ગુજરાતમાં ધરતીકંપ પછી ભારતમાં આપત્તિ વખતે બચાવ કાર્યમાં કાર્યક્ષમતા માટેના પ્રયાસો શરૂ થયા હતા તે હવે આજે ફળ લાવી રહ્યા છે અને મેઘાયલના ઉંદરિયા ખાણિયાઓએ કમાલ કરી બતાવી
ઉત્તરકાશી નજીક બની રહેલી સાડા ચાર કિમી લાંબી સિલ્કયારા બાલકોટ ટનલમાં આખરે 41 કામદારોને સલામત રીતે બહાર કાઢી લેવાયા. 17મો દિવસ થઈ ગયો હતો, પણ મંગળવારે આખરે મંગળમય સમાચાર આવ્યા. વચ્ચેના દિવસોમાં એક એક દિવસ લંબાતો જતો હતો ત્યારે ચિંતા થતી હતી. આધુનિક મશીનો મગાવીને કામ કરાયું, પણ આખું મશીન જ તૂટી પડ્યું. ગંજાવર હિમાયલની પહાડીઓ એમ જલદી મચક ના પણ આપે. પણ આખરે મેઘાલયમાં કોલસાની ખાણો કોતરી કાઢનારા રેટ માઇનર્સ (એટલે કે ઉંદરિયા ખાણિયા) તરીકે જાણીતા મજૂરોએ કામ પૂરું કરી આપ્યું.
કેન્દ્ર સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને તરત કામ લગાડી હતી. સેનાના વિવિધ વિભાગોની કામગીરી પણ અગત્યની છે. બોર્ડર રોડ માટે અલગ ઓર્ગેનાઇઝેશન છે, કેમ કે બરફિલા પહાડોમાં રસ્તા બનાવવાનું કામ સહેલું નથી. સેનાના એન્જિનિયરો મુશ્કેલી સ્થિતિમાં કામ કરવા તાલીમ પામેલા હોય છે. તેમની પણ મદદ લેવાઈ હતી. વિદેશી કન્સલ્ટન્ટ પણ બોલાવી લેવાયા કે જેમણે ટનલના અઘરા કામનો અનુભવ હોય. ઉત્તરાખંડની રાજ્ય સરકાર માટે આ પ્રાયોરિટી હતી એટલે સતત સીએમ અને બીજા અધિકારીઓ ઉપલબ્ધ રહેતા હતા.
એક તરફ બચાવ કાર્ય ચાલતું હતું, ત્યારે બીજી તરફ કામદારો બહાર આવે ત્યારે તેમને કેવી રીતે સંભાળી લેવાના છે તેનું કામ પણ ચાલતું હતું. સાથે જ માહિતી આપવાનું, અંદર ફસાયેલા લોકોના પરિવારો સાથે સંપર્ક કરવાનું, અંદર હોય તે લોકોને હૈયાધારણ આપવાનું અને તેમની સાથે માનસશાસ્ત્રીઓ વાતચીત કરે ત્યાં સુધીનું ઝીણામાં ઝીણું આયોજન થયું હતું.
આધુનિક રાષ્ટ્ર બનવા માટે આ પ્રકારની તૈયારીઓ પણ તંત્રે કરવાની જરૂર હોય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે તેમાં પણ આ પ્રકારની ચેલેન્જ આવી શકે છે. બે પ્રકારની ચેલેન્જ હોય છે – એક તો હિમાલયના પહાડો બહુ નાજુક છે અને ખડકોથી બનેલા બહુ મજબૂત નથી. ત્યારે તેની અંદર બોગદું બનાવીને કામ કરવું એ પણ એક ચેલેન્જ છે. બે ઊંચી પહાડીઓ વચ્ચે સેંકડો મીટરની ઊંડી ખીણ હોય તેને વટાવી જવા બ્રીજ બનાવવો તે પણ એક ચેલેન્જ હોય છે. શ્રીનગર સુધી પહોંચનારી ટ્રેન માટે સૌથી ઊંચો રેલવે બ્રીજ ભારતે બનાવ્યો છે. દક્ષિણ ભારતમાં વર્ષો પહેલાં કોંકણ રેલવે બનાવવામાં આવી ત્યારે પ્રથમવાર ભારતના એન્જિનિયરિંગ સેક્ટરને એક પ્રોત્સાહન મળ્યું હતું કે અઘરા પ્રોજેક્ટ્સ પાર પાડી શકાય છે.
સાથે જ કુદરતી આપત્તિ આવે કે માનવીય આપત્તિ આવે, ત્યારે બચાવ કાર્યમાં એટલી જ કુશળતાની જરૂર હોય છે. દાખલા તરીકે વાવાઝોડાથી આ તરફ ગુજરાત અને પેલી તરફ આંધ્ર અને પશ્ચિમ બંગાળને વારંવાર નુકસાન થતું રહ્યું છે. તેમાંથી શીખ મેળવીને વાવાઝોડું આવે ત્યારે પૂર્વતૈયારીઓની એક પદ્ધતિ તૈયાર થઈ ગઈ છે. એટલે વાવાઝોડાની હવે એ અર્થમાં ચિંતા રહી નથી. (હવે માવઠાં પણ દર વર્ષે આવવાના છે ત્યારે તેના કારણે ખેડૂતોને પાકનું નુકસાન થાય છે તે ટાળવા માટે ઉપાયો કરવાની જરૂર છે. પ્રધાનો આગાહી કરવાના બદલે તેની પદ્ધતિ વિકસાવે તે સમય આવી ગયો છે.) એ જ રીતે ગંજાવર પ્રોજેક્ટ ચાલતા હોય ત્યારે તેમાં આ પ્રકારની દુર્ઘટના સર્જાય ત્યારે તેમના બચાવ કાર્ય માટેની પણ એક પદ્ધતિ આધુનિક રાષ્ટ્રો જેવી જોઈએ.
એ કામ ઉત્તરકાશીમાં થઈ શક્યું છે. તેમાં સૌથી આનંદની વાત એ છે કે આધુનિક સાધનો અને મશીનોની સાથે જ છેલ્લે આપણા દેશી મજૂરોની તાકાતનો પણ ઉપયોગ થયો. મેઘાલયમાં અને ઈશાન ભારતમાં પહાડીઓમાં અંદર કોલસો નીકળે છે. તે કાઢવા માટે સ્થાનિક મજૂરો નાના નાના બોગદા કરીને કેટલાય મીટર અંદર ઉતરી જાય છે. અંદરથી બાવડાની તાકાતથી તગારા ભરીને કોલસો લઈ આવે છે. તેની કેટલીક સમસ્યા છે, પણ તે એક અલગ વિષય છે. આજે તેમના બાવડાની તાકાત પણ ભારતની અત્યાધુનિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષમતા સાથે જોડાઈ ગઈ તે દુનિયા માટે એક ટેસ્ટ કેસ બન્યો છે.