વક્રતા જુઓ કે ભારત હમાસને ત્રાસવાદી ગણતું નથી અને તેના પર પ્રતિબંધ મૂકવાનો નથી, પણ ઈરાન સાથે વાતચીત કરીને ભારતે પોતાની વિદેશ નીતિની સ્વતંત્રતાનો એક નવો ફણગો પણ ફોડ્યો છે
રાજકીય વક્રતાઓ અજીબ હોય છે. હમાસના નામે કાન ફાડી નાખે તેવી રીતે પ્રચાર કરવામાં આવે છે, પણ દિવા જેવી ચોખ્ખી વાત એ છે કે ભારતે હમાસને ત્રાસવાદી જૂથ જાહેર કર્યું નથી. હમાસ પર પ્રતિબંધિત પણ જાહેર કરાયું નથી. હમાસ ઈઝરાયલ સામેના સંઘર્ષમાં એક પાર્ટી છે એવું હમણાં જ કહ્યું છે. બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક સાથે વડા પ્રધાન મોદીની વાતચીત પછી ઈઝરાયલને પણ જરાક કહેવામાં આવ્યું કે તમારે ગાઝા પર આક્રમણમાં આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન કરવું જોઈએ.
રાજકીય રીતે આને દંભ કહી શકાય, દેખાડો કહી શકાય, પરંતુ ડિપ્લોમસીમાં તેને સ્ટ્રેટેજિક મૂવ કહી શકાય. જુઓ અમેરિકા ખુલ્લેઆમ ઈઝરાયલની ભેર તાણી રહ્યું છે. પણ તેના વિદેશ પ્રધાન હાલમાં જ પેલેસ્ટાઈન ઓથોરિટીના વડાને મળવા પહોંચ્યા હતા. ગાઝામાં રાહતસામગ્રી પહોંચે તે માટે અમેરિકા મહેતન કરતું દેખાય છે. સાથે જ ડ્રોન સહિતના સાધનોનો ઉપયોગ કરીને ઈઝરાયલને મદદરૂપ થવાય તે રીતની કામગીરી ત્રાસવાદી જૂથો વિરુદ્ધ પણ કરી રહ્યું છે.
ભારતે પણ સ્ટ્રેટિજિક રીતે પોતાની ડિપ્લોમસીને અલગ રાખી છે. રાજકીય રીતે હમાસ જેવા આતંકી જૂથો માટે પ્રચાર કર્યા પછીય હમાસને ત્રાસવાદી જૂથ જાહેર કર્યું નથી. એ રીતે ભારત કંઈ અમેરિકાની પોલીસીને અનુસરી રહ્યું છે એમ પણ ના કહેવાય. પરંતુ એક રીતે ભારત સ્પષ્ટપણે સ્વતંત્ર વિદેશ નીતિ અપનાવે છે તેમ કહી શકાય. કેમ કે અમેરિકા ભલે પેલેસ્ટાઈનના નેતાઓ સાથે વાત કરે, પણ તેને ઈરાન સામે બાપે માર્યા વેર જેવું છે. ઈરાનના નામથી અમેરિકા ભડકે છે, પરંતુ ભારે ઈરાન સાથેના પોતાના તંતુઓને તોડ્યા નથી. ઈરાન પર પ્રતિબંધો છતાં ભારતે પોતાના હિતો ખાતરે ઈરાન સાથે વેપાર ચાલુ રાખ્યો હતો.
હવે ગાઝામાં ઈઝરાયલની વધી રહેલા આક્રમણ વચ્ચે ભારતે ઈરાન સાથે પણ વાતચીત કરી છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના પ્રમુખ ઈબ્રાહિમ રેઈસી વચ્ચે ટેલિફોન પર સોમવારે વાતચીત થઈ હતી. રેઈસીએ ભારતને અનુરોધ કર્યો કે પોતાની ક્ષમતાનો ઉપયોગ કરીને ઈઝરાયલને અટકાવે. ગાઝાના લોકો પર ઝિઓનિસ્ટનો અત્યાચાર થઈ રહ્યો છે તે રોકવા માટે ભારત દરમિયાનગીરી કરે તેવી અપેક્ષા છે એમ એક નિવેદનમાં ઈરાને જણાવ્યું હતું.
રેઈસીએ યાદ અપાવ્યું કે બિનજોડાણવાદ વખતે પશ્ચિમની તાકતો સામે ભારતે કઈ રીતે લડવું પડ્યું હતું, કેમ કે ભારત તે નીતિના સ્થાપક દેશોમાં એક હતો. હાલમાં ભારત બિનજોડાણવાદને જ કેન્દ્રમાં રાખીને સ્વતંત્ર વિદેશ નીતિ અપનાવી રહ્યું છે. પરંતુ ભારત પશ્ચિમ સાથે અને રશિયા સાથે પણ સારા સંબંધો રાખવા માગે છે. એટલે કોઈ સાથે જોડાણ નહીં, એના બદલે સૌ સાથે ભારતના હિતમાં સંબંધો એ ભારતની વિદેશ નીતિ પ્રૌઢ થઈ છે.
વડા પ્રધાન મોદીએ પણ વાતચીતમાં કહ્યું હતું કે ગાઝામાં સ્થિતિ વકરે ના તે જોવું પડે. માનવીય સહાય ત્યાં પહોંચાડી શકાય તે જરૂરી છે તેની વાત કરીને વડા પ્રધાને કહ્યું કે આ પ્રદેશમાં ઝડપથી સ્થિરતા અને શાંતિની જરૂર છે.
આ વાતચીત ઉપરાંત વડા પ્રધાન મોદીએ યુએઈના પ્રમુખ મોહમ્મદ બિન ઝાયેદ સાથે પણ ફોન પર વાતચીત કરી હતી. બંને દેશોએ ગાઝામાં ઝડપથી સ્થિતિ થાળે પડે તે માટે અપીલ કરી હતી. ભારત ઈઝરાયલને સપોર્ટ કરે છે, પરંતુ અરબ દેશો સાથેના સંબંધોના ભોગે નહીં તે ડિપ્લોમસીની નીડ છે. ત્રાસવાદી જૂથો સામે ભારતે કડક વલણ લીધેલું છે, પણ હમાસને ત્રાસવાદી જૂથ ગણીને અરબ દેશો સાથે વાતચીતનો દોર અટકાવી દેવાનો કોઈ અર્થ નથી. હમાસનું નામ લીધા વિના પણ આતંકવાદી હુમલાને વખોડી શકાય છે.
પશ્ચિમના દેશો પોતાના હિતો માટે અમુક પ્રકારનું વલણ લે છે. તેને અનુસરવાનો કોઈ અર્થ નથી, કેમ કે એ જ અમેરિકા વળી સાઉદી અરેબિયાના સાથી તરીકે વર્તે છે. પાકિસ્તાનને પણ પંપાળતું રહે છે. યુક્રેનને યુદ્ધમાં ફસાવી દીધું છે અને હજી સુધી તેનો કોઈ ઉકેલ લાવી શક્યું નથી. પશ્ચિમની આર્થિક અને લશ્કરી તાકાત છે એટલે મન ફાવે તે રીતે વર્તે. ભારતે સમજદારીથી વર્તવું પડે. ભારત નાહકના કોઈ એવા સંઘર્ષ નથી ઈચ્છતું, જે તેની ગતિને રોકે.