- ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમાં નર્મદાનું પાણી આપવા માંગ
- સાંસદના અભિવાદન કાર્યક્રમમાં ખેડૂતોએ કરી રજૂઆત
- ચંદુભાઈ સિહોરા અને પ્રકાશ વરમોરાને કરી રજૂઆત
મોરબીના હળવદના ખેડૂતો પાણીની માંગને લઈ લડી લેવાના મૂડમાં છે.બ્રાહ્મણી ડેમ-2માંથી પાણી આપવાની વાત કરી હતી અને હજી સુધી પાણી અપાયું નથી.સુસવાવ, ઈશ્વરનગર, દેવળિયા ગામ પાણીથી વંચિત છે જેને લઈ ખેડૂતોએ સાંસદ અને ધારાસભ્યને પિયતના મુદ્દે ઘેરી લીધા હતા.
પાણીને લઈ ઉગ્ર આક્રોશ
સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર સાંસદ સભ્ય તરીકે ચૂંટાઈ આવેલ હળવદ તાલુકાના કેદારીયા ગામના ચંદુભાઈ સિહોરાનો આજે હળવદ શહેર ભાજપ દ્વારા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આયોજન દરમિયાન ખેડૂતોએ સિંચાઈના પાણીના પ્રશ્નનને લઈ સાંસદ સભ્ય સહિતના આગેવાનોને ઘેરી લઈ ઉગ્ર રજૂઆત કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ચાલુ કાર્યક્રમમાં પાણીનો વિવાદ
હળવદના બ્રાહ્મણી-બે ડેમમાંથી પાછલા દસેક દિવસથી ખેડૂતો સિંચાઈ માટે પાણી આપવાની માંગ કરી રહ્યા છે જોકે નેતાઓ ખેડૂતોની રજૂઆતો ધ્યાને ન લેતા આજે આખરે ખેડૂતો વિફર્યા હતા.અને સાંસદ ચંદુભાઈ સિહોરાના અભિવાદન સમારોહમાં દોડી ગયા હતા અને જય જવાન જય કિસાનના નારા લગાવ્યા હતા. જેથી અભિવાદન સમારોહ એકાદ કલાક મોડો ચાલુ થયો હતો અને ખેડૂતોને કાર્યક્રમ પત્યા બાદ રજૂઆત સાંભળવા આગેવાનોએ સમજાવટ કરી હતી.

ધાંગ્રધામા ભર ચોમાસે કેનાલ રીપેરીંગ કરાઈ શરૂ
નર્મદા કેનાલ અનેક ખેતરોમાં લીકેજ થવાની ફરિયાદો ઉઠી હતી એમ છતાય તંત્ર દ્વારા સમયસર રીપેરીંગ ન કરતા હોવાની ધ્રાંગધ્રાના ધારાસભ્યને અગાઉ રજૂઆત કરાઇ હતી. એમ છતાય કેનાલને પાણી બંધ થયાને પંદર દિવસ કરતા પણ વધારે સમય વીતિ જવા છતાય રીપેરીંગ કામ શરૂ ન કરી વરસાદ આવવાની શરૂઆત થતા સમયે હામપુર પાસેથી પસાર થતી ડીસ્ટ્રી-4 નર્મદા કેનાલમાં હાલ રીપેરીંગ શરૂ કરી દીધુ છે. હામપુર ગામના ખેડૂત મનીષભાઇ પટેલે જણાવેલ કે ધારાસભ્ય પ્રકાશભાઇને સમયસર કેનાલ રીપેર કરવાની અગાઉ રજૂઆત કરી હતી છતાય પાણી બંધ થયુ તુરંત રીપેર કરવાના બદલે વરસાદ આવવાના સમયે ખેડૂતોએ કપાસનું વાવેતર શરૂ કરી દીધુ ત્યારે અને અમુક જગ્યાએ કેનાલ સારી હોવા છતાય તોડી નાખી આવા સમયે રીપેરીંગ શરૂ કર્યુ છે.


