સંસદના શિયાળુ સત્રના આજે પહેલા દિવસે જ કોંગ્રેસના સાંસદ રેણુકા ચૌધરી એક અનોખા વિવાદમાં ફસાઈ ગયા. તેઓ પોતાના પાલતુ કૂતરા સાથે કારમાં સંસદ પહોંચ્યા હતા. તેમના આગમનના વીડિયોએ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી છે. ભાજપે તેઓ પર સંસદની ગરિમાનું ઉલ્લંઘન ગણાવીને તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
શ્વાન લઇને જવા અંગે કર્યો સવાલ તો…
જ્યારે મીડિયાએ રેણુકા ચૌધરી પર આ ઘટના અંગે સવાલ ઉઠાવ્યો ત્યારે તેમણે વળતો જવાબ આપતા કહ્યું કે આ બાબતને વધુ ઉડાડવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે શું સમસ્યા છે? જો કોઈ મૂંગું પ્રાણી સદનમાં આવી જાય તો તેમાં શું મોટી વાત છે? તે નાનું છે, કરડનાર પ્રાણી નહીં. સંસદની અંદર બીજા લોકો પણ છે જે કરડી શકે છે.” તેમના નિવેદનથી વિવાદને વધુ વેગ મળ્યો છે.
રેણુકા ચૌધરીએ પીએમ મોદીના નિવેદનનો જવાબ આપ્યો
રેણુકા ચૌધરીએ વિપક્ષ વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટિપ્પણીનો પણ જવાબ આપ્યો. તેમણે પૂછ્યું કે જો સરકાર સત્ર વિશે આટલી ચિંતિત હતી, તો નિર્ધારિત એક મહિનાના સત્રને ફક્ત પંદર દિવસ કેમ ઘટાડી દેવામાં આવ્યું? તેમણે પૂછ્યું તમે શા માટે ચિંતા કરો છો કે અમે ગૃહમાં કયા મુદ્દાઓ ઉઠાવીશું? શું પૂરતા મુદ્દાઓ નહોતા? તો પછી સત્ર કેમ ટૂંકું કરવામાં આવ્યું?
ભાજપ સાંસદ જગદંબિકા પાલે આરોપ લગાવ્યા
ભાજપ સાંસદ જગદંબિકા પાલે રેણુકા ચૌધરી પર તેમના વિશેષાધિકારોનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે સંસદ રાષ્ટ્રીય નીતિઓ પર ગંભીર ચર્ચા માટેનું મંચ છે અને આવા કાર્યો “અપમાનજનક” અને સંસદની પ્રતિષ્ઠા વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે પોતાના શ્વાન સાથે સંસદમાં આવવું અને પછી આવી ટિપ્પણીઓ કરવી દેશ માટે શરમજનક છે. તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. તેમણે તેને લોકશાહીનું અપમાન ગણાવ્યું અને મજબૂત વલણ અપનાવવાની માંગ કરી.


