- પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
- પ્રાઈવેટ અને સરકારી કચેરીઓમાં અડધા દિવસની રજા જાહેર
- શુક્રવારે બપોર બાદ બિનજરૂરી અવર-જવર ટાળવા અપીલ કરાઈ
પાકિસ્તાનમાં હવામાન વિભાગની ચેતવણીએ મુશ્કેલીઓ વધારી દીધી છે. પાકિસ્તાન ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ 29 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી સિંધના ઉત્તરીય ભાગોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરી છે. તેને જોતા સિંધ પ્રાંતના મુખ્યમંત્રી સૈયદ મુરાદ અલી શાહે ઈમરજન્સી જાહેર કરી છે. ભારે વરસાદની સંભાવનાને કારણે શુક્રવારે કરાચીની તમામ સરકારી અને ખાનગી કચેરીઓમાં અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ લોકોને શુક્રવારે બપોરે ચાર વાગ્યા પછી બિનજરૂરી અવર-જવર ટાળવા અપીલ કરી છે.
સિંધ રેસ્ક્યૂ 1122 હાઈ એલર્ટ પર છે
સિંધ રેસ્ક્યૂ 1122ને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. ભારે વરસાદને કારણે કોઈપણ સંભવિત ઈમરજન્સીને પહોંચી વળવા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સિંધ ઈમરજન્સી રેસ્ક્યૂ સર્વિસીસ (SERS) ના ડાયરેક્ટર જનરલ ડૉ આબિદ જલાલુદ્દીન શેખે ગુરુવારે એક ઈમરજન્સી મીટિંગ બોલાવી હતી. આ બેઠકમાં કોઈપણ ઈમરજન્સીના સંજોગોમાં લેવાઈ રહેલા પગલાં અંગે ચર્ચા કરવામાં આવી હતી. કરાચીના મેયર મુર્તુઝા વહાબે કહ્યું છે કે કટોકટીની સ્થિતિનો સામનો કરવા માટે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
બચાવકર્મીઓની રજા રદ કરવામાં આવી છે
ડીજી શેખે તમામ બચાવ અધિકારીઓની રજાઓ રદ કરી છે. બચાવકર્મીઓને ફરજ પર રહેવાના કડક આદેશ જારી કર્યા. ઇમરજન્સી અધિકારીઓ અને જિલ્લા પ્રભારીઓને સંભવિત પૂરની સ્થિતિ માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે જ પાણી બચાવ વાહનો પણ તૈનાત કરવામાં આવ્યા છે. આવનારા ત્રણ દિવસ ખૂબ જ સંવેદનશીલ હોઈ શકે છે, તેથી તમામ સ્ટાફને તેમના રેસ્ક્યૂ સ્ટેશન પર સંપૂર્ણ તૈયારી જાળવવા માટે કહેવામાં આવ્યું છે.
તમામ વિભાગોમાં બચાવ કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે
કરાચી, સુક્કુર, લરકાના, શહીદ બેનઝીરાબાદ, હૈદરાબાદ અને મીરપુરખાસના છ વિભાગીય મુખ્યાલયોમાં રેસ્ક્યુ 1122 કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. આ કેન્દ્રો કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે જરૂરી તમામ સાધનોથી સજ્જ છે. આ સાથે રાહત શિબિરો પણ તૈયાર રાખવામાં આવી છે. કટોકટીની સ્થિતિમાં, નીચાણવાળા વિસ્તારોમાંથી બચાવાયેલા લોકોને આ રાહત શિબિરોમાં રાખવામાં આવશે.
PMDએ હવામાન ચેતવણી જારી કરી
પાકિસ્તાન હવામાન વિભાગ (પીએમડી) એ હવામાનની આગાહી પ્રસિદ્ધ કરી છે જે બલૂચિસ્તાન પર પ્રવર્તતી પશ્ચિમી લહેરોની તીવ્રતાની સંભાવના દર્શાવે છે. 2 માર્ચ સુધી સિંધ અને બલૂચિસ્તાનના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. પીએમડીએ સંભવિત શહેરી પૂર પર ભાર મૂક્યો હતો અને બલૂચિસ્તાન અને સિંધના માછીમારોને સાવચેતી રાખવાની સલાહ આપી હતી.
કરાચી શહેરમાં પાણી પ્રવેશી શકે છે
હવામાન વિભાગે કહ્યું છે કે શુક્રવારે સાંજ બાદ કરાચીમાં ભારે વરસાદ શરૂ થઈ શકે છે. 12 કલાકમાં 13 મીમીથી 16 મીમી વરસાદની આગાહી છે. બલૂચિસ્તાનના પહાડી વિસ્તારોમાંથી ઝાલ માગસી અને કુઝદાર વિસ્તારમાં પાણી પ્રવેશી શકે છે. આની નોંધ લેતા સિંધ પ્રાંતના સીએમ મુરાદ અલી શાહે લરકાના કમિશનરને તમામ જરૂરી સાવચેતી રાખવા સૂચના આપી છે.


