સૌરાષ્ટ્રના લોકોની હાડમારી વિષે ગુજરાતના ધારાસભ્ય પ્રશ્ન પૂછે, અને સૌરાષ્ટ્રના ધારાસભ્યો હાથ જોડીને બેઠા રહ્યા
ધારાસભ્યની ટર્મ પાંચ વર્ષની હોય છે. રાજકોટ – અમદાવાદ વચ્ચે સીકસ લેન હાઇ વે રાજય સરકારની દેખરેખ હેઠળ બની રહયો છે. આ સીકસ લેન હાઇ વે તેની મુદત પુરી થયા બાદ વધારાના ચાર વર્ષ થઇ ગયા હોવા છતાં પુરો નથી થતો. તેના કોન્ટ્રાકટરો સાઇટ ઉપરથી સાધનો ઉપાડી જઇ બીજી સાઇટ ઉપર લઇ જાય છે. કોન્ટ્રાકટરોને આપેલા પૈસા વપરાઇ જાય છે. આપેલુ બજેટ કરોડો રૂપિયામાં વધી જાય છે છતાં કામ પુરુ નથી થતું. રસ્તા ઉપર ખાસ કરીને ચોમાસામાં કલાકોના ટ્રાફિક જામ થાય છે. આ હાઇ વે ઉપરથી રોજીંદા પસાર થનારા વાહનો, મુસાફર બસ, ટ્રક વગેરેની આવરદા ભંગાર રસ્તાઓને કારણે ટુંકી થાય છે. લાખો માનવ કલાકોનો વ્યય થાય છે. પેટ્રોલ અને અન્ય ઇંધણોનો વ્યય થાય છે. છતાં ઠંડા સ્વભાવના મુખ્યમંત્રીનું પાણી નથી હાલતું.સરકાર સૌરાષ્ટ્ર પ્રત્યે આવુ ઓરમાયુ વર્તન શા માટે રાખે છે એ સવાલ થાય ?
તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં રાજકોટ-અમદાવાદ સીકસ લેન હાઇ વે તેના નિયત સમય છતાં ચાર વરસ વધુ થઇ ગયા છતાં પૂરો કેમ નથી થયો તેનો સબંધિત મંત્રી વ્યવસ્થીત જવાબ આપે એવી અન્ડરલાઇન સાથે પ્રશ્ન ગેનીબેન ઠાકોર (સૌરાષ્ટ્રના ધારાસભ્ય નથી.) ગુજરાતના છે. તેમણે પૂછયો. સ્પીકરે પણ મંત્રીશ્રીને ગેનીબેન ઠાકોરના પ્રશ્નમાં અન્ડરલાઇન કરી કહયુ કે ગેનીબેન વ્યવસ્થીત જવાબ ઇચ્છે છે. બેન સૌરાષ્ટ્રના ધારાસભ્ય નથી છતાં સૌરાષ્ટ્રની પ્રજાની હાડમારી અંગે પ્રશ્ન પૂછે છે અને વ્યવસ્થીતજવાબ ઇચ્છે છે. આમ જુઓતો રાજકોટના ચાર ધારાસભ્ય અને સૌરાષ્ટ્રના તમામ યશસ્વી ધારાસભ્યોનું ગેનીબેને નાક કાપી લીધુ કહેવાય.
સૌરાષ્ટ્રની જનતાએ ખોબલે ખોબલે મત આપ્યા છતાં સૌરાષ્ટ્રના ધારાસભ્યોએ સૌરાષ્ટ્રના મતદારોની વફાદારી નથી કરી. કોઇ પ્રોજેકટ ચાર ચાર વરસ લટકયા કેમ કરે ? રાજકોટ અમદાવાદ સિકસ લેન સાથે તારાપુર ચોકડીથી વડોદરાના સિકસલેન પ્રોજેકટનું કામ શરૂ થયુ હતું. જે નિયત સમયમાં ત્રણેક વર્ષ પહેલાં પુરુ થઇ ગયુ છે. આ રસ્તા ઉપરથી તમને અમસ્તુ અમસ્તુ ફરવા જવુ પડે. પરંતુ રાજકોટ-અમદાવાદ માર્ગને રૂપાણી ગયા તેનું ગ્રહણ લાગ્યુ છે. કે સૌરાષ્ટ્રના યશસ્વી ધારાસભ્યોની વાત ગાંધીનગરમાં ગણકારવામાં આવતી નથી એ ખબર પડતી નથી. કોંગ્રેસ પણ એક સમયે આવા જ તોરમાં હતી. કોંગ્રેસી નેતાઓ પોતાને એક મુઠી ઉંચેરા સમજતાં હતાં. બિલકુલ આ જ રીતે ભાજપના ધારાસભ્યો હાલ લોકસભાની ર૬માંથી ર૬ બેઠક પાંચ પાંચ લાખ મતની જંગી સરસાઇથી જીતવાના યશોગાન ગાય છે. ચોમેર જયશ્રી રામના નારા લગાવી રહયા છે. પરંતુ સૌરાષ્ટ્રની પ્રજાને રામ આવી ગયા બાદ રામ રાજય મળ્યુ છે.? એક પ્રશ્ન ચાર ચાર વરસ સુધી લટકયા કેમ કરે ? ઇન્ટરનેશનલ એરપોર્ટ બને પણ ફલાઇટ લોકલ ઉડે. જુનું એરપોર્ટ બંધ થાય પણ વી.આઇ.પી માટે ચાલુ રહે. તેથી શહેરના ફનલ સહિતના વિકાસના પ્રશ્નો અટવાયા કરે. ગરીબોની વડાપ્રધાનના નામ સાથેની આવાસ યોજના તૈયાર થઇ જાય. તેનો કબજો ઉદઘાટનનું મુહુર્ત ન નીકળે એ કારણે ગરીબોને ન સોંપાય. આમાંથી કેટલાક આવાસો તો હજુ વસવાટ પહેલાં જ બિસ્માર થવા માંડે. એઇમ્સ હોસ્પિટલ તૈયાર થઇ જાય. તેને જોડતાં રસ્તાઓ વરસો સુધી અધુરા રહે. માધાપર બ્રિજ તૈયાર થઇ જાય. તેની એક બાજુના સર્વીસ રોડની જમીન હજુ પણ સંપાદિત ન થાય. લોકો લંગડા રસ્તા ઉપર રોંગ સાઇડ બાજુ ફરજિયાત ચાલે. મનપામાં આસપાસના ગામડાઓ ભળી જાય. મનપા આ ગામડાના લોકો પાસેથી વેરા વસુલવા માંડે. પણ પાણીની લાઇનો ન આપે. બગીચાઓ વેરાન હોય. નિશાળો ગમાણ જેવી હોય. રસ્તાઓ ખાડા ખબડાવાળા હોય. આ બધી સમશ્યા હોય. છતાં રામ રાજય અને પ્રજા સુખીની વાતો થાય. કદાચ સૌરાષ્ટ્રની પ્રજાની મશ્કરી થતી હોય એવુ લાગે. લોકો મૌન છે. સતા વધુ સશકત છે. પરંતુ પ્રજાની લાઠી મુંગી હોય છે. સતાના માધ્યમથી લોકોની સેવા કરવાની તક મળી છે ત્યારે ચુંટાયેલા ધારાસભ્યો,કોર્પોરેટરોને મળેલી તક ચુકી જશે તો ફરી તક મળે ન પણ મળે.