રાજસ્થાન રોયલ્સે આખરે IPL 2025 માં પોતાની પહેલી જીત નોંધાવી. ગુવાહાટીમાં રમાયેલી રોમાંચક મેચમાં ટીમે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું. ઈજાગ્રસ્ત સંજુ સેમસનની ગેરહાજરીમાં રિયાન પરાગે ટીમનું નેતૃત્વ કર્યું અને જીત બાદ રાહતનો શ્વાસ લીધો.
મેચ પછી, ફેન્સે રિયાન પરાગના એક વીડિયો અંગે સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. ફેન્સને તેનું વર્તન ગમ્યું નહીં. ફેબ્રુઆરીમાં ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝ દરમિયાન સંજુ સેમસન ઘાયલ થયો હતો, પરંતુ પંજાબ કિંગ્સ સામેની આગામી મેચમાં તે કેપ્ટન તરીકે પાછો ફરે તેવી અપેક્ષા છે.
રિયાન પરાગનો વાયરલ થયો વીડિયો
રાજસ્થાન રોયલ્સે 2023માં ગુવાહાટીના બારસાપારા સ્ટેડિયમને પોતાનું બીજું હોમ ગ્રાઉન્ડ બનાવ્યું. ટીમનું પહેલું હોમ ગ્રાઉન્ડ જયપુરનું સવાઈ માનસિંહ સ્ટેડિયમ છે. આ સિઝનની પહેલી બે મેચમાં આસામના રિયાન પરાગને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જ્યારે રાજસ્થાને ગુવાહાટીમાં KKR સામે પોતાની પહેલી મેચ રમી ત્યારે ત્યાંના લોકો માટે તે ખાસ પ્રસંગ હતો પરંતુ ટીમને હારનો સામનો કરવો પડ્યો. આ પછી, ગુવાહાટીને હોમ ગ્રાઉન્ડ તરીકે પસંદ કરવા બદલ રાજસ્થાનની પણ ટીકા થઈ હતી. પરંતુ રિયાન પરાગની કેપ્ટનશીપમાં ટીમે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને શાનદાર વાપસી કરી.
ગુવાહાટીમાં આ રાજસ્થાનની છેલ્લી મેચ હતી. મેચ પછી, ગ્રાઉન્ડ સ્ટાફે રિયાન પરાગ સાથે સેલ્ફી લેવાની ઈચ્છા વ્યક્ત કરી. પરાગે ખુશીથી તેની સાથે ફોટો પડાવ્યો, પણ ફોટો લીધા પછી તેને મોબાઈલ ફોન સ્ટાફ મેમ્બર તરફ ફેંકી દીધો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને ફેન્સને પરાગનું આ વર્તન ગમ્યું નહીં. ફેન્સે તેને ખોટું ગણાવ્યું અને તેની ટીકા કરી.
રિયાન પરાગ કેમ કેપ્ટનશીપ કરી રહ્યો છે?
ફેબ્રુઆરીમાં ઈંગ્લેન્ડ સામેની T20I સિરીઝ દરમિયાન સંજુ સેમસનને આંગળીમાં ઈજા થઈ હતી. તે હજુ સંપૂર્ણપણે સ્વસ્થ થયો નથી, તેથી તેને પહેલી ત્રણ મેચ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમ્યો. આ સમયગાળા દરમિયાન, ધ્રુવ જુરેલે વિકેટકીપિંગની જવાબદારીઓ સંભાળી અને રિયાન પરાગને વચગાળાના કેપ્ટન બનાવવામાં આવ્યા.
સંજુ સેમસન 5 એપ્રિલે પંજાબ કિંગ્સ સામેની મેચમાં પરત ફરે તેવી અપેક્ષા છે. પરંતુ આ માટે તેને બેંગલુરુ સ્થિત BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સની મંજૂરી લેવી પડશે.


