- ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકડે તહેરાનમાં જઈ રઈસીની શ્રદ્ધાંજલી સભામાં સામેલ થયા
- ઈબ્રાહિમ રઈસીના મોત બાદ ભારતમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો હતો
- ગત રવિવારે હેલિકોપ્ટર અકસ્માતમાં રઈસી સહિત આઠ લોકોનાં મોત થયા હતા
ઈરાન દેશ સાથે ભારતે મજબૂત મિત્રતાનું જોરદાર ઉદાહરણ રજૂ કર્યું છે. ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટરમાં અવસાન થયા બાદ પહેલાં 21 મેએ એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો અને બાદમાં દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને બુધવારે ઈરાનની રાજધાની તેહરાનમાં મોકલ્યા હતા. જગદીપ ધનખડ બુધવારે હેલિકોપ્ટર અકસ્માતમાં માર્યા ગયેલા ઈબ્રાહિમ રઈસી, વિદેશ મંત્રી હુસૈન અબ્દુલ્લાહિયનના નિધન પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને ઉપરાંત ઈરાનના કાર્યકારી રાષ્ટ્રપતિ મોહમ્મદ મોખબર સાથે મુલાકાત પણ કરી હતી.
સત્તાવાર અંતિમ ક્રિયામાં ભારતીય પ્રતિનિધિ મંડળની આગેવાની કરતા ઉપરાષ્ટ્રપતિ ધનખડે અવસાન પામેલા રાષ્ટ્રપતિ, વિદેશ મંત્રી સહિત અન્ય અધિકારીઓને શ્રદ્ધાંજલી પાઠવી હતી. રઈસીના અવસાન પર ભારતમાં મંગળવારે એક દિવસનો રાજકીય શોક જાહેર કરાયો હતો. ઉપરાષ્ટ્રપતિના કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના સત્તાવાર હેન્ડલ પર પોસ્ટ કર્યું હતું.
વિદેશ મંત્રાલયે પણ આ પોસ્ટ શેર કરી છે
વિદેશ મંત્રાલયે ‘X’ પરની અન્ય પોસ્ટમાં પણ કહ્યું, “ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે તેહરાનમાં ઈરાનના કાર્યકારી રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ મોખબર સાથે મુલાકાત કરી. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા ઈરાની અધિકારીઓએ બપોરના સમયે તેમનું સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રઈસીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે મંગળવારે નવી દિલ્હીમાં ઈરાની દૂતાવાસની મુલાકાત લીધી અને ભારત વતી ઈરાનમાં આવેલી શોકમય સ્થિતિ પર શોક વ્યક્ત કર્યો.
ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખમેનીની અધ્યક્ષતામાં બુધવારે દેશના દિવંગત રાષ્ટ્રપતિ, વિદેશ મંત્રી અને દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો માટે અંતિમ સંસ્કારની પ્રાર્થના કરવામાં આવી હતી. જેમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. સત્તાવાર અંતિમ સંસ્કાર સમારોહમાં હાજરી આપવા માટે ઘણા વિશ્વ નેતાઓ આ સમયે તેહરાનમાં હતા.


