આવતી કાલે બેંકો પર તાળાં, 15 હજાર કરોડના વ્યવહારો ખોરવાશે
લેબર કોડથી મજૂર હક્કો જોખમમાં, સરકાર સામે શ્રમજીવી વર્ગનો સડકો પર ઉતરવાનો સંકલ્પ
ખાનગીકરણ, છટણી અને કામના કલાકો વધારવા સામે બેન્ક કર્મચારીઓનો દેશવ્યાપી વિરોધ : 25 હજાર કર્મચારીઓ જોડાશે
અગ્ર ગુજરાત, અમદાવાદ
ગુજરાત સહિત સમગ્ર દેશમાં ફરી એકવાર બેન્કિંગ વ્યવસ્થા ખોરવાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. કેન્દ્રીય સરકાર દ્વારા અમલમાં લાવવામાં આવી રહેલા ચાર નવા લેબર કોડના વિરોધમાં 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા આગામી 12 ફેબ્રુઆરીએ રાષ્ટ્રવ્યાપી હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું છે. આ હડતાળમાં ગુજરાતના અંદાજે 25 હજારથી વધુ બેન્ક કર્મચારીઓ જોડાશે, જેના કારણે રાજ્યમાં અંદાજે 15 હજાર કરોડ રૂપિયાથી વધુના નાણાકીય વ્યવહારો ઠપ્પ પડી શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. બેન્ક કર્મચારીઓની હડતાળના પગલે સામાન્ય જનતા, વેપારીઓ, ઉદ્યોગપતિઓ તેમજ નાણાકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ વર્ગોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
હડતાળ પૂર્વે 11 ફેબ્રુઆરીએ અમદાવાદના આશ્રમ રોડ પર બેન્ક કર્મચારીઓ અને વિવિધ ટ્રેડ યુનિયનો દ્વારા વિશાળ રેલી યોજી કેન્દ્ર સરકારની શ્રમ નીતિઓ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આ રેલી મારફતે સરકાર સુધી સ્પષ્ટ સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે કે, મજૂર અને કર્મચારીઓના હક્કો સાથે ચેડાં કરવામાં આવશે તો તેનો જોરદાર વિરોધ થશે. યુનિયન નેતાઓના જણાવ્યા મુજબ આ માત્ર એક દિવસની હડતાળ નહીં પરંતુ મજૂર વર્ગના ભવિષ્ય માટેની લડત છે.
કેન્દ્ર સરકાર દ્વારા હાલના 29 શ્રમ કાયદાઓને રદ કરીને ચાર નવા લેબર કોડ અમલમાં લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેને લઈને દેશભરના મજૂર સંગઠનો અને બેન્ક કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ટ્રેડ યુનિયનોનું માનવું છે કે નવા લેબર કોડ હેઠળ મહેનતથી મેળવેલા મજૂર અધિકારો છીનવી લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. યુનિયન શરૂ કરવી, યુનિયન ચલાવવી, સ્થિર નેતૃત્વ પૂરું પાડવું તેમજ હડતાળનું આયોજન કરવું અત્યંત મુશ્કેલ બની જશે. આ કાયદાઓ મજૂર વર્ગની સંગઠિત શક્તિને તોડી નાખવા માટે લાવવામાં આવ્યા હોવાનું યુનિયનો આક્ષેપ કરી રહ્યા છે.
યુનિયનોનું વધુ કહેવું છે કે નવા લેબર કોડ અમલમાં આવ્યા બાદ માલિકોને કર્મચારીઓને મનફાવે તેમ છૂટા કરવાની સત્તા મળશે. તાળાબંધી અને છટણી કરવી સરળ બની જશે, જેના કારણે કામદારોનું શોષણ વધશે. સ્થાયી રોજગારીના બદલે ફિક્સ્ડ ટર્મ એમ્પ્લોયમેન્ટ સ્કીમને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેનાથી યુવાનોનું ભવિષ્ય અંધકારમય બની શકે છે. યુવાનો માટે વધુ રોજગારી ઊભી કરવાની જગ્યાએ અસ્થાયી અને અનિશ્ચિત નોકરીઓનો પ્રસાર થઈ રહ્યો છે, જે દેશની અર્થવ્યવસ્થા માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે.
બેન્ક કર્મચારીઓ છેલ્લા લાંબા સમયથી પાંચ દિવસની બેન્કિંગ સિસ્ટમ લાગુ કરવાની માંગ કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ બેન્ક સંચાલકો કામના કલાકો વધારવા માટેના પ્રસ્તાવો મૂકી રહ્યા છે. સ્ટાફની અછત વચ્ચે વધતા કામના દબાણને કારણે બેન્ક કર્મચારીઓ માનસિક તણાવ અને આરોગ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોવાનું યુનિયનો જણાવી રહ્યા છે. આવી સ્થિતિમાં કામના કલાકો વધારવાનો નિર્ણય કર્મચારીઓ માટે અન્યાયપૂર્ણ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હડતાળ પાછળનું એક મોટું કારણ બેન્કિંગ ક્ષેત્રમાં ચાલી રહેલા ખાનગીકરણના પ્રયાસો પણ છે. યુનિયનોનો આક્ષેપ છે કે IDBI બેંકને વેચવાના પ્રયાસો થઈ રહ્યા છે, જાહેર ક્ષેત્રની બેંકોને ધીમે ધીમે ખાનગી રોકાણકારોના હવાલે કરવાની યોજના ઘડાઈ રહી છે અને રાષ્ટ્રીયકૃત બેંકોનું ખાનગીકરણ કરીને સામાન્ય જનતાને મળતી સુરક્ષાને ખતમ કરવામાં આવી રહી છે. જો જાહેર ક્ષેત્રની બેંકો ખાનગી હાથોમાં જશે તો સામાન્ય ગ્રાહકોને લોન, જમા રકમ અને સેવાઓ અંગે ગંભીર અસર થશે તેવો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે 12 ફેબ્રુઆરીની હડતાળમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સિવાયની તમામ સરકારી બેન્કો હડતાળમાં જોડાશે. ઉપરાંત ફેડરલ બેન્ક અને કર્ણાટકા બેન્કના કર્મચારીઓ પણ હડતાળ પર ઉતરશે. આથી રાજ્યભરમાં મોટાભાગની બેન્ક શાખાઓ બંધ રહેશે, ચેક ક્લિયરન્સ, રોકડ લેવડદેવડ, લોન પ્રક્રિયા તેમજ વેપારી નાણાકીય વ્યવહારો પર ભારે અસર પડશે. એટીએમ સેવાઓ પર પણ અસર થવાની શક્યતા છે.
હડતાળના પરિણામે ગુજરાતમાં એક જ દિવસમાં અંદાજે 15 હજાર કરોડ રૂપિયાના વ્યવહારો અટકી જવાની શક્યતા છે. ખાસ કરીને અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવા ઉદ્યોગપ્રધાન શહેરોમાં હડતાળની સીધી અસર જોવા મળશે. MSME સેક્ટર, નિકાસ-આયાત વેપાર, હીરા-કાપડ ઉદ્યોગ તેમજ ખેતી સંબંધિત નાણાકીય પ્રવાહ ખોરવાઈ શકે છે.
ટ્રેડ યુનિયનોનું સ્પષ્ટ કહેવું છે કે આ હડતાળ માત્ર બેન્ક કર્મચારીઓની નહીં પરંતુ સમગ્ર શ્રમજીવી વર્ગના હક્કોની લડત છે. જો આજે અવાજ નહીં ઉઠાવવામાં આવે તો આવતીકાલે મજૂરો અવાજ વગરના બની જશે. સરકાર સાથે ચર્ચા માટે તૈયાર હોવાનો દાવો કરતા યુનિયનોનું કહેવું છે કે જો તેમની માંગોને અવગણવામાં આવશે તો આવનારા દિવસોમાં વધુ ઉગ્ર અને વ્યાપક આંદોલન હાથ ધરવામાં આવશે.
LIC કર્મચારીઓએ પણ ધોકો પછાડ્યો : રાષ્ટ્રવ્યાપી સજ્જડ હડતાલ
રાજકોટ–સૌરાષ્ટ્ર કચ્છમાં અસર વ્યાપક રહેવાની શક્યતા
કેન્દ્ર સરકાર દ્વારા લેબર કોડમાં કરાયેલા મજૂર તથા કર્મચારી વિરોધી સુધારાઓ અને દેશના જાહેર સાહસોના ખાનગીકરણની નીતિના વિરોધમાં આવતીકાલ તા.12 ફેબ્રુઆરીએ બેંક તથા LIC કર્મચારીઓની સંયુક્ત રાષ્ટ્રવ્યાપી હડતાલ યોજાવા જઈ રહી છે. આ હડતાળના ભાગરૂપે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર–કચ્છમાં બેંકિંગ અને વીમા ક્ષેત્રના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાશે, જેના કારણે હડતાલ સજ્જડ અને અભૂતપૂર્વ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હડતાળની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે રાજકોટની LIC કચેરીમાં રીસેસ દરમિયાન સૂત્રોચાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કર્મચારીઓએ કેન્દ્ર સરકારની નીતિઓ સામે નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો. આ પ્રસંગે LIC કર્મચારીઓના રાષ્ટ્રીય સ્તરના ટોચના યુનિયન ઓલ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ એમ્પ્લોઇસ એસોસિયેશન (AIIEA) ના ઓલ ઇન્ડિયા વાઈસ પ્રેસિડેન્ટ તથા વેસ્ટર્ન ઝોનના જનરલ સેક્રેટરી અને જાણીતા વીમા કર્મચારી નેતા હર્ષદ પોપટે સરકારની આર્થિક અને શ્રમ નીતિઓ પર તીવ્ર પ્રહાર કર્યો હતો.
હર્ષદ પોપટે જણાવ્યું હતું કે આવતીકાલની રાષ્ટ્રવ્યાપી હડતાળમાં બેંકિંગ ક્ષેત્ર તથા LICના રાષ્ટ્રીય સ્તરના અગ્રણી કર્મચારી અને અધિકારી યુનિયનો AIBEA, AIIEA, AILICEF, AIBOA, BEFT સહિત અન્ય સ્વતંત્ર ફેડરેશનો અને સંગઠનોના કર્મચારીઓ તથા અધિકારીઓ જોડાશે. કેન્દ્ર સરકાર દ્વારા મજૂર સંબંધી કાયદાઓમાં કરવામાં આવેલા એવા સુધારા, જેનો સીધો લાભ માત્ર કોર્પોરેટ ગૃહોને થાય અને કર્મચારીઓ તથા મજદૂરોનું હિત જોખમાય, તેના કારણે સમગ્ર શ્રમજીવી વર્ગમાં ભારે રોષ અને આક્રોશ ફેલાયો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશની આર્થિક નીતિઓ માત્ર ગણ્યા ગાંઠિયા કોર્પોરેટ ગૃહોના હિતને ધ્યાનમાં રાખીને ઘડાઈ રહી છે, જ્યારે મજૂર અને કર્મચારીઓના હિતોની સતત અવગણના કરવામાં આવી રહી છે. જાહેર સાહસોનું ખાનગીકરણ કરી તેને ઉદ્યોગગૃહોના હવાલે કરવાની કેન્દ્ર સરકારની નીતિ દેશના ભવિષ્ય માટે ઘાતક છે. આ પરિસ્થિતિમાં ટૂંકા ગાળાના સ્વાર્થ કે ડરપોક વૃત્તિ છોડીને અસ્તિત્વ માટેની આ લડાઈમાં જોડાવાનો આ સમય છે, તેવી કર્મચારીઓ અને અધિકારીઓને હાકલ કરવામાં આવી છે.
આ હડતાળમાં LIC ક્ષેત્રની અનેક મહત્વની માંગણીઓ પણ સામેલ છે. જેમાં LIC કચેરીઓમાં વર્ગ-૩ અને વર્ગ-૪ની ખાલી પડેલી હજારો જગ્યાઓ પર તાત્કાલિક ભરતી કરવાની માંગ, LICનો IPO ફરી માર્કેટમાં લાવી સરકારના હિસ્સાનું વેચાણ કરવાની તજવીજના કડક વિરોધ, LIC શાખાઓના બિલ્ડીંગ સંબંધિત પ્રશ્નો તથા લાંબા સમયથી અણઉકેલ રહેલા કર્મચારીઓના પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણની માંગનો સમાવેશ થાય છે.
બેંક અને LIC કર્મચારીઓની સંયુક્ત હડતાળને પગલે આવતીકાલે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર–કચ્છમાં બેંકિંગ અને વીમા સેવાઓ પર વ્યાપક અસર થવાની શક્યતા છે. કર્મચારી સંગઠનોએ આ હડતાળને મજૂર અને કર્મચારી હક્કોની લડાઈ ગણાવી છે અને મોટી સંખ્યામાં જોડાઈને તેને સફળ બનાવવા અપીલ કરી છે.


