ કર્યો, દેશને એક પણ કર્યો, ગ્રામ સ્વરાજથી માંડીને સ્વાવલંબન માટેની કલ્પના પણ કરી, પ્રજા જાગૃતિના અનોખા પ્રયાગો ખેડા સહિતના સત્યાગ્રહો દ્વારા કર્યા અને મહાજનોને પણ સ્વતંત્રતા આંદોલન સાથે જોડીને મજૂર અને મહાજન વચ્ચે એકવાક્યતા સુધીની ઘટનાઓ ગુજરાતમાં બની. મીલ કામદારોની સમસ્યા દૂર કરવા માટે પશ્ચિમના યુનિયન પ્રકારની હડતાળો પડી હતી, પણ પૂર્વના સંસ્કાર પ્રમાણે સર્વજન હિતાય, સર્વજન સુખાયના મંત્ર પ્રમાણે સમાધાન સાધવામાં આવ્યું હતું.
ભાષાવાર પ્રાંત રચના કરવા માટેનો વિચાર કોંગ્રેસની કારોબારીમાં થયો હતો ખરો, પણ સ્વાતંત્ર્ય પછી બીજી સમસ્યાઓ વચ્ચે તેનું કામ રહી ગયું. તેના કારણે ભાષાવાર રાજ્યોની રચનામાં જે ઉકળાટ થયો તેનો અનુભવ ગુજરાતને પણ થયો. ગુજરાત – વિશેષ તો ગુજરાતીઓ ત્રણ ટુકડામાં વહેંચાઈ ગયા હતા – મુંબઈ, ગુજરાત અને સૌરાષ્ટ્ર.
તેમાંથી આખરે અખંડ ગુજરાતની રચના થઈ, પણ તે પહેલાં ગુજરાતમાં આંદોલન તોફાની બન્યા. મુંબઈમાં વધારે સ્ફોટક સ્થિતિ હતી અને આમચી મુંબઈના સંકુચિત નારાથી નકારાત્મક માહોલ પેદા થયો હતો. ગુજરાત તેમાંથી ઝડપથી બહાર આવ્યું અને ગુજરાતની રચના થયા પછી ઝડપથી કામે લાગી ગયું.પાકિસ્તાન સાથે યુદ્ધના વાદળો ઘેરાયા, કચ્છે ખાંડા ખખડ્યા અને મુખ્ય પ્રધાનનું વિમાન તૂટી પડ્યું. નવાસવા રાજ્ય માટે આ નડતર હતું, પણ ગુજરાતીઓએ તેને નક્કર આયોજન દ્વારા હટાવ્યું. વાપીથી મહેસાણા સુધીનો ગોલ્ડન કોરિડોર તૈયાર થવા લાગ્યો અને સૌરાષ્ટ્રમાં રાજકોટ જેવા જાણીતા એસ્ટાબ્લિશ્ડ ઉદ્યોગોની સાથે થાન-મોરબીના નવા કેન્દ્રો પણ તૈયાર થવા લાગ્યા. ને મોરબીની મચ્છુ દુર્ઘટના. આટલી મોટી આપદામાંથી મોરબી પણ બેઠું થયું અને ગુજરાતનો માનવી પણ બેઠો થયો. ને એ જ મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડ્યો એ માનવીય બેદરકારી સામે કાયદાકીય સજાનો નમૂનો પણ હવે ગુજરાતે આપવાનો છે.
કટોકટી વખતે ગુજરાત પર સૌની નજર હતી અને તેનો સામનો કેમ કરી શકાય તેનો નમૂનો પણ ગુજરાતે આપ્યો છે. નવનિર્માણનો મંત્ર આપનારું રાજ્ય પણ આ જ છે. તામિલનાડુની એક યોજના મધ્યાહ્ન ભોજન અહીંથી જ કેન્દ્રમાં પહોંચી અને અહીંથી જ સામાજિક ન્યાયની લડાઈ અને ઓબીસી અનામત પણ શરૂ થઈ. અનામત વિરોધી આંદોલનની આગ પણ 1984-85માં જોઈ અને છેલ્લા દાયકામાં પણ જોઈ. અને આ વચ્ચે કચ્છનો ભયાનક ભૂકંપ, ગોધરાની આતંકવાદી ઘટના અને તેના પડઘા સહિતની અનેક મુશ્કેલી વચ્ચે ગુજરાત થંભ્યું નથી. સમૃદ્ધ પંજાબ ઉડતા પંજાબ બન્યું તેની મુશ્કેલીમાંથી આજેય માર્ગ મળી રહ્યો નથી, ગુજરાતી પ્રજાએ દરેક મુશ્કેલીમાંથી માર્ગ શોધીને માત્ર આ પ્રદેશ નહીં, દેશ નહીં, દુનિયાને પણ ઝગગમતી રાખવાના મંત્રો ભણ્યા છે. ખરું ભણ્યો ભા…