- લખપતના જાડવા ગામમાં મીની વાવાઝોડું ફૂંકાયુ
- 40 થી 50 ઘરોના છાપરા નળિયા ઉડ્યા
- એક બાળક સહિત 3 લોકોને ઇજા પહોંચી
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. તેવામાં કચ્છમાં આવેલા લખપતના જાડવા ગામમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. જાડવા ગામમાં મીની વાવાઝોડું ફૂંકાતા 40થી 50 ઘરોના છાપરા નળિયા ઉડ્યા હતા. સમગ્ર ઘટનામાં એક બાળક સહિત 3 લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. ભારે પવન સાથે વરસાદ થતા લોકોના ઘરવખરીના સામાનને પણ નુકશાન થયું છે.
ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. તેમાં પણ સૌરાષ્ટ્રમાં તો ભુક્કા બોલાવી રહ્યા છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આજે સવારના બે કલાકમાં જ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં પોણા પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબકતા સર્વત્ર પાણી-પાણી થઈ ગયું છે. આ વચ્ચે હવે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છમાં પૂરને લઈને ચેતવણી આપી છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં પૂરનું સંકટ!
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના ઘણા જિલ્લાઓમાં ધોધમાર વરસાદને પગલે વિકટ સ્થિતિ જોવા મળી રહી છે, હજુ પણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ અને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે સૌરાષ્ટ્રૃ-કચ્છની માથે હળવાથી મધ્યમ પૂરનું સંકટ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે નીચાણવાળા વિસ્તારમાં અવરજવર ન કરવા ચેતવણી આપી છે.


