અગરબત્તીના ઉપયોગમાં મોટાભાગના ઘરોમાં પૂજા-પાઠમાં કરાય છે. સવાર અને સંધ્યા સમયે લોકો પોતાના ઘરે પૂજા દરમિયાન અગરબત્તી જરૂર કરે છે. આ ઉપરાંત ધાર્મિક તહેવાર અને શુભકાર્યમાં પણ અગરબત્તી અને ધૂપ કરવામાં આવે છે. વધતા જતાં શ્વસનતંત્રના રોગોને લઈને એક સંસોધન હાથ ધરાયું હતું. આ સંશોધનમાં સામે આવ્યું કે અગરબત્તીનો ધુમાડો ફેફસાના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. કેટલાક સંજોગોમાં તે કેન્સરનું પણ કારણ બને છે.
લોકોમાં ફેફસા સંબંધિત વધી ફરિયાદ
આજકાલ લોકોમાં ડાયાબિટીસ, કેન્સર અને અસ્થમા જેવી દુલર્ભ બીમારીઓનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. વૈશ્વિક સ્તરે પણ આ ગંભીર બીમારીના જોખમને લઈને તબીબી સંસ્થાઓ દ્વારા વિવિધ સંશોધન કરવામાં આવ્યા છે. રાજ્યના એક પ્રતિષ્ઠિત ડોક્ટરે જણાવ્યું કે હાથ ધરાયેલ સંશોધનમાં કેટલીક મહત્વની બાબતો સામે આવી છે. ફેફસા નબળા થવા અને અસ્થમા તેમજ શ્વાસની ફરિયાદો વધવા પાછળનું કારણ પ્રદૂષણ, બીડી અને આલ્કોહોલનું વ્યસન તો છે જ. આ સિવાય પૂજાપાઠમાં ઉપયોગમાં લેવાતી અગરબત્તીનો ધુમાડો પણ શ્વસન તંત્ર પર ગંભીર અસર કરે છે. આ ધુમાડો શ્વસનતંત્ર દ્વારા ફેફસામાં જાય છે. લાંબા સમય સુધી અગરબત્તીનો ઉપયોગ તેના સંપર્કમાં રહેનાર વ્યક્તિ માટે જોખમી બને છે.
અગરબત્તીનો ધુમાડો ફેફસા માટે હાનિકારક
આરોગ્ય નિષ્ણાતે જણાવ્યું કે અગરબત્તીના ધુમાડામાં બેન્ઝીન, કાર્બોનિલ્સ, CO, No2 અને પોલિસાયક્લિક એરોમેટિક હાઈડ્રોકાર્બન્સ જેવા હાનિકારક રસાયણો હોય છે. આ સૂક્ષ્મકણો અગરબત્તીના ધુમાડા દ્વારા શ્વાસમાં જાય છે. અને સંપર્કમાં આવનાર વ્યક્તિમાં શ્વાસ સંબંધિત સમસ્યા વધે છે. અગરબત્તીમાં એ જ રાસાયણિક તત્વો છે જે સિગારેટના ધુમાડા હોય છે. આ હાનિકારક રસાયણો કેન્સરજનક ગણાય છે. અને એટલે જ સિગારેટનું વ્યસન ધરાવનાર વ્યક્તિની જેમ જે વ્યક્તિ અગરબત્તીના ધુમાડામાં સતત સંપર્કમાં રહે તો કેન્સર થવાની અનેકગણી સંભાવના વધે છે.


