ગાઝા યુદ્ધ વખતે ભારતે લીધેલા વલણને હવે અનુમોદન મળવા લાગ્યું છે ત્યારે કહી શકાય કે વિદેશ નીતિની પરિપક્વતા ફળદાયી સાબિત થવા લાગી છે
ગાઝા યુદ્ધ વખતે ભારતે બહુ સ્પષ્ટ વલણ લીધું હતું અને હમાસના હુમલાને ત્રાસવાદી હુમલો ગણાવવા ઉપરાંત ઈઝરાયલને સમર્થન પણ આપ્યું હતું. પરંતુ હમાસને સમગ્ર રીતે ત્રાસવાદી જૂથ જાહેર કર્યું નથી. પેલેસ્ટાઈનના લોકોને અલગ ગણીને પેલેસ્ટાઈન પ્રશ્નને આંતરરાષ્ટ્રીય ધોરણે અને ભારતની જૂની અને જાણીતી નીતિ અનુસાર દ્વિરાષ્ટ્રના સિદ્ધાંતના આધારે જ ઉકેલવા માટેનું વલણ જાળવી રાખ્યું હતું. બિનજોડાણવાદનું આ નવું સ્વરૂપ ભારતીય વિદેશ નીતિને પરિપક્વ સાબિત કરી રહ્યું છે અને ફરી એક વાર ફળદાયી સાબિત થયું છે. કોઈ જૂથ સાથે જોડાણ નહીં, પણ રાષ્ટ્રનું હિત સર્વોપરી અને સમગ્ર વિશ્વનું હિત પ્રથમ એ ભારતની વિદેશ નીતિ જ પાળવા યોગ્ય છે તે દેખાયું છે.
ઈઝરાયલ અને હમાસ વચ્ચે પણ આખરે વાતચીત થવા લાગી છે અને બંધકોને છોડવા માટેની પ્રક્રિયા શરૂ થઈ છે. આગળ મામલો કેવી રીતે વધે છે તે વિગતોની વાત છે, પણ બંધકોને છોડવા માટેની પ્રક્રિયા શરૂ થઈ છે. હમાસને નેસ્તનાબૂદ કરી નાખીશું અને ગાઝાને બોમ્બથી ઉડાવી દઈશું એવી વાતો કર્યા પછી આખરે ઈઝરાયલે હમાસ સાથે જ વાતચીત કરવાનું સ્વીકાર્યું છે. એક ડિલ કરવા માટેની તૈયારીઓ થઈ ગઈ છે, જે અનુસાર હમાસ 50 બંધકોને છોડશે અને સામી બાજુ ઈઝરાયલ પણ 150 જેટલા પેલેસ્ટીની કેદીઓને છોડશે.
કતાર તથા અન્ય દેશોની મધ્યસ્થીથી આખરે બંને વચ્ચે સંવાદ થયો છે અને કોઈક પ્રકારનો રસ્તો નીકળે તેવું લાગે છે. ભારતે પ્રથમથી જ આ વલણ લીધું હતું કે ત્રાસવાદી હુમલાઓ કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. પરંતુ કોઈ સમસ્યા હોય ત્યારે યુદ્ધ કરી નાખવું એ પણ કોઈ ઉપાય નથી. વાટાઘાટો દ્વારા સમાધાન સાધી શકાય છે અને બંધકોને છોડાવવા માટે તથા ગાઝા પટ્ટીમાં પણ લાખો પેલેસ્ટાઈની લોકો ફસાઈ ગયા છે ત્યારે તેમને માનવીય સહાય પહોંચાડવી જરૂરી છે. આવી સહાય ત્યારે જ શક્ય બને જ્યારે બંને પક્ષ વચ્ચે લેતીદેતીની વાત થાય, બાંધછોડની વાત થાય.
ભારતે ત્યારે કહેલું અને મંગળવારે પણ બ્રિક્સ દેશોની બેઠકમાં વિદેશ પ્રધાન જયશંકરે એ જ વાત કરી હતી. ભારતનું એ વલણ ભલે ત્યારે એક પક્ષી લાગ્યું હોય કે માત્ર ઈઝરાયલની તરફેણ કરનારું લાગ્યું હોય, પણ આજે આખરે બંને પક્ષો એ માટે તૈયાર થયા છે, જેનો આગ્રહ ભારત પણ કરતું હતું. અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રસંઘ પણ ઈઝરાયલને વારી રહ્યા હતા કે ગાઝામાં બેફામ બોમ્બમારીથી બધા બંધકોને છોડાવી શકાશે નહીં. બીજું હમાસના ત્રાસવાદીઓ સામે કાર્યવાહી કરવી જરૂરી છે, પરંતુ લાખો નાગરિકો પણ ત્યાં વસે છે તેઓ વચ્ચે ફસાઈ જાય ત્યારે કેવી રીતે કામગીરી કરવી તે પણ સમજી વિચારીને કરવું પડે.
એ જ રીતે આખરે ચાર દિવસ માટે હમાસ અને ઈઝરાયલ વચ્ચે શસ્ત્રવિરામની સહમતી થઈ છે. શસ્ત્રવિરામ ચાલે તે દરમિયાન બંને તરફથી બંધકો અને કેદીઓને છોડવામાં આવશે. સાત ઓક્ટોબરે હમાસે આતંકી હુમલો કરીને બંધકો બનાવ્યા છે તેમને મુક્ત કરાશે, જ્યારે ઈઝરાયલને પેલેસ્ટીની લોકોને કેદમાં રાખ્યા છે તેમને મુક્ત કરશે. કેવી રીતે મામલો આગળ વધે છે તે સ્પષ્ટ થવા લાગશે, પણ અત્યારે ભારતની વિદેશ નીતિ સચોટ સાબિત થઈ છે એટલું કહી શકાય.