મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડીના ત્રણેય પક્ષો વચ્ચે લોકસભાની 48 બેઠકો માટે સમજૂતિ થઈ ગયાના દાવા પછી સવાલ એ થવાનો કે આ રીતે છૂટક સમજૂતિઓ થશે કે ગઠબંધનની કોઈ એક ફોર્મ્યુલા બનશે?
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, શરદ પવારની એનસીપી અને ઉદ્ધવ ઠાકરેની શિવ સેના વચ્ચે રાજ્ય સરકારની રચના માટે મહા વિકાસ અઘાડીની રચના થઈ હતી, પણ સરકાર હાથમાંથી જ જતી રહી. પવાર અને ઠાકરેની પાર્ટીઓને ભાજપે તોડી નાખી, પરંતુ અઘાડી હજી અકબંધ રહી છે. મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકો છે અને ઉત્તર પ્રદેશ પછીનું સૌથી અગત્યનું રાજ્ય સાબિત થવાનું છે. એટલે જ મુંબઈમાં ઈન્ડિયા ગઠબંધનની બેઠક મળી ત્યારે જ બેઠકોની સમજૂતિ વિશે કોઈ નિર્ણય લઈ લેવાશે એવી વાતો થઈ હતી. તે વાતને મહિનાઓ થઈ ગયા પછી હવે છેક બેઠકોની સમજૂતિ માટે બેઠકો થઈ રહી છે. પણ બેઠકો થઈ રહી છે છૂટક. શિવ સેનાના નેતા સંજય રાઉતે પત્રકારોને કહ્યું કે જુઓ હું બેઠકમાંથી હસતો હસતો આવ્યો છું એટલે તમે સમજી જાવ કે કેવી રહી હશે બેઠક. અમે સાથે જ છીએ અને એક જ રહેવાના છીએ. અમે દરેકેદરેક બેઠક વિશે ચર્ચાઓ કરી લીધી એમ તેમનું કહેવાનું હતું.
ત્રણેય પક્ષો વચ્ચે ત્રણેક કલાકની બેઠક પછી બેઠકોની સમજૂતિનો દાવો આ રીતે કરવામાં આવ્યો છે. કોંગ્રેસના મહારાષ્ટ્રના પ્રભારી રમેશ ચેન્નીથલાએ જણાવ્યું કે આ રાજ્યમાંથી સૌ પ્રથમ બેઠકોની સમજૂતિ જાહેર કરાશે. શિવસેનામાં ભલે વિભાજન થયું, પણ લોકો ઉદ્ધવ જૂથની સાથે છે અને એવું જ એનસીપીની બાબબતમાં છે એટલે અમે સાથે મળીને ચૂંટણી લડીશું.
આ બાજુ ઉત્તર પ્રદેશમાં બેઠકોની વહેંચણી માટે બેઠક મળી હતી અને ત્યારબાદ કોંગ્રેસના નેતા સલમાન ખુરશીદે દાવો કર્યો કે યોગ્ય દિશામાં તેઓ આગળ વધી રહ્યા છે. અમે સારી રીતે વાતચીત કરી શક્યા છીએ.
સવાલ માત્ર વાતચીત કરી લેવાનો કે બેઠકો કરી લેવાનો નથી. કેમ કે આમ આદમી પાર્ટી સાથે પણ બે દિવસ પહેલાં આ જ રીતે વાતચીત થઈ ગઈ. તે પછી પણ એ વાત આવી કે બંને પક્ષો સમજૂતિ માટે માની ગયા છે અને દિલ્હીની સાત બેઠકોની વહેંચણીમાં લગભગ સહમતી પણ થઈ ગઈ છે. પરંતુ આ વચ્ચે આપના નેતા અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે હતા અને જેલમાં રહેલા ધારાસભ્ય ચૈતર વસાવાને જઈને મળ્યા હતા. ચૈતર વસાવા ભરૂચની લોકસભાથી ચૂંટણી લડશે તેની જાહેરાત પણ થઈ ગઈ. આ શક્યતા લાંબા સમયથી વ્યક્ત થતી રહેતી, પરંતુ ગુજરાત માટે બેઠકોની સમજૂતિ પહેલાં જ એક રીતે બેઠકો જાણે વહેંચાઈ ગઈ.
બંને પક્ષો વચ્ચે વાતચીત થયા બાદ આપના નેતાઓએ કહ્યું હતું કે દિલ્હી ઉપરાંત પંજાબ, હરિયાણા, ગુજરાત અને ગોવા માટે બેઠકોની સમજૂતિની વાટાઘાટો થશે. અહેવાલો એવા પણ આવી રહ્યા છે કે પંજાબમાં સમજૂતિને બદલે ફ્રેન્ડલી ફાઇટ કરી લેવી, કેમ કે બંને સાથે થઈ જાય તો એક બીજાના વિરોધી મતો ઉલટાના અકાલી અને ભાજપ તરફ જતા રહે.
આ બધા જો અને તો નવા નથી અને છેલ્લા કેટલાય મહિનાઓથી તે વ્યક્ત થતા રહ્યા છે ત્યારે આ રીતે છૂટક બેઠકોની સમજૂતિ થવા લાગી છે શું તે ફોર્મુલા પર જ ઈન્ડિયા ગઠબંધન આગળ વધશે. આ રીતે ચર્ચાઓ થઈ રહી છે તેનો એક અર્થ એ થાય છે કે દરેક રાજ્યમાં કોંગ્રેસ પ્રાદેશિક પક્ષો સાથે કેવી રીતે બેઠકોની સમજૂતિ કરે છે તે જ અગત્યનું સાબિત થવાનું છે. વાસ્તવિકતા પણ એ જ છે કે સમજૂતિની જરૂર કોંગ્રેસ અને મોટા ભાગે પ્રાદેશિક રાજકીય પક્ષો વચ્ચે છે. બે મજબૂત પ્રાદેશિક પક્ષો કોઈ રાજ્યમાં સામસામે હોય તેવું નથી. શિવસેના અને એનસીપી ગુજરાત, યુપી, ગોવા જેવા રાજ્યોમાં ચૂંટણીઓ લડતી રહી છે, પણ તે રાજ્યોની વાત હાલ પૂરતી વિસારે પાડી દેવાય હોય તેમ લાગે છે.
આમ છતાં લોકસભાની ચૂંટણી માટે એક રાષ્ટ્રવ્પાયી ઈન્ડિયા ગઠબંધન બનાવવાનું હોય અને ગઠબંધનના નામમાં જ ઈન્ડિયા હોય ત્યારે સમગ્ર રીતે ભારતમાં જુદા જુદા પક્ષો વચ્ચે બેઠકોની સમજૂતિ થવા ઉપરાંત સમાન લઘુતમ કાર્યક્રમ અને મુદ્દાઓ પણ નક્કી થશે એ અપેક્ષિત છે. તેના માટે જરૂરી છે કે ઈન્ડિયા ગઠબંધન માટે પ્રમુખ અને કન્વિનર અને ચૂંટણી ઢંઢેરા સમિતિ અને પ્રચાર સમિતિ જેવું થોડું નક્કર માળખું બને. નિતિશ કુમારને કન્વિનર બનાવવા માટે કોંગ્રેસ તૈયાર હોવાની વાતો ચાલી છે, પણ તેની સત્તાવાર જાહેરાત બાકી છે. બેઠકોની ચર્ચાઓ પણ થવા લાગી છે અને મહારાષ્ટ્રમાં તો દાવો પણ થઈ ગયો કે સમજૂતિ થઈ ગઈ છે પરંતુ સત્તાવાર જાહેરાત બાકી છે. આખરે સત્તાવાર રીતે જાહેરાત જ અગત્યની સાબિત થવાની છે ત્યારે સત્તાવાર રીતે ક્યારે જાહેરાતો થશે? રાહ જુઓ. સત્તાવાર રીતે જાહેરાતો થાય તે પછી જ કંઈ સત્તાવાર રીતે આપણે પણ કહી શકીએ…