નવી દિલ્હીમાં વિપક્ષી નેતાઓની બેઠક મળી તેમાંથી શું નીપજ્યું તે ભાગ્યે જ કોઈને સમજાયું અને મિટિંગ ચા બિસ્કિટમાં થયાનો કટાક્ષ એક સાંસદે જ કર્યો
પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો પછી વિપક્ષી નેતાઓની બેઠક નવી દિલ્હીમાં બે દિવસ પહેલાં મળી ત્યારે તેમાંથી કશુંક નક્કર નીકળશે એવી ધારણા ખોટી પડે છે. ફરી એક વાર ઇન્ડિયા ગઠબંધનનું ગાડું રગશિયું સાબિત થયું છે. આ ગતિએ ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ હશે ત્યારે પણ હજી બેઠકોનો એજન્ડા જ નક્કી થઈ રહ્યો હશે. એજન્ડા નક્કી કરવાનો સમય ક્યારનોય વીતિ ગયો છે. હવે ચૂંટણીના મેદાનમાં ઉતરીને તૈયારીઓનો અમલ કરવાનો સમય છે, પણ હજી સુધી ઘણી બાબતો એવી છે જેની અસમજ ઊભી છે. હકીકતમાં જેડીયુના એક સાંસદે કટાક્ષ કર્યો તેના પરથી અંદાજ આવી શકશે કે આ બેઠકમાં કેમ બધું અસ્પષ્ટ હતું. આ સાંસદે કહ્યું કે આ વખતે માત્ર ચા અને બિસ્કિટમાં મિટિંગ પતી ગઈ. સમોસા પણ આવ્યા નહીં. ગયા વખતે સમોસામાં પણ હતા.
સમોસા વિના કેવી રીતે સ્ટ્રેટેજી તૈયાર થશે એ સમજવું મુશ્કેલ બન્યું છે, કેમ કે ઉપર મેંદાના લોટનું આવરણ નક્કી છે, પણ સમોસાની અંદર કેવા કેવા ઇન્ગ્રેડિયન્ટ નાખશો એ મોસમ અને તબિયતના હિસાબે નક્કી થતા હોય છે. અંદર બટેટા અને ચણાના મિક્સરથી લઈને સૂકા મેવાના ટુકડા અને મીઠી દ્રાક્ષના દાણા સહિતનું ઘણું બધું નાખી શકાય છે. વિપક્ષે એકતા ઊભી કરવી હશે તો ઘણું બધું મોણ પણ નાખવું પડશે એ આમ સૌ સમજે છે અને આમ જાણે કોઈ નેતાની સમજમાં ના આવતું હોય તેવો વ્યવહાર થઈ રહ્યો છે.
દાખલા તરીકે સમગ્ર રીતે ભાજપ સામે વિપક્ષી એકતાની વાતો વચ્ચે એસપીના નેતા અખિલેષ યાદવે ખાંડા ખખડાવ્યા કે ભાળ્યું જો બીએસપી અને માયાવતીને ભેળા લીધા છે તો. કોંગ્રેસ બીએસપીને સાથે લેવાની તૈયારીમાં છે. બીએસપીએ પણ જિલ્લા પ્રમુખો પાસે સર્વે કરાવ્યો હતો કે કોંગ્રેસ સાથે જોડાણ થાય તો કેમનું રહે. તેમાં પોઝિટિવ રિસપોન્સ મળ્યો તે પછી એસપી ભડક્યું છે, કેમ કે ઉત્તર પ્રદેશમાં એસપી મુખ્ય પક્ષ રહેશે અને કોંગ્રેસ તેના પગલે ચાલશે એવી ખાતરી રાહુલ ગાંધીએ આપ્યા પછી તેમાં બીએસપી ઉમેરાવાનું હોય તો સખળડખળ થાય.
સખળડખળ તો થઈ જ રહ્યું છે. તમે જુઓ કે કોંગ્રેસ તરફથી નહીં, પરંતુ મમતા બેનરજી તરફથી સૂચન આવ્યું કે કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેને આગળ કરો. તેમને કન્વિનર બનાવો. આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ તેને ટેકો આપ્યો. એવી ચર્ચા છે કે બીએસપી સાથે ગઠબંધન કરીને ખડગેને ઉત્તર પ્રદેશની કોઈ બેઠક પરથી લડાવવા. તેના કારણે બિનજાટવ મતો ભાજપ તરફ જાય છે તેને તથા બીએસપીના હજીય 13 ટકા જેટલો મતો વધ્યા છે તેને આકર્ષી લેવા. પંજાબમાં બીએસપી મતો વિખેરી ના નાખે તે જોવાની ચિંતા આપને છે એટલે દલિત મતોને સીધા આકર્ષવા માટે બીએસપી કોંગ્રેસ સાથે આવે કે ઇન્ડિયા ગઠબંધનમાં આવે તેમાં આપને પણ વાંધો નથી. પરંતુ કોંગ્રેસનું પોતાનું આંતરિક કમઠાણ હજીય શમ્યું નથી એટલે કોઈ નક્કર બાબત બેઠકમાંથી બહાર આવી નથી.
ડિસેમ્બરના અંત સુધીમાં બેઠકોની વહેંચણીનો નિર્ણય લેવાઈ જશે એવું કહેવાયું છે તેમાં પણ ભરોસો બેસે એવો નથી. ટૂંકમાં ભાજપની 2024ની નીતિ ક્યારનીય અમલમાં આવી ગઈ છે, ત્યારે વિપક્ષમાં હજી પ્રાથમિક ધોરણે ચર્ચાઓ શરૂ થઈ છે. ગાડાનો શણગાર થઈ રહ્યો છે અને બળદોને ધમારીને જોડવા માટેની હજી તૈયારીઓ થઈ રહી છે. બીજી બાજુ ભાજપનો રથ આગળ નીકળી ગયો છે, કેમ કે પાંચ રાજ્યોની ચૂંટણી પહેલાં જ ભાજપે નરેન્દ્ર મોદીના નામે જ ચૂંટણીઓ લડવાની છે તેનો પ્રયોગ સફળતાપૂર્વક કરી પણ નાખ્યો છે.