જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 27 લોકોના મૃત્યુ થયા બાદ ભારત દ્વારા પાકિસ્તાન સામે એક બાદ એક કડક નિર્ણયો લેવાઈ રહ્યાં છે. આતંકીઓને શરણ આપનારા પાકિસ્તાનને તેનો અસલી ચહેરો દેખાડી દેતા ભારતે 1960ની સિંધુ જળ સંધીને રદ કરી દેવાની જાહેરાત કરી હતી. ભારત સરકારે હવે પાકિસ્તાન તરફ જતાં સિંધુ નદીના પ્રવાહને રોકવાનો નિર્ણય લીધો હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. આ માટે સિંધુ બેઝ ધરાવતી નદીઓના કિનારે ડેમની ક્ષમતામાં વધારો કરાશે. જેમા વધુમાં વધુ પાણી રોકવાની ક્ષમતા હશે. મોદી સરકાર ત્રણ તબક્કામાં આ નિર્ણયને લાગુ કરવાનો પ્લાન તૈયાર કરી રહી છે.
એક ટીપું પાણી ના જાણ તેની પુરી વ્યવસ્થા કરાશે
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે સિંધુ જળ સંધિ અંગે ભારત સરકારના નવા પ્લાનની જાણકારી આપી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, સિંધુ જળ સંધિ હેઠળ જે નિર્ણય કરવામાં આવ્યો છે તેનું સંપૂર્ણ પણે પાલન કરવામાં આવશે. આ પ્લાનને ત્રણ તબક્કામાં એટલે કે, તરત, મીડ ટર્મ અને લોંગ ટર્મમાં લાગુ કરવામાં આવશે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, ભારતમાંથી પાકિસ્તાનમાં એક ટીપું પાણી ના જાણ તેની પુરી વ્યવસ્થા કરાશે. પાટીલે એક્સ પર પોસ્ટ કરતાં કહ્યું હતું કે, મોદી સરકાર દ્વારા સિંધુ જળ સંધિ પર લેવાયેલો ઐતિહાસિક નિર્ણય ન્યાય સંગત અને રાષ્ટ્રહિતમાં છે. અમે ખ્યાલ રાખીશું કે પાકિસ્તાનમાં સિંધુ નદીનું એક ટીપું પણ પાણીનું નહીં જાય.
ડેમની ક્ષમતા વધારવા માટે આધુનિક ટેકનિકનો ઉપયોગ કરાશે
સુત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન તરફ જતુ પાણી રોકવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.તેની અસર ટૂંક સમયમાં જોવા મળશે. સરકાર સિંધુ બેઝ ધરાવતી નદીઓ પર ડેમની ક્ષમતા વધારવા માટે આધુનિક ટેકનિકનો ઉપયોગ કરશે. જેમાં વધુમાં વધુ પાણીનો સંગ્રહ થઈ શકશે. જેણે આ સંધિ કરાવી હતી તેને ભારત સરકાર દ્વારા આ જાણકારી આપી દેવામાં આવી છે. આ નિર્ણય પર તરત અમલ શરૂ કરવામાં આવશે. આજે આ મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ વચ્ચે એક બેઠક પણ યોજાઈ હતી.