પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ
પૂરવઠા વિભાગ દ્વારા કલેકટરોને અપાયેલો નિર્દેશ
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની અછતની અફવાઓ શરૂ થતાં જ લોકોમાં ભારે પેનિક થયો હતો. રાજ્યમાં પેટ્રોલ પંપો પર પેટ્રોલ ભરાવા માટે લોકોની ભારે લાઈનો લાગી હતી. ગઈકાલે રાતથી જ લોકો પેટ્રોલ ભરાવા માટે લાઈનમાં ઉભા રહ્યા હતાં. સરકાર અને તંત્ર દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે, પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ખોટી અફવાઓના ડરથી પેનીક થવું નહીં. બીજી તરફ પુરવઠા અધિકારીએ દરેક જિલ્લાને એક પત્ર લખીને સંગ્રહખોરી સામે એક્શન લેવા આદેશ કર્યો છે.
પુરવઠા વિભાગે કરેલા પરિપત્ર પ્રમાણે હાલમાં સોશિયલ મીડિયા અથવા અન્ય માધ્યમો દ્વારા ફેલાતી અફવાઓથી રાજયમાં કોઈ કોઈ સ્થળોએ પેટ્રોલ અને ડીઝલનું પેનિક બાઈંગ શરૂ થયું છે. ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. રાજ્યના તમામ મુખ્ય ડેપો અને રિફાઇનરીઓ દ્વારા પેટ્રોલ પંપો પર નિયમિત રીતે ઇંધણ પહોંચાડવામાં આવી રહ્યું છે. પરંતુ સાંપ્રત પરિસ્થિતિમાં પેટ્રોલ પંપ પરથી વેચાણ કરવામાં આવતાં પેટ્રોલ તથા ડીઝલનો જથ્થો ખોટી રીતે સંગ્રહ ના થાય તે માટે સૂચનાઓ પરિપત્રીત કરવામાં આવે છે.
રાજયના દરેક પેટ્રોલ પંપ ઉપરથી પેટ્રોલ તથા ડીઝલનું વેંચાણ માત્ર વાહનોની ટાંકીઓમાં ભરવા પૂરતું જ સિમિત કરવામાં આવે છે. તે સિવાયના કોઈપણ પાત્ર કે બેરલમાં પેટ્રોલ તથા ડીઝલનું વેંચાણ કરી શકાશે નહીં. જો કોઈ વિક્રેતા કૃત્રિમ અછત ઊભી કરવાનો પ્રયાસ કરશે અથવા સંગ્રહખોરી કરશે, તો તેમની સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955ની જોગવાઈઓ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


