સોમનાથમાંથી દોઢ કિલો ચરસના જથ્થા સાથે પરપ્રાંતીય શખ્સ ઝડપાયો
દિલ્હીથી લાવી વેંચાણ કરવા જતા ઝડપાયો : 3.૭૫ લાખનો જથ્થો જપ્ત
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
ગીર સોમનાથ જીલ્લામાં નશાદ્રવ્ય પદાર્થોની હેરાફેરી- વેંચાણ અટકાવવા પોલીસવડા જયદિપસિંહ જાડેજાએ કડક સુચના આપી હતી. જેને લઈ પેટ્રોલીંગ કરી રહેલ એસઓજીની ટીમે બાતમીના આધારે સોમનાથમાંથી એક પરપ્રાંતીય શખ્સને રૂ.3.75 લાખની કિંમતના દોઢ કિલોગ્રામ ચરસના જથ્થા સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતોનુસાર સોમનાથમાં ત્રિવેણી પાસેના માર્ગે એક વ્યક્તિ નશાદ્રાવય પદાર્થ ચરસ વેચવા આવી રહ્યો હોવાની બાતમી એસઓજીની ટીમને મળતા સ્ટાફ વોચમાં હતો. દરમ્યાન ત્યાંથી પસાર થઈ રહેલ ઉત્તરપ્રદેશના મેરઠનો રહીશ માનસિંહ ઉર્ફે રાજુ સમરુસિંહ સૈની (ઉ.વ. 53)ને રોકાવી તલાસી લેતા તેની પાસેથી આશરે 1.5 કિલો ચરસનો જથ્થો મળી આવેલ જેની બજાર કિંમત રૂ.3,75,000 જેવી થતી હતી. પોલીસે ચરસનો જથ્થો જપ્ત કરીને આરોપી વિરુદ્ધ NDPS અધિનિયમ હેઠળ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.
આ અંગે એસઓજી પીઆઈ કાગડાના જણાવ્યા મુજબ ચરસ સાથે પકડાયેલ પરપ્રાંતીય શખ્સ માનસિંહ ઉર્ફે રાજુ સમરુસિંહ સૈની ત્રણેક વર્ષથી ચરસ જેવા નશાદ્રાવય પદાર્થોનું વેંચાણ કરી રહેલ છે. મોટા ભાગે તે હરિદ્વાર, જુનાગઢ જેવા ધાર્મીક સ્થળોએ સમયાંતરે ચરસ વેચવા આવતો હોવાની એમ.ઓ.ધરાવે છે. સોમનાથમાં પહેલીવાર આવેલ ત્યારે જ પકડાય ગયેલ હતો. આ શખ્સ અગાઉ યુપી પોલીસના હાથે પણ પકડાય ચુકયો હોવાનું જાણવા મળેલ છે. સોમનાથમાં વેચાણ કરવા લાવેલ ચરસનો જથ્થો દિલ્હીથી લઈ આવ્યો હોવાનું જાણવા મળેલ છે. જેના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.


