- અચૂક મતદાન માટે અમેરિકાથી ફોન દ્વારા સંપર્ક જાગૃત્તિની અપીલ કરાઈ રહી છે
- વિદેશમાં પણ ભારતના વિકાશની પ્રશંસા થઈ રહી છે
- ભારતમાં મતદાન માટે હજારો અમેરિકન ભારત આવ્યાં છે
ભારતની લોકસભાની ચૂંટણીનો રંગ ભારત જ નહિ પરંતુ વિદેશમાં પણ ખૂબ જામ્યો છે. સમગ્ર વિશ્વની નજર આ વિશાળ લોકશાહીના પરિણામો ઉપર મંડાઈ છે. હાલ ત્રીજા તબક્કા ના મતદાનમાં ગુજરાતની 25 બેઠકો માટે પણ ચૂંટણી યોજાવાની છે. આ માટે અમેરિકન ગુજરાતીઓ પણ ખાસ્સો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમેરિકન ભારતીયો પણ ગુજરાતમાં ચાલતા ક્ષત્રિય આંદોલનને લઇ ચિંતિત જણાઈ રહ્યા છે. આંદોલનનું યોગ્ય સમાધાન ન થતા તે મતવિભાજનની માંગણી સુધી સીમિત ન રહેતા સામાજિક વિભાજન અને સમાજમાં કાયમી આંતરવિગ્રહનું કારણ બની દેશ અને સમાજ માટે પડકાર બની રહેશેની દહેશત પણ તેઓ વ્યક્ત કરી રહ્યા છે. જોકે અમેરિકન ભારતીયો મોદી શાસનનું સમર્થન કરી રહ્યા છે.
ભારતની લોકસભાની ચૂંટણીના મતદાન માટે હજારો અમેરિકન ભારતીયો ભારત તો આવ્યા છે. જે મોટેભાગે ભાજપના પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. તો વળી જે લોકોનો વોટ અહી નથી પરંતુ ભારતમાં ભાજપ સરકાર પુનઃ સ્થાપિત થાય તે માટે અમેરિકાથી ફોન દ્વારા સંપર્ક કરી અચૂક મતદાન માટે અને જાગૃતતા વિચાર કરી મતદાન આપવા અપીલ કરી રહ્યા છે.
એક ભારતીય ગુજરાતી તરીકે આપણું ગૌરવ
આ અંગે લોસએન્જલસ અગ્રણી હોટેલિયર અને સેરીટોસ કાઉન્સિલના અમેરિકન રીપબ્લિક પક્ષના ઉમેદવાર યોગી પટેલે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભારત એક મજબૂત રાષ્ટ્ર તરીકે વિશ્વ વિખ્યાત બન્યું છે. દેશમાં આતંકી ગતિવિધિઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ભારતીય સાંસ્કૃતિક ધરોહરનું પુનઃનિર્માણ થયું છે. ભારતની વિદેશનીતિ અને દેશહિતમાં નિર્ણયો બાબતે રશિયન પ્રમુખ પુતિન પણ મોદીના મોં ફાટ વખાણ કરી ચૂક્યા છે.જે સઘળી બાબતો એક ભારતીય ગુજરાતી તરીકે આપણને ગૌરવ અપાવે છે.
મતદાન કરવા અપીલ કરાઈ
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ચૂંટણી રૂપાલા થી શરૂ થયેલ ક્ષત્રિય આંદોલનનો વિવાદ વિખવાદ બની ભવિષ્યમાં સમાજના ભાઈચારા અને રાષ્ટ્રીય એકતા માટે ખતરારૂપ બની રહેશે. ક્ષત્રિય સમાજના શ્રેષ્ઠીઓ અને આગેવાનોએ ચૂંટણી ટાણે થતા બેફામ ભાષણોમાં સામાજિક ખટાસ ઊભી ન થાય તે માટેની પરિપકવ સંવાદ ઉભો કરવો જોઈએ. હાલની આંદોલન અને તેની કોઈ એક નેતાને કારણે પક્ષ વિરોધી નીતિ દેશને મોટું નુકશાન કરશે.ક્ષત્રિય આગેવાનો દેશની પ્રગતિ વૈશ્વિક સ્તરે બેસી વિચારે તે આધુનિક સમયની માંગ છે. મતદાન પણ જ્ઞાતિ – જાતિના તાણા – વાણાથી ઉપર ચિંતન કરી દેશહિતમાં જે પક્ષ કે વ્યક્તિ હોય તેને જ કરવું જોઈએ.
વિદેશમાં ભારતીયોનો મોભો વધ્યો
આ અંગે ઈન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટીના પરિમલ શાહે જણાવ્યું હતું કે કેન્દ્રમાં ભાજપની શાસન આવ્યું અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા બાદ સમગ્ર વિશ્વમાં ભારત એક મજબૂત નેતૃત્વ ધરાવતો દેશ બની ગયો છે. ભારતના વ્યાપાર ઉદ્યોગ અને આંતરિક નીતિઓમાં દખલ કરતી વિદેશી તાકતો હવે હાંસિયામાં ધકેલાઈ ગઈ છે. છેલ્લા 10 વર્ષના મોદી શાસનમાં વિદેશમાં વસતા ભારતીયોને સમૃદ્ધિ અને સમ્માનમાં ખૂબ મોટો વધારો થયો છે અને રાજકીય ક્ષેત્રે પણ નોંધપાત્ર વૃદ્ધિ થઈ રહી છે. હાલ સ્થાનિક ચૂંટણીઓમાં વિદેશી અસંતોષી તત્વો ધાંધલી કરાવી રહ્યા છે. ત્યારે ભારતનો મતદાર આ બાબતે જાગૃત બની દેશહિતમાં મતદાન કરે તેવી અપીલ તેઓ કરી રહ્યા છે.


