લોકદરબાર શરૂ થાય એ પહેલા જ કોંગ્રેસના કાર્યકરો અલગ જ રણીનીતિ સાથે પહોંચી ગયા
રાજકોટ મહાનગરપાલિકાએ ‘મેયરશ્રી આપના દ્વારે’ શિર્ષક હેઠળ તમામ વોર્ડમાં લોકદરબાર શરૂ કર્યો છે. જેમા આજે વોર્ડ નં.૧૪માં વિપક્ષ કોંગ્રેસના કાર્યકરોએ મેયર સહિતના પદાધિકારીઓેને સંખ્યાબંધ ફરિયાદો, સમસ્યાઓ, રજૂઆતોના ચક્રવ્યુહ વચ્ચે ઘેરવાની રણનીતિ અપનાવી હતી.
અત્યાર સુધી એવુ જ બનતુ આવ્યુ છે કે, મેયરના લોકદરબારમાં અગાઉથી જ ભાજપના કાર્યકરો અથવા તો ભાજપ સમર્થક નાગરિકોને હકડેઠઠ બેસાડી દેવામા આવતા હતા. મેયરનો આ લોકદરબાર ભાજપના પ્રસિધ્ધિ માટેનું નાટક હોવાનું વિપક્ષે ગણાવ્યુ છે. આમજનતાની સમસ્યા લોકદરબારમાં સાંભળવામા જરૂર આવે છે પરંતુ તેનો ઉકેલ લાવવામા આવતો નથી. માત્ર મીઠા જવાબો, ઠાલા વચનોની જ ભરમાર થતી હોવાના આક્ષેપો વચ્ચે આજે વોર્ડ નં.૧૪માં યોજાયેલા લોકદરબારમાં કોંગ્રેસના કાર્યકરો એક અલગ જ રણીનીતી સાથે પહોંચ્યા હતા. વિરલ ભટ્ટ, ગજેન્દ્રસિંહ ઝાલા, બિજલ ચાવડિયા, મયુરસિંહ પરમાર, નરેશ સાગઠિયા સહિતના કોંગી આગેવાનોએ વોર્ડ નં.૧૪ની સંખ્યાબંધ ફરિયાદોના ઢગલાં કર્યા હતા. વોર્ડ નં.૧૪માં વોર્ડ ઓફીસ, વોર્ડ નં.૧૪-અ, માસ્તર સોસાયટી, કોઠારીયા મેઈન રોડ, સ્નાનાગાર વાળી શેરી, રાજકોટ ખાતે લોક દરબાર કાર્યક્રમ યોજાયો હતો.
આ “લોક દરબાર” કાર્યક્રમના અધ્યક્ષ મેયર નયનાબેન પેઢડિયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ૭૦ વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, આરોગ્ય સમિતિ ચેરમેન અને કોર્પોરેટર કેતનભાઈ પટેલ, સેનિટેશન કમિટી ચેરમેન અને કોર્પોરેટર નિલેષભાઈ જલુ, કોર્પોરેટર ભારતીબેન મકવાણા, વર્ષાબેન રાણપરા, નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, મેનેજર કૌશિક ઉનાવા, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, સીટી એન્જીનીયર અતુલ રાવલ, આરોગ્ય અધિકારી ડૉ.જયેશ વકાણી, આર.સી.એચ.ઓ. ડૉ.લલિત વાજા, એનક્રોચમેન્ટ ઓફિસર પરબત બારીયા, નાયબ આરોગ્ય અધિકારી ડૉ.હાર્દિક મહેતા, એ.ટી.પી. એ.પી.પટેલ, વોર્ડ એન્જીનીયર વી.સી.રાજદેવ, વોર્ડ ઓફિસર એમ.પી.ગોંધીયા, વોર્ડ પ્રભારી જીજ્ઞેશભાઈ જોશી, વોર્ડ પ્રમુખ મહેશભાઈ મિયાત્રા, વોર્ડ મહામંત્રી માનસુરભાઈ વાળા અને કેયુરભાઈ મશરૂ, વોર્ડ નં.૧૪ના નાગરીકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
નાગરિકો દ્વારા વિવિધ શાખાની કુલ-૭૭ રજુઆતો/પ્રશ્નો રજુ કરવામાં આવી હતી, આ રજુઆતો/પ્રશ્નોનો ટૂંકા સમયગાળામાં નિકાલ કરવામાં આવશે તેવુ ખાતરી મેયર સહિતના પદાધિકારીઓએ આપી હતી.
આટલી સમસ્યા-ફરિયાદ-રજૂઆતોના ઢગલા થયા
- વોર્ડ નં.૧૪માં આવેલ વોકળામાં સઘન સફાઈ કરવી
- મિલપરા મેઈન રોડ પર વરસાદી પાણી ભરાવા બાબત
- ખોડિયારપરામાં સ્ટ્રીટ લાઈટ અને ટ્રાફિક બાબત
- લાઇબ્રેરીમાં ઇનવટર કે જનરેટરની વ્યવસ્થા કરવા
- કેનાલ રોડ પર ગેરકાયદેસર બાંધકામ અટકાવવા
- જિલ્લા ગાર્ડન ચોકમાં દબાણ દૂર કરવા બાબત
- જિલ્લા ગાર્ડન પાસે વરસાદી પાણી ભરાઈ જવાથી રોડ લેવલ કરવા
- સોરઠીયા પ્લોટમાં આવેલ વોકળા સફાઈ કરવા બાબત
- લક્ષ્મીવાડીમાં ખોડિયાર મંદિર પાસે રોડ પર સફાઈ કરવી
- પરવાનગી વગર જાહેરાતના બોર્ડ બેનરો દૂર કરવા
- ભક્તિનગર સર્કલનો ફુવારો શરૂ કરવા બાબત
- વોર્ડ નં.૧૪માં વાઇફાઇ સુવિધા શરૂ કરવી
- વોર્ડ નં.૧૪માં ટીપરવાન અનિયમિત આવે છે
- વિવિધ ટ્રાફિકવાળા રોડ પર સ્પીડ બ્રેકર બનાવી
- વિવિધ વિસ્તારમાં ફોગીંગ કરવુ
- વસંતનગરમાં રોડ ઉપર રોડ બનાવવામાં આવે છે જેના લીધે રોડ ઉપરના પાણી ઘરમાં આવે છે
- રામનાથ મહાદેવ મંદિર ડેવલપમેન્ટ અને આજી રિવરફ્રન્ટ પ્રોજેકટ આગળ ધપાવવા
- આનંદનગર વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ કરવા બાબત
- કોઠારીયા કોલોનીમાં રોડ ખુલ્લો કરવો
- સોસાયટીના કોમન પ્લોટમાં મંદિર બનાવવુ
- વાણિયાવાડી ૩/૭ના કોર્નરમાં નિયમિત સફાઈ કરવી
- બાપુનગર સ્લમ ક્વાર્ટરમાં વરસાદી પાણી ઘરમાં આવે છે
- ગુંદાવાડી પોલીસ ચોકી ચોકમાં ટ્રાફિક દૂર કરી ફૂટપાથ પર ખાણી-પીણીના દબાણ દૂર કરવા