ગુજરાતના કચ્છમાં ભૂકંપ આવ્યો તે પછી રાજ્યે રાહતકાર્યોમાં પણ ઉદાહરણ પૂરું પાડેલું અને બાદમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે જે પ્રયાસો શરૂ કરેલા તેના ફળ આજે દેશને મળી રહ્યા છે
ગુજરાત લાંબો સમય સુધી કચ્છના ધરતીકંપને ભૂલી શક્યો નહોતો. પરંતુ તેમાંથી ઘણા બોધપાઠ પણ લીધા હતા અને કચ્છને ફરીથી બેઠું કરવા સાથે સમગ્ર રીતે ગુજરાત પણ આફતમાં અવસરની જેમ આગળ વધી શક્યું હતું. તેમાંથી એક બોધપાઠ એ હતો કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટેની એક સુચારુ વ્યવસ્થા હોવી જોઈએ. કાયમી હોવી જોઈએ, સદાય તૈયાર હોવી જોઈએ અને ઝડપી હોવી જોઈએ. ફાયર બ્રિગેડની વ્યવસ્થા વધારે કોઈ વ્યવસ્થા આપણે વિચારી નહોતી. ફાયર બ્રિગેડ પણ મોટા શહેરોમાં જ જોવા મળતા. નાના ગામમાં આગ લાગે ત્યારે પાલિકાના બંબા પાણી લઈને જાય અને લોકો ડોલ ભરી ભરીને છાંટે.
સાધનોનો અભાવ, સંસાધનોનો અભાવ અને ટેક્નોલોજીનો અભાવ એમ ઘણી બાબતો હતી. સાથે જ એક પ્રકારની ઉદાસિનતા પણ તંત્રમાં હતી કે મુશ્કેલી આવે ત્યારે વિચારીશું. આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસવાની કહેવતો કંઈ અમસ્થી નહોતી પડી. કુદરતી આપત્તિમાં વધારે મુશ્કેલી થતી, કેમ કે તેનાથી વધારે વ્યાપક નુકસાન થતું હતું. ગુજરાતનો આટલો લાંબો દરિયાકિનારો એટલે દર દાયકે મોટું વાવાઝોડું વ્યાપક વિનાશ વેરીને જતું હતું. સાધનોના અભાવ ઉપરાંત સમજણનો પણ થોડો અભાવ હતો. દાખલા તરીકે વીજળીના થાંભલા પડી જાય તેના કારણે લાંબો સમય સુધી વીજ પુરવઠો ખોરવાયેલો રહે. આજે હવે કાંઠાના પ્રદેશોમાં થાંભલા નાખવાના બદલે જમીનમાં વાયર બિછાવવાનો વિચાર અમલમાં આવ્યો છે. તે વખતે કદાચ જમીનની અંદર વાયર માટે ટેક્નોલોજી સહેલી કે સસ્તી નહોતી, પણ કમસે કમ વધારે મજબૂત થાંભલા નાખવા માટેનું વિચારાયું હોત તો ફરક પડત.
ભૂકંપ પછી એ શક્ય બન્યું હતું. ભૂકંપપ્રૂફ મકાનો બને, બહુમાળી ઈમારતો પણ આંચકા સહન કરી જાય તે પ્રકારની ડિઝાઈન કાયદાથી પણ ફરજિયાત કરાઈ. આ ઉપરાંત કુદરતી આપત્તિ આવે ત્યારે કેવી રીતે તંત્રે પ્રતિસાદ આપવાનો છે તેની એક સુસ્પષ્ટ ગાઈડલાઈન પણ તૈયાર થઈ હતી. ગુજરાતના અનુભવ પછી સમગ્ર દેશમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર થયા હતા. કાયદાકીય રીતે, વહિવટી રીતે, ટેક્નોલોજીના ઉપયોગની રીતે એક વ્યવસ્થા ઊભી થવા લાગી હતી.
એ વ્યવસ્થા સંપૂર્ણ નથી થઈ ગઈ, પણ તેનાથી ઘણો ફરક પડ્યો છે. કુદરતી ઉપરાંત માનવીય આપત્તિમાં પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટને કારણે ભોગ બનેલા લોકો માટે થોડી રાહત આવી છે. દાખલા તરીકે બ્રીજ તૂટી પડે, હિમાલયમાં બસ ખાઈમાં ખાબકે કે ટ્રેન અકસ્માત થાય ત્યારે પણ ઝડપથી બચાવ કાર્ય માટેની એક પ્રોસિજર તૈયાર થયેલી છે. તેના માટે સાધનો પણ ઉપલબ્ધ કરાવવાનું તંત્ર ગોઠવાયું છે. રોડ અકસ્માતમાં ઘાયલને ઝડપથી દવાખાને પહોંચાડવાથી માંડીને અંગદાન થાય અને કોઈ દર્દીને પ્રત્યાર્પણ કરવાનું હોય ત્યારે ગ્રીન કોરિડોર ગોઠવીને ગુજરાત પોલીસ ગણતરીના કલાકોમાં સાસણ ગીરથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુધી એમ્બ્યુલન્સ પહોંચી શકે છે.
ઉત્તરાખંડમાં પણ હાલમાં તેનું જીવંત ઉદાહરણ જોવા મળી રહ્યું છે. દસમો દિવસ થયો છે ત્યારે આશા વધારે ઉજળી બની છે. આટલા દિવસ સુધી ટનલમાં ફસાયેલા લોકોનું શું થયું હશે તે ચિંતા થાય, પણ અંદર ફસાયેલા લોકો ટકી ગયા છે તેનો વીડિયો સૌએ જોયો. એક નવી છ ઈંચની પાઈપ અંદર સુધી પહોંચી છે. તેના દ્વારા ગરમાગરમ ખીચડી પણ મોકલવામાં આવી અને અંદરથી વીડિયો ક્લિપ ઉતારીને બહારની દુનિયાને મોકલાઈ છે, જેથી સ્વજનો જાણી શકે કે અંદર ફસાયેલા છે, પણ સલામત છે. છ ઈંચની થોડી મોટી પાઈપને કારણે ભોજન સામગ્રી અને દવાઓ અંદર સહેલાઈથી મોકલી શકાશે અને ટનલને ખોલવા માટેની કામગીરી માટે વધારે થોડા દિવસ મળી જશે. ભારત હિમાલયની પહાડીઓમાં ટનલો દ્વારા ઓલવેધર રસ્તાઓ બનાવીને દુનિયાને દેખાડી રહ્યું છે ત્યારે જો અકસ્માત થાય તો તેને પહોંચી વળવાની ક્ષમતા પણ તે વિકસિત દેશોની જેમ હાંસલ કરવા લાગ્યું છે તે પણ ઉત્તરાખંડની આ ટનલના ઉદાહરણથી દાખવી શકાશે.