આજે લોકો ગંભીર બીમારીના શિકાર થઈ રહ્યા છે તેની પાછળ તેમની ખાનપાનની આદતો છે. જો યોગ્ય આહાર લેવામાં આવે તો ગંભીર બીમારીને રોકી શકાય છે. જો કે લોકો આરોગ્ય સ્વસ્થ રાખવા હળવી કસરત સાથે પૌષ્ટિક આહારનું સેવન કરતા હોય છે. પરંતુ કયારેક પૌષ્ટિક આહારના કારણે કિડની પર અસર થાય છે.
આરોગ્ય નિષ્ણાતનું સૂચન
આરોગ્ય નિષ્ણાત કહે છે કે કિડની શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંનું એક છે. તે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે. એટલે કિડની સ્વસ્થ રાખવા ફક્ત પૌષ્ટિક આહારની જ જરૂર નથી. પરંતુ કિડની માટે કયો આહાર હાનિકારક છે અને કયા લાભકારક છે તેની જાણકારી હોવી જરૂરી છે. જો કિડની કામ કરવાનું બંધ કરી દે તો પૌષ્ટિક મનાતા ખોરાક પણ વધુ જોખમી બની શકે છે. કિડની માટે આ પૌષ્ટિક મનાતા આ ખોરાક વધુ હાનિકારક છે.
પોટેશિયમયુક્ત ખોરાક : પોટેશિયમથી ભરપૂર, કેળા ઘણીવાર હૃદયના સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે, પરંતુ એક કેળામાં લગભગ 420 મિલિગ્રામ પોટેશિયમ હોય છે, જે કિડનીની બીમારીવાળા લોકો માટે ખૂબ જ ખતરનાક છે. આ ઉપરાંત ખજૂર, નારિયેળનું પાણી અને ટમેટાંનું વધુ પડતું સેવન કિડની પર ગંભીર અસર કરે છે. કિડની વધુ પ્રમાણમાં પોટેશિયમ બહાર કાઢી શકતી નથી અને તેના કારણે હ્રદય પર જોખમ વધે છે. આમ, વધુ પડતા પોટેશિયમ યુક્ત ખોરાકનું સેવન કિડની અને હૃદય બંને માટે જોખમી મનાય છે.
ઉચ્ચ પ્રમાણમાં સોડિયમ (મીઠું) ધરાવતા ખોરાક : કિડની માટે પેક કરેલી ચીજવસ્તુઓ (ચિપ્સ, નૂડલ્સ, પેકિંગ વાળી દાળ), કેચઅપ, સોસ, પિઝા, અને પ્રોસેસ્ડ ફૂડ અને ભોજનમાં ઉપરથી લેવાતું મીઠું વધુ હાનિકારક મનાય છે. ઉચ્ચ સોડિયમયુક્ત આહાર કરવાથી બ્લડ પ્રેશર વધશે. અને બ્લડ પ્રેશર વધતા તે કિડનીને વધુ નુકસાન કરશે.
ડ્રાયફૂટ અને પ્રોટીનયુકત ખોરાક : બદામ, પિસ્તા જેવા ડ્રાયફૂટ તેમજ સરગવા જેવા શાક પોષક તત્વોથી ભરપૂર હોય છે, પરંતુ તેમાં ફોસ્ફરસ અને પોટેશિયમ પણ વધુ માત્રામાં હોય છે, જે કિડનીના દર્દીઓ માટે જોખમી છે. પ્રોટીન પાવડર અથવા સી-ફૂડ અને વધુ પ્રોટિનયુક્ત આહાર કિડની માટે સમસ્યા સર્જી શકે છે. આ ઉપરાંત લો સોડિયમ સોલ્ટ સપ્લીમેન્ટ્સ, ગ્રીક દહીં અને એવોકાડો સહિતના આહાર કિડની માટે જોખમી મનાય છે.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.