વિદેશ પ્રધાન એસ. જયશંકર પાંચ દિવસની રશિયાની મુલાકાત વખતે મોસ્કોમાં પ્રમુખ પુટીનને પણ મળ્યા ત્યારે તેમણે કહ્યું કે અમારા મિત્ર મોદી રશિયાની મુલાકાતે આવે તો અમને આનંદ થશે
ભારતના વિદેશ પ્રધાન જયશંકર હાલમાં રશિયાની મુલાકાતે છે અને તે દરમિયાન પ્રમુખ વ્લાદિમીર પુટીન સાથે પણ તેમની મુલાકાત થઈ હતી. તેમાં યુક્રેન યુદ્ધ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાની મુલાકાત માટે તેમણે નિમંત્રણ પણ આપ્યું. તેમણે એ પણ જણાવ્યું કે યુક્રેનના ઉકેલ માટે વડા પ્રધાન મોદી રસ લઈ રહ્યા છે અને તેથી કેવી રીતે ઉકેલ આવી શકે તે માટે જરૂરી કોઈ પણ માહિતી હોય તે ભારતને આપવા માટે પણ અમે તૈયાર છીએ. યુક્રેનમાં શું સ્થિતિ છે તે અંગે મેં ઘણી વાર પીએમ મોદી સાથે ચર્ચા કરી છે અને મેં જોયું કે તેમને શાંતિમય ઉકેલમાં રસ છે. તેથી જે પણ વધુ માહિતી જોઈતી હશે તે અમે આપતા રહીશું એમ રશિયન પ્રમુખે જયશંકરને જણાવ્યું હતું.
ભારત અને રશિયાના સંબંધો માટે આ અગત્યનું છે, કેમ કે આંતરરાષ્ટ્રીય બાબતોમાં ભારતનો અભિપ્રાય મહત્ત્વનો ગણાવા લાગ્યો છે તેનું પણ આ એક ઉદાહરણ છે. બીજું કે યુક્રેન ક્રાઇસીસ વખતે આડકતરી રીતે ભારત રશિયાને મદદરૂપ પણ થયું છે. યુરોપે ગેસ અને ક્રૂડ ખરીદવાનું ઓછું કરી નાખ્યું અને પ્રતિબંધો મૂક્યા, ત્યારે ભારતે રશિયામાંથી મોટા પાયે ક્રૂડ ઓઈલની ખરીદી કરી હતી. તેમાં ભારતને પણ ફાયદો થયો હતો, કેમ કે 30 ડોલર જેટલું ડિસ્કાઉન્ટ મળતું હતું. પરંતુ રશિયા માટે આવકનો એક સ્રોત ચાલુ રહ્યો હતો તે અગત્યનું હતું. સ્ટ્રેટેજિક રીતે આ પ્રકારની કાર્યવાહી ઘણી ઉપયોગી થતી હોય છે.
જયશંકર અને રશિયાના વિદેશ પ્રધાન સર્ગે લાવરોવ વચ્ચે પણ મુલાકાત થઈ હતી અને તેમાં આવતા વર્ષે પીએમ મોદી અને પ્રેસિડન્ટ પુટીન વચ્ચે સમિટનું આયોજન થઈ શકે છે તેની પણ ચર્ચા થઈ હતી. આ રીતે બે દેશના વડા વચ્ચે સમિટ મીટિંગ થાય તે અગત્યનું છે, કેમ કે સર્વોચ્ચ કક્ષાએ નીતિ વિષયક નિર્ણયો લઈ શકાય છે. ભારત અને રશિયા વચ્ચે લાંબો સંબંધ રહ્યો છે અને આ દરમિયાન 21 વખત બંને દેશના વડાઓ વચ્ચે સમિટ બેઠકો થઈ છે. છેલ્લે ડિસેમ્બર 2021માં દિલ્હીમાં સમિટ યોજાઈ હતી.
ક્રૂડ ઉપરાંત હાઇટેકમાં પણ બંને દેશો વચ્ચે વેપાર વધી રહ્યો છે તેનો ઉલ્લેખ પણ પુટીને કર્યો. આ વેપાર હજી વધે તેમાં બંને દેશોને રસ છે. જોકે રૂપિયામાં ટ્રેડનો એક મુદ્દો છે, તેનો પ્રેક્ટિકલ ઉકેલ આવે તો બંને દેશોને વધારે ફાયદો થઈ શકે છે. રશિયાએ રૂપિયામાં ક્રૂડની ચૂકવણી સ્વીકારી છે, પણ મોટા પાયે ભારતે ખરીદી કરી તેના કારણે રૂપિયાનો ઢગલો રશિયા પાસે થયો છે. આ રૂપિયામાંથી ભારતમાંથી શું ખરીદી શકાય તે રશિયા માટે સમસ્યા છે. ભારતે તાકિદે એવી વ્યવસ્થા કરવાની જરૂર છે કે રૂપિયા દ્વારા રશિયા ભારતમાંથી જરૂરી વસ્તુઓ અને સેવાઓની ખરીદી કરી શકે. કૃષિ પેદાશો માટે પણ વિચારી શકાય છે અને ખાસ કરીને આઈટી સર્વિસીઝમાં જે રીતે પશ્ચિમના દેશોમાંથી આઉટ સોર્સિંગ મળે છે તેવું રશિયામાંથી મળી રહે તો બંને દેશોને ફાયદો થાય. અંગ્રેજીની સાથે રશિયન ભાષા ભારતના યુવાનો શીખતા થાય, તે માટેના વિશેષ ક્લાસિસ કોલેજોમાં શરૂ કરવામાં આવે તો થોડા વર્ષોમાં આ એક મોટો બિઝનેસ બંને દેશોને લાભ કર્તા થઈ શકે છે.