ઈઝરાયેલ-ઈરાનની વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે ભારતે પોતાના નાગરિકોને યુદ્ધના વિસ્તારમાંથી બહાર કાઢવા માટે ‘ઓપરેશન સિંધુ’ લોન્ચ કર્યુ. જેની હેઠળ ઈરાનમાંથી અત્યાર સુધીમાં 656 ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોને લઈને 3 અલગ અલગ ફ્લાઈટ્સ નવી દિલ્હી પહોંચી ચૂકી છે. પ્રથમ બેચમાં 110 વિદ્યાર્થીઓને એરલિફ્ટ કરવામાં આવ્યા, જેમાં 90 વિદ્યાર્થીઓ કાશ્મીરના હતા. બીજી બેચમાં 290 અને ત્રીજી બેચમાં 256 ભારતીય નાગરિકોને ઈરાનથી બહાર કાઢીને દિલ્હી લાવવામાં આવ્યા છે.
દિલ્હીમાં ઉતરતા જ તમામ નાગરિકોએ ‘ભારત માતા કી જય’ અને ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવ્યા
ઈઝરાયેલ-ઈરાન સંઘર્ષની વચ્ચે નાગરિકોને સુરક્ષિત રીતે પરત લાવવા બદલે આ તમામ લોકોએ ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો છે, કેટલાક નાગરિકો તો ખુબ જ ભાવુક બન્યા છે. ઓપરેશન સિંધુ હેઠળ જેવા જ ભારતીય નાગરિકોને દિલ્હી એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા, તેમને ‘ભારત માતા કી જય’ અને ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવ્યા છે. એક નાગરિકે કહ્યું કે ‘હું વડાપ્રધાન મોદીની ખુબ જ આભારી છું. હવે આપણા દેશમાં પરત આવીને મને શાંતિ થઈ છે, યુદ્ધની સ્થિતિ વચ્ચે પોતાના વતનમાં પહોંચવું ખુશીની વાત છે, ત્યાં હાલમાં યુદ્ધની સ્થિતિ છે અને અમને ખબર નહતી કે કેવી રીતે બહાર નીકળી શું પણ ભારત સરકારે આ પ્રક્રિયાને ખુબ જ સરળ બનાવી દીધી.’
ઈરાને આગામી આદેશ સુધી પોતાનું એર સ્પેસ બંધ કરી દીધું
ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનથી આવેલા અન્ય એક ભારતીય નાગરિકે કહ્યું કે અમને એક સારી હોટલમાં રહેવાની જગ્યા આપવામાં આવી અને સમય પર બપોરે અને રાત્રે જમવાની સુવિધા આપવામાં આવે છે. પોતાના દેશમાં પરત આવીને ખુશી થઈ રહી છે. ભારતીય દૂતાવાસે તમામ નાગરિકોની ખુબ જ મદદ કરી છે. તમને જણાવી દઈએ કે ઈઝરાયેલ દ્વારા 13 જૂને રાજધાની તેહરાન સહિત દેશભરમાં અનેક જગ્યાઓ પર હવાઈ હુમલા કર્યા બાદ ઈરાને આગામી આદેશ સુધી પોતાનું એર સ્પેસ બંધ કરી દીધું હતું.