આઈપીએલ સીઝન 22 માર્ચથી શરૂ થઈ રહી છે. આ પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એક મોટો નિર્ણય લીધો છે. બોર્ડે લાળના ઉપયોગ પરનો પ્રતિબંધ હટાવવાનો અને મેચની બીજી ઈનિંગમાં બીજા બોલનો ઉપયોગ કરવાનો નવો નિયમ રજૂ કરવાનો નિર્ણય લીધો છે. આ ફેરફારો આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝનમાં લાગુ કરવામાં આવશે.
કેપ્ટન અને ટીમ મેનેજરો સાથે બેઠક
મીડિયા રિપોર્ટ મુજબ ગુરુવારે (20 માર્ચ) મુંબઈના ક્રિકેટ સેન્ટર ખાતે કેપ્ટન અને ટીમ મેનેજરોની બેઠક દરમિયાન આ નવા નિયમોની જાહેરાત કરવામાં આવી હતી. નવા નિયમ મુજબ, IPL મેચોમાં બીજો બોલ બીજી ઈનિંગની 11મી ઓવર પછી વાપરવામાં આવશે. આ નિયમનો મુખ્ય હેતુ ઝાકળની અસર ઘટાડવાનો છે, જે સામાન્ય રીતે રાત્રે રમાતી મેચોને અસર કરે છે. બીજા બોલનો ઉપયોગ ટોસ જીતનાર ટીમને મળતો સંભવિત ફાયદો ઘટાડશે, જેનાથી રમત વધુ સંતુલિત અને ન્યાયી બનશે.
લાળના ઉપયોગ પરનો પણ હટાવવામાં આવ્યો પ્રતિબંધ
આ સિવાય BCCI એ લાળના ઉપયોગ પરનો પ્રતિબંધ પણ હટાવી દીધો છે. આ નિર્ણય લાંબા સમયથી બાકી હતો, ખાસ કરીને ઝડપી બોલર મોહમ્મદ શમીએ નિયમ રદ્દ કરવાની અપીલ કર્યા પછી. દુબઈમાં તાજેતરમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી મેચ પછી શમીએ અધિકારીઓને વિનંતી કરી હતી કે બોલને સ્વિંગ અને રિવર્સ સ્વિંગ કરાવવા માટે લાળનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવે. તેમની માંગને વર્નોન ફિલેન્ડર અને ટિમ સાઉથી જેવા આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોએ પણ સપોર્ટ કર્યો.
કોવિડ19 મહામારી દરમિયાન લાળના ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ વાયરસના ફેલાવાને રોકવા માટે નિર્ણય લીધો હતો. પરંતુ હવે જ્યારે રોગચાળાનો ખતરો ઓછો થઈ ગયો છે, ત્યારે આ પ્રતિબંધ હટાવવાની માંગ સતત વધી રહી હતી. શમી આ ફેરફારની માંગણી કરનારા સૌથી અગ્રણી અવાજોમાંનો એક રહ્યો છે, જેણે વિશ્વ ક્રિકેટમાં આ નિયમમાં સુધારાની હિમાયત કરી હતી.


