IPL 2025 ની વર્તમાન સીઝનમાં, એમ્પાયરો માટે ખેલાડીઓના બેટ તપાસવાનો ટ્રેન્ડ બની ગયો છે. સુનીલ નારાયણ અને એનરિચ નોર્ટજે પછી, બુધવારે રાજસ્થાન રોયલ્સના રિયાન પરાગના બેટનું નિરીક્ષણ કરવામાં આવ્યું.
ઈજાગ્રસ્ત કેપ્ટન સંજુ સેમસનની જગ્યાએ પરાગ આવ્યો, પરંતુ સ્ટ્રાઈક લેતા પહેલા, મેદાન પરના એમ્પાયરે તેને રોક્યો અને તેનું બેટ તપાસવાનું શરૂ કર્યું. રાજસ્થાનનો બેટ્સમેન આખરે બેટ ટેસ્ટમાં નિષ્ફળ ગયો, ત્યારબાદ તે એમ્પાયર સાથે દલીલ કરતો જોવા મળ્યો.
એમ્પાયર સાથે રિયાન પરાગે કરી ઉગ્ર દલીલ
એમ્પાયરના આ નિર્ણયથી રિયાન પરાગ નાખુશ હતો.જ્યારે અમ્પાયર રિયાન પરાગનું બેટ ચેક કરી રહ્યા હતા, ત્યારે તેમનો એમ્પાયર સાથે ઉગ્ર દલીલ થઈ. આખરે તેનું બેટ IPL માં નક્કી કરેલા ધોરણોને પૂર્ણ કરતું ન હતું અને તેનો એકમાત્ર વિકલ્પ તેને બદલવાનો હતો. પછી તેનું બેટ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો.
તમને જણાવી દઈએ કે BCCI એ T-20 ક્રિકેટમાં બેટિંગ અને બોલિંગ વચ્ચે સંતુલન જાળવવા માટે આ નિયમ બનાવ્યો છે, જે મુજબ બેટ્સમેન ગાર્ડ લે તે પહેલા દરેક બેટ એક ગેજમાંથી પસાર થશે. ચોથા એમ્પાયર બેટ્સમેનના બેટનું મેદાનમાં પ્રવેશતા પહેલા નિરીક્ષણ કરશે, જ્યાં બે ઓન-ફિલ્ડ એમ્પાયર દ્વારા તેની તપાસ કરવામાં આવશે.
IPL ના નિયમો શું કહે છે?
IPLના ચેરમેન અરુણ ધુમલે જણાવ્યું હતું કે મેદાન પર નિષ્પક્ષ સ્પર્ધા સુનિશ્ચિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. કોઈને એવું ન લાગવું જોઈએ કે બેટ્સમેનોને ફાયદો થઈ રહ્યો છે. નિયમો મુજબ, ખેલાડીનું બેટ IPL ધોરણોને અનુરૂપ હોવું જોઈએ, જ્યાં બેટની પહોળાઈ 4.25 ઈંચ (10.8 સેમી), ઊંડાઈ 2.64 ઈંચ (6.7 સેમી) અને કિનારો 1.56 ઇંચ (4.0 સેમી) હોવી જોઈએ.
મેચમાં મોટી ઈનિંગ્સ રમી શક્યો નહીં રિયાન પરાગ
આ મેચમાં, રાજસ્થાનને રિયાન પરાગ પાસેથી મોટી ઈનિંગ્સની અપેક્ષા હતી, પરંતુ તે ટીમની અપેક્ષાઓ પર ખરો ઉતરી શક્યો નહીં અને માત્ર 8 રન બનાવીને અક્ષર પટેલનો શિકાર બન્યો. પરાગે આ સિઝનમાં રમાયેલી સાત મેચમાં 28.83ની એવરેજ અને 147.86ના સ્ટ્રાઈક રેટથી 173 રન બનાવ્યા છે.


