ધનતેરસ ધનનો ઉત્સવ છે પણ પહેલું સુખ તે જાતે નર્યા એ વ્યાખ્યા અનુસાર આરોગ્યની સંપત્તિ અસલી ધનસંપદા આજના યુગમાં છે એ કહેવાની નહીં, સમજવાની વાત છે
પહેલું સુખ તે જાતે નર્યા એ કહેવત જૂની અને જાણીતી છે, પણ આજના યુગમાં તેને નવેસરથી સમજવાની જરૂર છે. માત્ર કહેવત કહી દેવાથી કામ થવાનું નથી. આરોગ્ય અને સ્વાસ્થ્ય વિના સુખને માણવું અઘરું છે. નાની મોટી વ્યાધી ઠીક છે, પણ જમાના બદલાવા સાથે બીમારીઓ પણ બદલાઈ છે. બીમારીઓ અઘરી બની છે. કદાચ મનુષ્ય જાતની સહનશીલતા ઘટી છે. સહનશીલતા કરતાંય ખાણીપીણી અને કુદરતી હવાપાણી એવા નથી રહ્યા કે માણસ કશા બોજ વિના મોજ માણી શકે.
કુદરતી રીતનો એક અજબ ફાંટો એ છે કે સમજવું મુશ્કેલ બને છે. સૃષ્ટિમાં શોર્ટકટ સૌથી સદુપયોગી ગણાય છે. દરેક જીવ અને પદાર્થ શોર્ટ કટ એટલે કે લઘુતમ પ્રયાસો માટે પ્રયત્નો કરે છે. કારણ એ કે ઉર્જા બજાવવાની હોય છે. શરીરનો ગુણધર્મ એ છે કે પોષણ મળ્યું હોય તેમાંથી કશું નાહકનું વપરાવું ના જોઈએ. ઉત્ક્રાંતિ એ રીતે જ થતી રહી છે કે દરેક પ્રક્રિયા વધારે સરળ, ઓછામાં ઓછી ઉર્જા વપરાય તે રીતે પ્રવૃત્તિ કરવામાં આવે છે. તેમાં સૌથી વધુ મનુષ્યે ઉત્ક્રાંતિ કરી છે. ચાર પગે ચાલવાથી વધારે શ્રમ પડે, વધારે ઉર્જા વપરાઈ જાય. બે પગે ચાલવાથી શ્રમ ઘટે, શરીર પર તડકો ઓછો પડે. એટલે ધીમે ધીમે માણસ ટટ્ટાર થયો અને ત્યાંથી તબક્કાવાર ઓછામાં ઓછી મહેનત કરવાનું જ માણસ શીખતો રહ્યો છે. પથ્થરથી વાર કરીને તોડવાનું શીખ્યો … પછી ખ્યાલ આવ્યો કે પથ્થરને ધારદાર કરવામાં આવે એટલી જ તાકાતથી વધારે ઊંડો ઘા થાય છે …
પછી ખ્યાલ આવ્યો કે લાકડામાં ભરાવીને ઘા માર્યો તો એક ઘા ને બે કટકાં.
એ પાષાષયુગથી શરૂ કરીને આજના મશીન યુગમાં કારના ટાયરના બોલ ખોલવા અને બંધ કરવા માટે પાનું પકડીને મહેનત કરવાનું પણ નથી રહ્યું. ડ્રીલ જેવા સાધનથી આ ફટ ખૂલ્યા બોલ અને આ ફટ થઈ ગયા ટાઈટ. લિયોનાર્દો દ વિન્ચી અને તેના સમકાલીન તબીબોએ શરીરશાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો ત્યારે ખ્યાલ આવવા લાગ્યો હતો કે દરેક અંગ બહુ સચોટ રીતે કામ કરવા માટે પ્રયત્ન કરે છે. હૃદયમાં એક ખાનામાં લોહીનો પ્રવાહ દાખલ થાય ત્યારે ત્યાંથી એવી રીતે ઘૂમરી મારે કે તેના જોરથી બે ખાના વચ્ચેનો પડદો બંધ થઈ જાય.
પછી ક્ષણવારમાં લોહીના પ્રવાહના ધક્કાથી ખુલી પણ જાય.
આજે હૃદય રોગના કિસ્સાઓની સૌથી વધુ ચર્ચા થાય છે અને ચિંતા પેઠી છે કે નાની વયે જ કાળજા કાચા પડવા લાગ્યા છે. જોકે આંકડાકીય રીતે વાત સાચી નથી. નાની ઉંમરે હાર્ટ એટેકના કિસ્સામાં મામુલી વધારો થયો છે. તેના સમાચારો વધારે કાગારોળ મચાવે છે. પણ શ્રમ ઓછો થયો છે અને વધારે ને વધારે ઓછો થઈ રહ્યો છે તે વાસ્તવિકતા છે. એફિશિયન્ટલી કામ કરવું માનવજીવન માટે અનિવાર્ય છે. એક કારનું ટાયર બદલવા માટે પંદર મિનિટ થાય તેની જગ્યાએ ત્રણ મિનિટમાં કામ થતું હોય તો તેમાં કંઈ ખોટું નથી.
પરંતુ શરીરની રચનાનું આ જ પાસુ વળી દુવિધા ઊભું કરનારું છે. નામની પણ ખોટી મહેતન નહીં કરવાની, ઉર્જાનો ઉત્તમ ઉપયોગ કરવાનો, પણ શરીરના દરેક અંગને નિયમિત કામ મળવું જોઈએ. તેની લવચિકતા જાળવવા તેનો ઉપયોગ થતો રહેવો જોઈએ. શ્રમ થતો રહેવો જોઈએ. ટાયરના બોલ ખોલવા અને બંધ કરવા મહેનત કરીને હાંફ ચડે તેટલું બળ ના થાય તો ઠીક … પણ હાંફ ચડે એવું કરવું જરૂરી છે. તો જ સ્નાયૂઓ અને હાડકા ચૂસ્ત રહે.એટલે આધુનિક જમાનામાં માણસે જીમ કાઢ્યા છે. મશીનોથી બધું જ કામ કરવાનું અને પછી જીમમાં જઈને કસરત કરવાની. એના કરતાં મહેતન જ કરોને… એવું પણ કહેવાશે. થતી હોય તો સારું છે. દાખલા તરીકે સેમ પિત્રોડાએ કહ્યું છે કે તેઓ જાતે પોતાં કરે છે, કેમ કે તે સૌથી ઉત્તમ કસરત છે. કસરત સમજીને પણ પોતાં કરી શકાતો હોય તો તેને પણ ઘરનું જીમ સમજો.
જે સમજો તે, શરીરનું શાસ્ત્ર સમજો, કુદરતની રચના સમજો. કુદરત સાથે તાલમેલ, શરીર અને મનનો તાલમેલ, સંતુલન, શરીરની અને સ્વભાવની પ્રકૃતિ આ બધાને બહુ સારી રીતે આયુર્વેદમાં સમજવામાં આવ્યા છે અને સમજાવવામાં આવ્યા છે. તેની સાથે આધુનિક એલોપથીનો તાલ બેસાડવાનો છે. એટલે કહેવાને બદલે એટલું સ્વસ્થ થઈને સમજી લો કે ધનતેરસે અસલી ધન આરોગ્યનું છે. ધનતેરસે ધનની પૂજા કરવાની કોઈ ના નહીં પાડે, પણ ધનવંતરીની પણ પૂજા કરજો.