યુધ્ધની ભયંકર અસર : વેપાર-ઉદ્યોગ પડી ભાંગ્યા
હોટેલો, રેસ્ટોરન્ટ, ઢાબામાં લાગ્યા બંધના બોર્ડ, રાજયમાં સર્જાય અરાજકતા
ગેસ સિલિન્ડરની કૃત્રિમ અછત સર્જાતા મોટા ભાગના વેપારીઓ દ્વારા ધંધા-રોજગાર બંધ કરાયા : PGમાં રહેતા વિદ્યાર્થીઓ-કર્મચારીઓની મુશ્કેલીમાં વધારો
પૂરતો પુરવઠો હોવાની સરકારની ખાતરી છતાં પણ ગેસ સિલિન્ડર માટે મોટાભાગના જિલ્લાઓમાં એજન્સી બહાર લોકોની વહેલી સવારથી લાંબી કતારો લાગી
સિલિન્ડરની અછત સર્જાતા મોટાભાગના ધંધાર્થીઓ હવે કોલસાના સહારે, સ્ટોક મર્યાદિત હોવાથી પણ કચવાટ ફેલાયો
રાજકોટમાં સામાજીક સંસ્થાઓ પણ મુશ્કેલીમાં મૂકાઇ : નિ:શુલ્ક ભોજનની સેવા કરતી સંસ્થાઓ ચૂલો સળગાવવા મજબૂર
અગ્ર ગુજરાત, રાજકોટ
મિડલ ઇસ્ટમાં ચાલતા યુધ્ધની અસર સીધી ગુજરાતના રસોડા સુધી પહોંચી છે. ગેસ સિલિન્ડરની અછત સર્જાઇ હોવાની વાતોથી રાજયમાં ગેસની કટોકટી ઉદભવી છે અને ગેસની કૃત્રિમ અછતની અફવાથી અને બાટલો નહી મળતો હોવાથી રાજકોટ સહિત રાજયના મોટા ભાગના જિલ્લામાં રેસ્ટોરન્ટ, હોટેલો, ઢાબાઓ અને ખાણીપીણીના ધંધાર્થીઓએ બંધના બોર્ડ લગાવી દીધા છે. જયારે સરકારી એજન્સીઓની ઓફિસો બહાર ગેસના બાટલા માટે લાંબી કતારો લાગી છે.
ઘરેલું ગેસનો પુરવઠો રાજ્યભરમાં ખોરવાઇ ગયો છે. ખાસ કરીને કોમર્શિયલ ગેસની બોટલો મળતી નથી અને મળે તો કાળા બજારમાં 3થી 4 હજાર રૂપિયામાં મળે છે. જેને પગલે ખાણીપીણીનો ધંધો કરતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કેટલાક વેપારીઓને તો ગેસની બોટલ ના મળતા ધંધો બંધ કરવો પડ્યો છે. તો કેટલાક વેપારીઓ ગેસ સિલિન્ડરના બદલે કોલસાના ચૂલાથી વ્યવસાય કરી રહ્યા છે. જોકે કોલસાના ચૂલાથી ફૂડ તૈયાર કરવામાં ખૂબ વાર લાગતી હોવાથી ધંધો ખૂબ ઓછો થઈ રહ્યો છે. જેને કારણે વેપારીઓ હવે ઝડપથી ગેસ સિલિન્ડર મળે એવી માંગ કરી રહ્યા છે.
વેપારી અરવિંદભાઈ મહતોએ જણાવ્યું હતું કે, મારી ઓમલેટની લારી છે સાહેબ, અત્યારે ગેસ સિલિન્ડર નથી મળી રહ્યા. તેના કારણે મારી લારી બંધ થઈ ગઈ છે. મારી આ લારી પર મારો 5 સભ્યોનો પરિવાર નભે છે. અત્યારે લારી બંધ હોવાથી મારા બાળકોના ભણતર અને ઘરનો ખર્ચ ક્યાંથી કાઢીશ? સાહેબ, અત્યારે બહુ તકલીફ છે. જો 10-15 દિવસ લારી બંધ રહેશે તો અમે શું કરીશું? 10-15 દિવસ સુધી બોટલ નહીં મળે. જો આટલા દિવસ કામ નહીં મળે તો અમે શું ખાઈશું? મારી પાસે અત્યારે બીજો કોઈ ધંધો નથી અને બાળકોની ફી ભરવાના પણ પૈસા નથી. તેઓએ કહ્યું કે, લગભગ 30 વર્ષથી ચલાવું છું પણ આવું પહેલીવાર બન્યું છે. અમે તો એટલું જ ઈચ્છીએ છીએ કે અમને ગેસ મળી રહે, જેથી અમારો ધંધો ચાલુ થાય અને મારા પાંચ સભ્યોના પરિવારનું પેટ ભરી શકાય. અત્યારે બહુ તકલીફ છે. મારે રોજનો 200 રૂપિયા જેટલો ખર્ચ તો ચા-પાણી અને બાળકોના સ્કૂલ-રીક્ષા ભાડામાં જ થાય છે. એ બધું ક્યાંથી કાઢવું? મારો પૂરો પરિવાર આના પર જ નિર્ભર છે. આજે લારી બંધ છે તો અમને ખાવા-પીવાની પણ તકલીફ પડી રહી છે.
વેપારી મયુર માછીએ જણાવ્યું હતું કે, સાહેબ બહુ જ તકલીફ પડી રહી છે. અમે ગરીબ માણસ છીએ. દિવસનો માંડ 1000-2000નો ધંધો થાય છે અને એમાં અમારે ઘર ચલાવવાનું હોય છે. દુકાનનું 5000 રૂપિયા તો ભાડું આપવાનું હોય છે. હવે અત્યારે ગેસના બોટલ મળતા નથી એટલે મજબૂરીમાં અમારે લાકડા અને કોલસાના ચૂલા પર ધંધો કરવો પડે છે. પહેલાં 2000-3000 રૂપિયાની ઘરાકી રહેતી હતી પણ અત્યારે ધંધો સાવ ઠપ થઈ ગયો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી હાલત બહુ ખરાબ છે. ઘરનું 7000 રૂપિયા જેવું ભાડું ચડી ગયું છે. એક લાખ રૂપિયાની લોન ચાલી રહી છે, જેના હપ્તા પણ બાઉન્સ થઈ રહ્યા છે. ગેસની આ કન્ડિશનને કારણે ફેમિલી ચલાવવું હવે મુશ્કેલ બની ગયું છે. હું જ્યારે બોટલ લેવા ગયો ત્યારે મને 4500 રૂપિયા જેવો ભાવ કહેવામાં આવ્યો હતો. બ્લેકમાં પણ ત્રણ ગણા ભાવ વસૂલવામાં આવે છે. અત્યારે જો અમે બુકિંગ કરાવીએ તો પણ 1800-2000 રૂપિયા જેવો ભાવ માંગે છે. આટલા મોંઘા ભાવે બોટલ લઈને ધંધો કરવો અમારા જેવા નાના વેપારીઓ માટે શક્ય નથી.
વેપારી યશકુમારે જણાવ્યું હતું કે, હવે શું કરીએ ભાઈ ગેસ સિલિન્ડર મળતા નથી, બ્લેકમાં મળવાનું પણ બંધ થઈ ગયું છે અને કોમર્શિયલ પણ નથી મળતા એટલે અત્યારે અમે કોલસા નાખીને ચૂલાથી કામ ચલાવીએ છીએ. બહુ જ મુશ્કેલી પડે છે. કામ બહુ ધીમે થાય છે. પહેલા જેવો ધંધો થતો હતો, એના કરતા અત્યારે ઘણો ઓછો ધંધો થાય છે. ધંધામાં બહુ મોટી અસર પડી છે. ગેસ કરતા ચૂલામાં સમય ઘણો વધારે લાગે છે. જે કામ ગેસ પર 5-10 મિનિટમાં થઈ જતું હતું, એમાં હવે અડધો કલાક કે તેથી વધુ સમય જાય છે. ઘણા ગ્રાહકો રાહ નથી જોતા અને આગળ નીકળી જાય છે. અત્યારે તો અમે આ ચૂલો ચાલુ કર્યો છે પણ ધીમે-ધીમે આ લાઈનમાં બધાએ જ આવું કરવું પડશે કારણ કે, બોટલ તો ખતમ થઈ જશે. અમારી પાસે જે હતા એ પૂરા થઈ ગયા છે અને નવા મળતા નથી.
ગુજરાતમાં હાલમાં વેસ્ટ એશિયાના સંઘર્ષ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં વિક્ષેપને કારણે એલપીજી (ગેસ સિલિન્ડર)ની સપ્લાયમાં તંગી જોવા મળી રહી છે. ઘણા એજન્ટો કહી રહ્યા છે કે બાટલાની ટ્રકો આવી રહી નથી, જેથી બુકિંગ થતી નથી અને ડિલિવરીમાં વિલંબ થઈ રહ્યો છે. આ સમસ્યા મુખ્યત્વે કોમર્શિયલ સિલિન્ડરોને અસર કરી રહી છે, જેના કારણે રેસ્ટોરન્ટ અને હોટેલોમાં થાળીમાં 4 શાકના બદલે હવે માત્ર 2 જ શાકના વિકલ્પ આપવામાં આવી રહ્યા છે અને કેટલીક જગ્યાએ ઓપરેશન્સ પણ અટકી ગયા છે.
બીજી તરફ, ઘરગથ્થુ ઉપયોગ માટે સરકારે ઔદ્યોગિક ગેસનું 50% કાપ કરીને પ્રાથમિકતા આપી છે, પરંતુ પેનિક બુકિંગને રોકવા બુકિંગ વચ્ચેનો ગેપ 25 દિવસ સુધી વધારી દેવામાં આવ્યો છે. આ તંગીને કારણે લોકો ઇન્ડક્શન સ્ટવ તરફ વળ્યા છે, જેથી ઇલેક્ટ્રોનિક દુકાનો અને ઓનલાઈન પ્લેટફોર્મ પર ઇન્ડક્શન સગડીઓનો સ્ટોક ઝડપથી ખાલી થઈ રહ્યો છે અને સેલ્સમાં અચાનક ધમાકો થયો છે.
જોકે, પેટ્રોલ પંપ પર કોઈ હાડમારી કે લાંબી કતારો જોવા મળી રહી નથી કારણ કે, પેટ્રોલ-ડીઝલની સપ્લાય હજુ સ્થિર છે અને ફક્ત અફવાઓથી કેટલીક જગ્યાએ અસ્થાયી રશ જોવા મળ્યો હતો. સરકાર અને તેલ કંપનીઓ વધુ પ્રોડક્શન અને વૈકલ્પિક સ્ત્રોતો દ્વારા સ્થિતિ સુધારવાના પ્રયાસ કરી રહી છે, પરંતુ હાલમાં ઘરેલુ રસોડાઓમાં ચિંતા વધી રહી છે.
વડોદરામાં પણ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી છે. ગેસની અછતથી રેસ્ટોરન્ટ બંધ કરવી પડી છે. ઘરેલુ ગેસ માટે સિલિન્ડર લેવા માટે લોકોની કતારો જોવા મળી છે. કાળઝાળ ગરમીમાં લોકો કતારોમાં ઉભા રહે છે. નોકરી ધંધા છોડીને લોકો કતારમાં ઉભા રહેવા મજબૂર બન્યાં છે. ઈફકોના ચેરમેન દિલીપ સંઘણીએ કહ્યું હતું કે, ગેસની અછત માત્ર ગુજરાત નહીં સમગ્ર દેશમાં છે. ઘરેલુ ગેસને અત્યારે પ્રથમ પ્રાથમિકતા અપાઈ રહી છે. ઉદ્યોગોના ગેસ સપ્લાયમાં મોટો કાપ મુકવામાં આવ્યો છે. સરકારની ગાઈડ લાઈન મુજબ લોકોએ વર્તવું જોઈએ.
રાજકોટમાં લગ્ન પ્રસંગના જમણવાર પર અસર
રાજકોટમાં ગેસની અછતને કારણે લગ્ન પ્રસંગોમાં અસર જોવા મળીછે. કેટરર્સના ધંધાર્થીઓ વધુ પૈસા આપીને સિલેન્ડર ખરીદે છે. ઘણા કેટરર્સે કાળા બજારમાં ઊંચા ભાવ આપીને સિલેન્ડર ખરીદ્યા છે. લગ્નનો જમણવાર પણ અટકી જવાની દહેશત વ્યક્ત કરાઈ છે. જે જરૂરિયાત છે તેના કરતાં ગેસનો અડધો જ પૂરવઠો મળ્યો છે. કેટરર્સને ભવિષ્યમાં મોટા પ્રસંગો બગડવાની ચિંતા સતાવી રહી છે. બીજી તરફ રાજકોટમાં પુરવઠા વિભાગે હોટેલ અને રેસ્ટોરન્ટમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે. ઘરેલુ ગેસનો વપરાશ રોકવા ચેકિંગ હાથ ધરાયું છે. દીપ સેન્ડવીચ ફાસ્ટ ફૂડમાંથી ગેસ જપ્ત કરાયો છે.
બીજી તરફ સુરતમાં પણ ફરસાણના અનેક વેપારીઓને ત્યાં ગેસની અછત જોવા મળી છે. સુરતી લોચો, ખમણ અને જલેબીનો વેપાર કરતા ફરસાણના વેપારીઓ ગેસની અછતને કારણે મુશ્કેલીમાં મુકાયા છે. સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં પણ ગેસની અછત સર્જાઈ છે. ગેસ સિલિન્ડરનો પુરવઠો ખોરવાઈ જતાં ઉત્પાદન અટકી પડ્યું છે. ગેસ વિના હજારો મીટર કાપડનું ઉત્પાદન અટકી પડ્યું છે. કારખાના બંધ કરવાની નોબત આવતા ઉદ્યોગકારો પણ ચિંતામાં મુકાયા છે. નવસારી જિલ્લામાં પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો પુરવઠો બંધ થતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
ગ્રામીણ વિસ્તારોમાં હવે 45 દિવસે મળશે ગેસ સિલિન્ડર
ઈરાન સંકટ અને દેશમાં એલપીજી (LPG) ગેસ સિલિન્ડરની વધતી અછતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. ગેસ સિલિન્ડરની સતત વધી રહેલી માંગ અને મર્યાદિત પુરવઠાને પહોંચી વળવા માટે હવે બુકિંગના સમયગાળામાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા આદેશ મુજબ, ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ગ્રાહકોને હવે આગામી સિલિન્ડર માટે લાંબી રાહ જોવી પડશે. અત્યાર સુધી ગ્રામીણ વિસ્તારોમાં ગેસ સિલિન્ડરના રિફિલિંગ માટેનું બુકિંગ 25 દિવસના અંતરે કરી શકાતું હતું. એટલે કે, એક સિલિન્ડર લીધાના 25 દિવસ પછી તમે બીજું બુક કરી શકતા હતા. પરંતુ હવે આ મર્યાદા વધારીને 45 દિવસ કરી દેવામાં આવી છે. સરકારના આ નિર્ણયનો સીધો અર્થ એ છે કે હવે ગામડાના લોકોએ એક સિલિન્ડરથી દોઢ મહિનો ચલાવવો પડશે, ત્યારબાદ જ તેઓ નવું બુકિંગ કરાવી શકશે.
આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉભું થયેલું ઈરાન સંકટ છે. ભારત પોતાની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત કરે છે, અને વર્તમાન પરિસ્થિતિમાં એલપીજીના પુરવઠા પર અસર પડી છે. માંગ અને પુરવઠા વચ્ચેનું સંતુલન જાળવવા અને ગેસનો બગાડ અટકાવવા માટે સરકારે આ પગલું ભર્યું છે જેથી દરેક પરિવાર સુધી ગેસ પહોંચાડી શકાય.
લોકો પર શું થશે અસર?
ગ્રામીણ વિસ્તારોમાં મોટા પરિવારો હોવાને કારણે ગેસનો વપરાશ વધુ હોય છે. 45 દિવસનો આ નવો નિયમ સામાન્ય લોકો માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. લોકોએ હવે રસોઈ ગેસનો ઉપયોગ ખૂબ જ કરકસરપૂર્વક કરવો પડશે. ઘણા પરિવારોએ ફરીથી પરંપરાગત ચૂલા અથવા વૈકલ્પિક ઇંધણ તરફ વળવું પડે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.
સુરતમાં અંદાજે 16,000 જેટલા વીવિંગ એકમો કાર્યરત છે, જે મુખ્યત્વે ગેસ અને કોલસા પર નિર્ભર છે. છેલ્લા કેટલાક દિવસોથી 19 કિલો, 47 કિલો અને 420 કિલોના કોમર્શિયલ સિલિન્ડરોનો સપ્લાય લગભગ બંધ થઈ ગયો છે. પરિણામે, ઉત્પાદન પ્રક્રિયા અટકી પડી છે. જો વહેલી તકે ગેસનો જથ્થો પૂરો પાડવામાં નહીં આવે, તો આ એકમોને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવું પડશે. ઉદ્યોગકારો જણાવી રહ્યા છે કે જો કારખાના બંધ થશે તો હજારો કારીગરો બેરોજગાર થશે. અછતને કારણે જનતા અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર અને ગેસ કંપનીઓ આ વૈશ્વિક કટોકટી વચ્ચે સુરતના ઉદ્યોગોને બચાવવા માટે શું વૈકલ્પિક વ્યવસ્થા કરે છે તેના પર સૌની નજર છે. યુદ્ધની અસર હવે સુરતના રસોડાથી લઈને કારખાના સુધી પહોંચી, 19kg થી 420kg ના સિલિન્ડર મળતા બંધ થતા વીવિંગ અને ટેક્સટાઇલ માર્કેટની સ્થિતિ કફોડી બની છે જેના પગલે વહેલી તકે ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે.
લાકડા-સિલિન્ડર સાથે વિધાનસભામાં કોંગ્રેસનો વિરોધ
દેશ અને રાજ્યમાં ગેસની અછતના મુદ્દે કોંગ્રેસે આજે(13 માર્ચ) ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા બહાર અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યો ગેસના બાટલા સાથે લાકડા અને છાણા લઈને વિધાનસભા બહાર પહોંચ્યા અને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ગેસ સપ્લાયની અછતને કારણે સામાન્ય લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને સરકાર આ મુદ્દે યોગ્ય પગલાં લેવામાં નિષ્ફળ રહી છે.
કોંગ્રેસના ધારાસભ્ય અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આજે લોકો ગેસના સિલિન્ડર માટે લાંબી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. ગૃહિણીઓને ગેસ મેળવવા માટે દરદર ભટકવું પડે છે, જે સરકારની નીતિની નિષ્ફળતા દર્શાવે છે. તેમણે કહ્યું કે મોંઘવારી વચ્ચે ગેસની અછતથી લોકો વધુ મુશ્કેલી અનુભવી રહ્યા છે અને ઉદ્યોગો પર પણ તેની નકારાત્મક અસર પડી રહી છે.
અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન અમેરિકા સામે સરેન્ડર થયા હોવાના કારણે પેટ્રોલિયમ અને ગેસ સપ્લાયના મુદ્દે દેશના હિતોને નુકસાન થયું છે. સરકારએ તાત્કાલિક ગેસ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની પૂરતી સપ્લાય સુનિશ્ચિત કરવી જોઈએ, જેથી જનતાને રાહત મળે.
LPGના વિકલ્પમાં કેરોસીન અપાશે
દેશભરમાં LPGની અછત ઉભી થઈ રહી છે, જેના કારણે કેટલીક હોટલો અને રેસ્ટોરન્ટ બંધ કરવાની ફરજ પડી છે. દરમિયાન, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે ગુરુવારે જાહેરાત કરી હતી કે કેટલાક કોમર્શિયલ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) સિલિન્ડર જારી કરવામાં આવશે અને રાજ્ય સરકારો લાભાર્થીઓની ઓળખ કરશે. મંત્રાલયે એમ પણ જણાવ્યું હતું કે LPGના વિકલ્પ તરીકે રાજ્યોને 40,000 કિલોલિટર વધારાનું કેરોસીન પૂરું પાડવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે સરકાર દર ક્વાર્ટરમાં રાજ્યોને આશરે 100,000 કિલોલિટર કેરોસીન પૂરું પાડે છે. તેમણે ઉમેર્યું- આજે ઓર્ડર આપવામાં આવ્યો છે અને રાજ્ય સરકારોને વધુ 48,000 કિલોલિટર કેરોસીન આપવામાં આવશે.
સિલિન્ડર બુકિંગ માટે નવ હેલ્પલાઇન નંબર જાહેર
ભારત ગેસના ગ્રાહકો માટે કંપનીએ અત્યંત આધુનિક અને યુઝર-ફ્રેન્ડલી સિસ્ટમ તૈયાર કરી છે. જો તમે ભારત ગેસનો ઉપયોગ કરો છો, તો સૌથી સરળ રસ્તો WhatsApp બુકિંગનો છે. કંપનીના સત્તાવાર નંબર 1800-22-4344 પર માત્ર “Hi” લખીને મોકલવાથી તમે બુકિંગની પ્રક્રિયા શરૂ કરી શકો છો. કંપનીનો ટોલ-ફ્રી નંબર 1800-22-4344 ચોવીસ કલાક ઉપલબ્ધ છે. વધુમાં, જે ગ્રાહકો ઇન્ટરનેટનો ઉપયોગ નથી કરતા, તેમના માટે SMS અને IVRS સુવિધા પણ ઉપલબ્ધ છે. તમે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 7715012345 અથવા 7718012345 પર “LPG” લખીને મેસેજ કરી શકો છો. ઈન્ડેન ગેસના ગ્રાહકો માટે પણ કંપનીએ બુકિંગ પ્રક્રિયાને ડિજિટલ બનાવી દીધી છે. ટોલ-ફ્રી નંબર 1800-2333-555 પર કોલ કરી શકો છો. આ નંબર પર તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી કોલ કરવાથી ઓટોમેટેડ સિસ્ટમ દ્વારા તમારો ઓર્ડર સ્વીકારવામાં આવે છે. આ સિવાય ઈન્ડેન ગેસે પણ WhatsApp બુકિંગની સુવિધા આપી છે. ગ્રાહકો 92249 92249 (અથવા કંપની દ્વારા જાહેર કરાયેલ લેટેસ્ટ નંબર 7718955555) પર મેસેજ કરીને પણ પોતાનો સ્લોટ બુક કરાવી શકે છે.
એચપી ગેસના ગ્રાહકો માટે સૌથી લોકપ્રિય સુવિધા ‘મિસ્ડ કોલ’ બુકિંગ છે. જો તમે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 94936 02222 પર માત્ર એક મિસ્ડ કોલ આપો છો, તો તમારો ગેસ સિલિન્ડર ઓટોમેટિકલી બુક થઈ જાય છે. આ ઉપરાંત, કંપનીનો મુખ્ય ટોલ-ફ્રી નંબર 1800-233-3555 પણ બુકિંગ અને પૂછપરછ માટે હંમેશા કાર્યરત છે. WhatsApp યુઝર્સ માટે એચપી ગેસે 92222 01122 નંબર જાહેર કર્યો છે, જ્યાં “BOOK” અથવા “Hi” લખીને મોકલવાથી તરત જ પ્રતિસાદ મળે છે. જો તમે SMS દ્વારા બુકિંગ કરવા માંગતા હોવ, તો 88888 23456 પર “HPGAS” લખીને મેસેજ મોકલી શકાય છે.


