- અમરેલીના રામપરા-2 ગામમાં સિંહને લઈ ગ્રામજનોમાં ભય
- રામપરા 2 ગામના સરપંચે વન મંત્રી મુળુ બેરાને લખ્યો પત્ર
- સરપંચે વન વિભાગની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ
અમરેલીના રાજુલામાં આવેલ રામપરા ગામના સ્થાનિકોએ ભેગા મળીને વનમંત્રી મુાળુભાઈ બેરાને પત્ર લખ્યો છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે સિંહ વારંવાર રાત્રીના સમયે ગામમાં ઘુસી જાય છે અને પશુનુ મારણ કરે છે તેના લીધે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.વન વિભાગ પગલા ન લેતું હોવાની લેખિતમાં રજૂઆત કરાઈ છે.
વન વિભાગ કહે છે પૂરતો સ્ટાફ નથી : સરપંચ
ગામના સરપંચનુ કહેવું છે કે અવાર-નવાર વન વિભાગને પણ રજૂઆત કરી છે પણ વન વિભાગ કોઈ કામગીરી કરતુ નથી,અને વન વિભાગનું કહેવું છે કે સ્ટાફ ઓછો હોવાથી પહોંચી નથી વળાતુ.ગ્રામજનોનો આક્ષેપ છે કે 15 દિવસમાં 7 થી 8 સિંહો આવી ગયા છે.ખેડૂતોને રાતના સમયે ગામમાં આવવુ મુશ્કેલ થઈ ગયું છે.
વન વિભાગના મંત્રીને લખ્યો પત્ર
ગ્રામજનોએ ભેગા મળીને વનમંત્રીને પત્ર લખ્યો છે.ગામની અંદર અવાર-નવાર સિંહ આવે છે અને પશુનુ મારણ કરે છે તેને લઈ ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળી છે.સિંહ દિવાલ કુદીને પશુનુ મારણ કરે છે.અવાર નવાર રાતના સમયે ગામની ગલીઓમાં સિંહો જોવા મળે છે.ગામ લોકો અને ખેડૂતોને રાતના સમયે આવવા જવામાં મુશ્કેલી પડી રહી છે વહેલી તકે નિરાકરણ લાવવા વન મંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે.
અમરેલીના ધારીમાં પણ સિંહના આંટાફેરા
ધારીના હુડલી ગામની શેરીઓમાં સિંહે રાત્રી દરમિયાન લટારી મારી હતી. અહીં અવાર-નવાર સાવજો ગામમાં પ્રવેશતા હોવાથી ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો હતો. જો કે અહીં સિંહે પશુનુ મારણ કર્યું ન હતું.ચોમાસાંની શરૂઆત થઈ ગઇ છે. ગીર પંથકમાં કેટલાક વિસ્તારમાં ચોમાસું વાવેતર થઈ ગયું છે. પરંતુ જંગલી ભુંડ અને રોજના કારણે ખેડૂતો વાડીએ રખોપું કરવા માટે જતા હોય છે. આવી સ્થિતિમાં સિંહ અને દિપડા જેવા વન્યપ્રાણીઓ અવાર-નવાર રેવન્યુ વિસ્તારમાં આવી ચડતા હોય છે. જેના કારણે ખેડૂતો ભયભીત બન્યા છે.


