- ચીનના દેવામાં ડૂબેલા માલદીવના રાષ્ટ્રપતિ જનતા પાસે રોદણાં રોવા પડયા
- દેવું વધુ હોવાથી માલદીવમાં વિકાસ નહિ થાય તેવો મોઈજ્જુનો દાવો
- મોઇજ્જુ લોન માટે IMF અને વર્લ્ડ બેંક સાથે વાતચીત કરી
ભારત સાથે હરિફાઈમાં ઉતરવું માલદીવને હવે ભારે પડી રહ્યું છે. ચીનના દેવામાં ડૂબેલા માલદીવના રાષ્ટ્રપતિએ પોતાની જનતા પાસે દેવાને લઈ રોદણાં રોવાં પડયા હતા. માલદીવની અર્થવ્યવસ્થામાં પ્રવાસન ઉદ્યોગનો સૌથી મોટો હિસ્સો છે. પરંતુ ભારત સાથે ગડબડ કર્યા બાદ ભારતીય પ્રવાસીઓએ માલદીવનો બહિષ્કાર કર્યો છે. ત્યારથી માલદીવની કમાણી પર વિપરીત અસર પડી છે. આ દરમિયાન માલદીવના રાષ્ટ્રપતિએ મંગળવારે કહ્યું કે તેમનો દેશ દેવામાં ડૂબેલો છે અને આવક એટલી નથી. આ કારણોસર તેઓ કોઈ નવો વિકાસ પ્રોજેક્ટ શરૂ કરી શકતા નથી.
મળતી માહિતી અનુસાર, માલદીવના રાષ્ટ્રપતિ મોઇઝુએ દેશની આર્થિક સ્થિતિ માટે અગાઉની સરકારોને જવાબદાર ગણાવી હતી. ‘ઈન્ડિયા આઉટ’ ના નારા પર ચૂંટણી જીતનાર મોઈજ્જુએ કહ્યું કે તેઓ તેમના વહીવટીતંત્રને “વારસામાં” મળેલી આર્થિક પરિસ્થિતિ વિશે લોકોને ગેરમાર્ગે દોરવા માંગતા નથી. મોઇજ્જુએ અર્થવ્યવસ્થાની વાસ્તવિક સ્થિતિ જાહેર કરવી પડી કારણ કે તે એવા લોકોના દબાણ હેઠળ હતા જેઓ દ્વીપસમૂહ રાષ્ટ્રમાં અટકેલા પ્રોજેક્ટ્સ વિશે ફરિયાદ કરી રહ્યા હતા.
‘માલદીવ્સ માટે સૌથી મુશ્કેલ બે મહિના’, મોઇજ્જુએ કહ્યું
“આગામી બે મહિના સૌથી મુશ્કેલ હશે. આ સૌથી નિર્ણાયક સમય છે,” તેમણે દેશના ટાપુઓમાંના એક ગુરાઇડૂની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું. “જુલાઈ પછી તે ઘણું સરળ બની જશે. પરંતુ અમે હવે આવક પેદા કરવા માટે જરૂરી કામ કરવાનું શરૂ કરી રહ્યા છીએ.” ગયા વર્ષે નવેમ્બરમાં માલદીવના રાષ્ટ્રપતિ મોઇઝૂ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી માલદીવના નવી દિલ્હી સાથેના સંબંધો પ્રભાવિત થયા છે. મોઇઝુએ કહ્યું કે માત્ર સરકારી લોન જ નહીં પરંતુ સરકારી માલિકીની કંપનીઓનું ઋણ પણ વધારે છે. તેમણે કહ્યું, ‘હું નિષ્ઠાપૂર્વક ટકાઉ વિકાસને તેના સાચા અર્થમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યો છું.’
મોઇજ્જુ ‘ઇન્ડિયા આઉટ’ અભિયાન ચલાવીને રાષ્ટ્રપતિ બન્યા
ગયા વર્ષે નવેમ્બરમાં સત્તા સંભાળનાર મુઈઝુનો ઝુકાવ ચીન તરફ છે જેણે માલદીવને દેવાની જાળમાં ફસાવી દીધું છે. માલદીવ ચીનનું સૌથી મોટું દેવાદાર છે. તેમણે કહ્યું કે વિકાસ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં મુશ્કેલીઓ હતી, જ્યારે “અમે દેવાનું સંચાલન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ”. “હું વધુ વિકાસ પ્રોજેક્ટ ચલાવવા માંગુ છું. પરંતુ તેથી જ અમે તમામ અટકેલા પ્રોજેક્ટ્સ શરૂ કરી શકતા નથી અને એક સાથે તમામ ટાપુઓમાં નવા પ્રોજેક્ટ્સ શરૂ કરી શકતા નથી,” તેમણે કહ્યું. માલદીવના રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ લોકોને કહી શકતા નથી કે તેઓ એક જ સમયે દરેકની વિનંતીઓ પૂરી કરશે. “અમને વારસામાં મળેલી અર્થવ્યવસ્થા ખરાબ સ્થિતિમાં છે. દેવાના સ્તરને કારણે અમારે પગલાં લેવાની જરૂર છે,” મોઇઝુએ કહ્યું.
મોઇજ્જુ લોન માટે IMF અને વર્લ્ડ બેંક સાથે વાતચીત કરી રહ્યા છે
પોતાના ભારત વિરોધી વલણને લઈને દેશના વિરોધ પક્ષોની ટીકાનો સામનો કરી રહેલા મોઈઝુએ કહ્યું કે તેઓ વિશ્વ બેંક અને આઈએમએફના અધિકારીઓને મળ્યા હતા અને તેઓ સંમત થયા હતા કે દેશની અર્થવ્યવસ્થાને સુધારવાનો ઉકેલ સરકારી નીતિઓ લાગુ કરવામાં જ રહેલો છે. “અમે તમને જણાવીશું કે શું કરી શકાય છે અને શું કરવામાં આવશે. કેટલીક બાબતોમાં વધુ સમય લાગી શકે છે. અમે અમારી વાત પ્રત્યે પ્રમાણિક અને સાચા રહીશું,” તેમણે કહ્યું.


