- અગ્નિમાં તપીને સોનું જેવી રીતે શુદ્ધ અને ચમકદાર બને છે તેવી રીતે યજ્ઞદર્શનને અપનાવીને મનુષ્ય ઉત્કૃષ્ટતાનાં શિખરો પર ચઢે છે અને દેવતત્ત્વના રસ્તે આગળ વધે છે
યજ્ઞોના મહિમાનો કોઈ અંત નથી. યજ્ઞ ભારતીય સંસ્કૃતિ અનુસાર ઋષિ-મુનિઓ દ્વારા જગતને આપવામાં આવેલી એવી મહત્વપૂર્ણ દેન છે, જેને સૌથી વધારે ફળદાયી તથા પર્યાવરણ શુદ્ધ રાખવાનો આધાર માનવામાં આવે છે.
`અર્થ યજ્ઞો વિશ્વસ્ય ભુવનસ્ય નાભિ:।’ (અથર્વવેદ 9,15,14)
કહીને ઋષિઓએ યજ્ઞને સંસારની સૃષ્ટિનો આધારબિંદુ કહ્યો છે.
શ્રીકૃષ્ણએ કહ્યું છે કે,
સહયજ્ઞા: પ્રજા: સૃષ્ટા પુરોવાય પ્રજાપતિ:।
અનેન પ્રસવિષ્યધ્વમેષ વોડસ્તિવષ્ટ કામધુક્॥
અર્થાત્ પ્રજાપિતા બ્રહ્માએ કલ્પના આદિમાં યજ્ઞસહિત પ્રજાઓને રચીને તેમને કહ્યું કે તમે લોકો આ યજ્ઞકર્મ દ્વારા વૃદ્ધિ મેળવશો અને યજ્ઞ તમને લોકોને ઈચ્છિત ભોગ પ્રદાન કરનારો હો. સંસ્કૃતના યજ્ઞ ધાતુથી બનેલો શબ્દ યજ્ઞ દેવ, પૂજન, દાન તથા દુનિયાને સમર્થ-સશક્ત બનાવનારી સત્તાઓના સંગતીકરણના અર્થમાં પરિભાષિત થશે.
આ પ્રમાણે યજ્ઞ દિવ્ય પ્રયોજનો માટે સંગઠિત રૂપે અનુદાન પ્રસ્તુત કરે છે. આ જ છે તે પુણ્ય પ્રવૃત્તિ કે જેને કારણે નગર પશુને નારાયણ બનવાનો અવસર મળે છે.
અગ્નિમાં તપીને સોનું જેવી રીતે શુદ્ધ અને ચમકદાર બને છે તેવી રીતે યજ્ઞદર્શનને અપનાવીને મનુષ્ય ઉત્કૃષ્ટતાનાં શિખરો પર ચઢે છે અને દેવતત્ત્વના રસ્તે આગળ વધે છે.
મહર્ષિ દયાનંદે યજ્ઞના મહત્ત્વનું વર્ણન કરતાં એક બહુ સારું ઉદાહરણ આપ્યું છે. તેમણે લખ્યું છે કે, `ઘરમાં એકાદ કિલો જીરું પડ્યું હોય તો તેની સુગંધ કોઈને પણ નથી આવતી, પરંતુ ઘરની ગૃહિણી તેમાંથી બે ગ્રામ જીરું લઈને જ્યારે તેનો વઘાર કરે છે ત્યારે તે ઘરની સાથેસાથે આજુબાજુનાં ઘર અને વાતાવરણ પણ સુગંધમય બની જાય છે. યજ્ઞની ઊર્જા પણ આ રીતે સમગ્ર વાતાવરણમાં પ્રસરે છે અને વાતાવરણને શુદ્ધ બનાવે છે.’
આપણાં શાસ્ત્રોમાં ઉલ્લેખ જોવા મળે છે કે રાજા દશરથે પુત્રેષ્ટિ યજ્ઞ કરીને ચાર પુત્રો મેળવ્યા હતા.
દેવરાજ ઈન્દ્રએ પણ યજ્ઞો દ્વારા જ બધું મેળવ્યું હતું. પાપોના પ્રાયશ્ચિત્ત સ્વરૂપ અનિષ્ટો અને પ્રારબ્ધજન્ય દુર્ભાગ્યોની શાંતિ માટે, કોઈ અભિષ્ટની પૂર્તિ માટે, વાયુમંડળમાંથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતાં તત્ત્વોનું અવમૂલ્યન કરવા માટે હવન-યજ્ઞ વગેરે કરવામાં આવતા હતા અને તેનું પરિણામ પણ એવું જ શુભ ફળદાયી હતું.
આજના સમયમાં જે રીતે વિવિધ પ્રકારની શક્તિઓ કે ઊર્જા કોલસો, પાણી, પેટ્રોલ, એટમ દ્વારા ઉત્પન્ન કરવામાં આવી રહી છે, તે જ રીતે પ્રાચીનકાળમાં યજ્ઞકુંડો અને વેદીઓમાં અનેક રહસ્યમય મંત્રો તથા વિધાનો દ્વારા ઉત્પન્ન કરવામાં આવતી હતી. આજે વિવિધ પ્રકારનાં મશીન અનેક પ્રકારનાં કાર્ય કરે છે, તે જ રીતે પ્રાચીનકાળમાં મંત્રો અને યજ્ઞોના સંયોગથી એવી શક્તિઓનો આવિર્ભાવ થતો હતો.