દિવાળી તહેવારની સાથે ઠંડીની ધીમી શરૂઆત થઈ ગઈ છે. અત્યારે સવારે અને રાત્રે ઠંડી લાગે છે, જ્યારે બપોરના સમયે પંખા અને એસી ચાલે છે. અત્યારે બદલાતી ઋતુનો સમયગાળો છે. આ સમયમાં આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે દિવાળીમાં મીઠાઈ અને નમકીન નાસ્તા ખૂબ ખાવામાં આવે છે. દરમિયાન ઠંડી અને ગરમી એમ ડબલ સિઝનની અસર શરીર પર થતા શરદી, ઉધરસની સમસ્યાના શિકાર થઈએ છીએ. આગામી દિવસોમાં ઠંડીનો પ્રકોપ વધી શકે છે એટલે બીમારીથી બચવા રોગપ્રતિકારક શક્તિ વધારવી જોઈએ.
હેલ્થ એક્સપર્ટે આપી ટીપ્સ
હેલ્થ એક્સપર્ટના મતે બદલાતી ઋતુમાં તમારે એવા આહારને દિનચર્યામાં સામેલ કરવો જોઈએ જે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે. બદલાતી ઋતુમાં તાવ, ઉધરસ અને શરદી સામાન્ય બને છે. આ સમસ્યામાં સામાન્ય બેદરકારી તમારા સ્વાસ્થ્ય પર હાનિકારક અસર કરી શકે છે. આ સમયમાં ફટાકડાના કારણે પ્રદૂષણ પણ વધે છે. તમારા આહારમાં ચોક્કસ ખોરાકનો સમાવેશ કરી શકો છો. મજબૂત રોગપ્રતિકારક શક્તિ શરીરને ચેપ અને રોગોથી બચાવવા અથવા લડવામાં મદદ કરે છે. જો તમને પહેલાથી જ કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોય, તો નિષ્ણાતની સલાહ મુજબ આહારનું સેવન કરો.
બદલાતી ઋતુમાં આ આહાર બેસ્ટ
અત્યારે બદલાતી ઋતુમાં ઇમ્યુનિટી વધારવા દૈનિક આહારમાં ચોક્કસ ખોરાકનો સમાવેશ કરો. તમે રસોઈમાં બનતી વિવિધ વાનગીમાં લવિંગ, આદુ, કાળા મરી અને હળદરનો જુદી-જુદી રીતે ઉપયોગ કરી શકો છે. શરીરને હાઇડ્રેટેડ રાખવા પૂરતા પ્રમાણમાં પાણી પીવો. ગાજર, કાકડી, લીલી હળદર, આમળા, બીટ, મૂળા, પાલક અને મેથી જેવા મોસમી શાકભાજીનો સમાવેશ કરો. તુલસી, આદુ, મધ અને હળદરમાંથી બનતા ઉકાળાનું ખાલી પેટે ખાસ સેવન કરો. આ દિવસોમાં તેલયુક્ત અને મસાલેદાર ખોરાક, સોફ્ટ ડ્રિંક્સ અને આઈસક્રીમ ખાવાનું ટાળો.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


