વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપને પોતાનો એક પણ ઉમેદવાર જીતે એવો નથી લાગ્યો: મોઢવાડિયા સહિત ચાર કોંગ્રેસી અને અપક્ષને ટિકિટ આપી !
સુદર્શન ફાકિરની ગઝલની આ પંકિત આજે ભારતિય જનતા પાર્ટીના કાર્યકરો,હાંસિયામાં ધકેલાઇ ગયેલા નેતાઓને બરાબર લાગુ પડે છે. આદમી આદમી કો કયા દેગા , જો ભી દેગાં ખુદા દેગા, મેરા કાતિલ હી, મેરા મુંસિફ હૈ, કયા મેરે હક મેં ફૈસલા દેગા. ગુજરાત વિધાન સભાની પેટા ચૂંટણી માટેની પાંચે પાંચ બેઠકમાં ભારતિય જનતા પાર્ટીએ કોંગ્રેસમાંથી આવેલા અન અપક્ષને તમામ પાંચે પાંચ બેઠક ઉપર ઉમેદવાર બનાવી દીધા છે. આ યાદિ જાહેર થતાં જ ભાજપમાં ભૂકંપ થયો છે. કાર્યકરો ખળભળી ગયા છે. દાવેદાર નેતાઓ સમસમી ગયા છે. જો કે આ ખળભળાટ અને અસંતોષને વ્યકત થવાનો કોઇ માર્ગ હજુ કાર્યકરોને દેખાતો નથી. સહુ હાઇકમાન્ડના આ નિર્ણયથી સ્તબ્ધ છે. પક્ષના સંગઠન ઉપર ટોચની નેતાગીરી જ કુઠારાઘાત કરી રહી છે. અમારા કાતિલ જ અમારા ન્યાયધિશ છે. એ અમારા હકમાં શું ચુકાદો આપશે એવી ભાવન બળવતર બની છે. આવા નિર્ણયથી સરેરાશ ભાજપી ન માત્ર નિરાશ થયો છે. પરંતુ તેમની લાચારીથી પણ ખળભળી ગયો છે.
ભારતિય જનતા પાર્ટીનું નામ હવે બદલીને ભારતીય જનતા કોંગ્રેસ અથવા બી.જે.સી. રાખી દેવું જોઇએ. ભાજપએ સતા મેળવવા ગમે તે રાજયમાં ગમે તે પક્ષ સાથે ગમે તે રીતે સમાધાન કરવા માંડયુ છે.પક્ષની ઇમારતના મૂળમાં રહેલાં પાયાના પથ્થરોની ન માત્ર અવહેલના કરવી પરંતુ વિકાસ અને મોટા લક્ષ્યાંકો સાધવાના નામે સંગઠન માટે આત્મઘાતી નિર્ણયો લેવાની પરંપરા શરૂ કરી છે. પાર્ટી હાઇકમાન્ડના નામે શરૂ થયેલ ભરતી મેળાના પક્ષ બહાર અને પક્ષમાં ખુબ ઘેરા પ્રત્યાઘાત પડી રહયા છે. ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકોના ઉમેદવારોની જાહેરાત થઇ તેમાં મૂળ ભાજપના તમામ નેતાઓની સાગમટે બાદબાકી કરી નાંખવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવારોની ભાજપે જાહેર કરેલી યાદિમાં પોરબંદર બેઠક ઉપર મૂળ કોંગ્રેસી અર્જુન મોઢવાડિયા,માણવદર ઉપર પક્ષપલટું અરવિંદ લાડાણી, વીજાપુર બેઠક ઉપર સી.જે. ચાવડા, ખંભાત બેઠક ઉપર ચિરાગ પટેલ અને વાઘોડિયા બેઠક ઉપર ધર્મેન્દ્સિંહ વાઘેલા અપક્ષની પસંદગી કરવામાં આવી છે. આ જાહેરાતના ભાજપમાં ઘેરા પડઘા પડયા છે. હાલ મજબુત વિપક્ષ ન હોવાથી ભાજપમાં દાવેદાર અથવા મજબુત નેતાઓ પણ હાલ સમસમીને બેઠા છે. પરંતુ પક્ષની વિચારધારા આત્મઘાતી બની રહી છે. ભાજપની નીતિ નિર્ધારણનું કામ સંઘ કરે છે. સંઘમાં વરસોથી ટોચ ઉપર ચીટકી રહેલા વયમાં વરિષ્ઠ નેતાઓ તેમનું પદ છોડતાં નથી. નવા લોહિને ત્યાં કોઇ પરિવર્તનની વાત નથી. પરંતુ ભાજપને પ્રયોગશાળા બનાવી દીધી છે. અહીં ભારતિય જનતા પાર્ટી માટે આજીવન ભેખધારણ કરનાર કાર્યકરો નેતા અને તેમના પરિવારોને હાંસિયામા ધકેલવા, તેમની અવગણના કરવા અને કયારેક તિરસ્કૃત કરવા સુધીની પ્રવૃતિ હવે કલ્ચર બની રહી છે. ભાજપમાં જેમની પાસે પક્ષ કે સંગઠનમાં સતા છે તે લાભાર્થી અને બાકીના પીડિત જેવી સ્થીતિમાં મૂકાઇ ગયા છે. ખાસ કરીને પક્ષમાં અવગણના સહન કરતાં કાર્યકરો કે અગ્રણીઓ મન મનાવી લેતાં હતાં.પરંતુ છેલ્લા થોડા સમયથી કોંગ્રેસમાંથી ભાજપમાં નેતાઓને આયાત કરવાનો જે સિલસિલો ચાલ્યો છે તે હવે પરાકાષ્ટાએ પહોંચ્યો છે.
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં પાંચે પાંચ બેઠક ઉપર મૂળ બીન ભાજપી ઉમેદવારોને ટિકિટ આપી ભાજપ હાઇકમાન્ડે સમગ્ર પક્ષના કાર્યકરોને જે મેસેજ આપ્યો છે તેનું પરિણામ આજે નહિ તો કાલે ભાજપના નેતાઓને ભોગવવું પડશે. કારણ કે ભાજપનો આજે વિકલ્પ નથી. રાજકિય રીતે ભાજપ સંઘની વિચારધારા સાથે જોડાયેલા નેતા કાર્યકરોની હાલત મીડલાઇફ ક્રાઇસીસ જેવી થઇ ગઇ છે. જુનુ એટલું શીખી ગયા છે કે હવે નવુ શીખી શકે નહી. પરિવર્તનોને સહન કરો અથવા અસ્વીકાર કરીને ફેંકાઇ જાઓ. એવો સીધો સંદેશો વર્તમાન ભાજપ હાઇકમાન્ડનો છે. મોટા લક્ષ્ય સાધવાની મોટા નેતાઓની મહત્વાકાંક્ષાએ પક્ષના સંગઠનના મૂળમાં ઘા કર્યા છે. જેનું નુકસાન કદાચ કયારેય ભરપાઇ નહિ થાય.
ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ભાજપ વિચારધારાની પાર્ટી નથી રહી. સંઘના એ આદર્શો,ભાતૃત્વ,એકાત્મવાદ વિચારધારાના ધાગા ઉપર પરોવાયેલા સફળતાનાં મણકાં ઉપર કુઠારાઘાત થયો છે. હાલના ભાજપની ચાલ ચલગત ઉપર સંઘ કાબુ ગુમાવી બેઠો છે અથવા સંઘ સફળતાના સથવારે સમાધાનના માર્ગે આગળ વધી રહયો છે. ભાજપના નાન મોટા કાર્યકર,નેતાઓ જયારે છાને ખુણે હૈયા વરાળ કાઢે છે ત્યારે તેમાં લાચારી અને વચન દ્રોહ, મોહભંગનો વિરકતતાનો રંગ છલકે છે.ભાજપના કાર્યકરોની હાલત તો જાઉ કહાં બતાયે દિલ,દુનિયા બડી હૈ સંગદીલ જેવી થઇ ગઇ છે.