- દૂધ-પૌંઆ ખાવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે
- દુધ-પૌંઆ એ પિત્તશામક આહાર છે
- શરદ પૂનમ એટલે દૂધ- પૌઆ ખાવાનો અચૂક અવસર
આ વર્ષે 28 ઓક્ટોબર અને શનિવારે શરદ પૂનમની ઉજવણી થઈ રહી છે. આસો મહિનાની પૂનમનું ખાસ મહત્ત્વ છે. આ સમયે દૂધ અને પૌંઆના સેવનથી સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે. આજે આપણે જાણીશું કે ચંદ્રદર્શન કરાવેલા દૂધ પૌંઆ ખાવાની પરંપરા શું છે અને તેની પાછળ કયું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ જોડાયેલું છે.
તંદુરસ્તી માટ પણ છે લાભદાયી
ભાદરવો મહિનો પિત્તકારક માસ ગણવામાં આવે છે. તેની અસર આસો માસ સુધી રહે છે. શરદ ઋતુના સંધિકાળમાં શરદ પૂનમ આવતી હોવાને કારણે દરેક જીવોમાં કફ-વાત અને પિત્તનો પ્રકોપ સર્જાય છે. પરંપરાગત દૂધ-પૌઆનાં સેવનના કારણે જીવનદાયિની ઊર્જા પ્રાપ્ત થાય છે. સ્વાદના રસિકો માટે શરદ પૂનમ એટલે દૂધ- પૌઆ ખાવાનો અચૂક અવસર.
દૂધ પૌંઆ ખાવાથી થાય છે સ્વાસ્થ્ય લાભ
દૂધ- પૌઆ ખાવાની આ પરંપરા પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક બન્ને મહત્વ છે. શરદ પૂનમની રાતે વિશેષ કરીને દૂધ-પૌઆ ખાવાની પરંપરા સંકળાયેલી છે. શરદ પૂર્ણિમાની રાતે ચંદ્ર પૂર્ણ સ્વરુપમાં ખીલેલો હોય છે. આ રાતે ચંદ્રમાંથી નીકળનારી શીતળ કિરણો આપણી તંદુરસ્તી માટે ઘણી જ ફાયદાકારક રહે છે. આયુર્વેદમાં શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રનો પ્રકાશ અમૃત સમાન હોવાનું કહેવાય છે. એવું માનવામાં આવે છે કે આ રાત્રે ચંદ્ર જોવાથી આંખના વિકારો દૂર થાય છે અને આ રાત્રે ચંદ્રના પ્રકાશમાં રાખેલ દૂધ-પૌંઆ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ અને આરોગ્ય સારું રહે છે.
જાણો ધાર્મિક માન્યતા
આ રાતે ચંદ્રમાંથી અમૃત વરસે છે. આ રાતે ખુલ્લા આકાશની નીચે દૂધ- પૌઆ બનાવવામાં આવે છે. ચંદ્રમાંથી નીકળનારી કિરણો સીધી દૂધ- પૌઆ પર પડે છે. ચંદ્રની કિરણોના પ્રભાવથી દૂધ- પૌઆ ઔષધીય ગુણો મળે છે. આ દૂધ- પૌઆ ખાવાથી શ્વાસ સંબંધિત બીમારીઓમાં રાહત મળે છે. દમના રોગીઓ માટે આ ખીર અમૃત સમાન હોય છે. એટલા માટે જ આપણા વડીલો દ્વારા આને પ્રથા તરીકે વિકસાવવામાં આવી છે. સફેદ વસ્તુમાં ચંદ્રના સીધા કિરણો પડે એટલે તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક બને છે. માન્યતા મુજબ ધાબા ઉપર રાખેલા આ દુધ પૌંઆ દમના દર્દીઓ માટે એક ઔષધિ જેવું પુરવાર થાય છે. શરદ કાલીન રોગોને તે દુર કરે છે. દુધ-પૌંઆ એ પિત્તશામક આહાર છે. દૂધ પિત્ત શામક પિણું છે. ગાયનું દુધ ઉત્તમ ગણાય છે. દુધ પૌંઆ ધાબા ઉપર રાખવાથી ચાંદનીની સૌમ્યતા જ્યોત્સના ભળે છે. આ પૂનમની ચાંદની આરોગ્ય વર્ધક છે.
આવું છે વૈજ્ઞાનિક મહત્ત્વ
આ રાત્રે ચોખાના પૌંઆ અને દૂધથી બનેલી ખીર ચાંદી કે કોઈપણ ધાતુના વાસણમાં રાખવી જોઈએ અને સ્વચ્છ કપડાથી બાંધવી જોઈએ. તેને આખી રાત ચંદ્રના પ્રકાશમાં રાખવાથી, સવારે ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આની પાછળ વૈજ્ઞાનિક કારણ એ છે કે દૂધમાં લેક્ટિક એસિડ હોય છે, જે ચંદ્રના કિરણોમાંથી જંતુનાશક શક્તિ મેળવે છે. ચોખાના સ્ટાર્ચના ઉમેરાવવાથી આ પ્રક્રિયાને વધુ વેગ મળે છે. આ ખીર ખાવાથી અસ્થમા, ચામડીના રોગો અને શ્વસન રોગોમાં વિશેષ લાભ મળે છે.