અનેક રસ્તાઓ પર કલાકો સુધી ચક્કાજામ : એમ્બ્યુલન્સો ફસાઇ
સાંઢીયાપુલના ડાયવર્ઝનમાં કલાકો સુધી લોકો ફસાયા : કેસરી પુલ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, મવડી ચોકડી, ક્રિષ્ના પાર્ક ચોકડી, મક્કમ ચોકડી, બસ સ્ટેશન સહિતના સ્થળોએ ટ્રાફિકની અરાજકતા
રાજકોટમાં ગઇકાલે રક્ષાબંધન પર્વ લોકો માટે ટ્રાફિકની હાડમારીનું પર્વ બની ગયું હતું. વિકાસની આંધળી દોટમાં આયોજન વગરના બાંધકામ રસ્તા અને ડાયવર્ઝનના કારણે શહેરના લતે-લતે ટ્રાફિકજામ થયો હતો. સાંઢીયાપુલ ડાયવર્ઝન, માધાપર ચોકડી, ૧૫૦ ફૂટ રીંગ રોડ, ક્રિષ્ના પાર્ક ચોકડી, મવડી ચોકડી, મક્કમ ચોક, કેસરી પુલ, બસ સ્ટેશન, ભૂતખાના ચોક, માલવીયા ચોક સહિતના રસ્તાઓ પર અસહય ટ્રાફિક જામ થયો હતો અને લોકોને રક્ષાબંધનના ઉત્સાહમાં જાણે ટ્રાફિકજામનું બંધન નડયું હતું. ભંગાર રસ્તા અને અણઘડ આયોજનના કારણે લોકોને હાડમારી ભોગવવી પડી હતી.
આ હાલતનો કાલે રક્ષાબંધનના તહેવાર પર હજારો લોકોએ અનુભવ કર્યો. તોબા પોકારી ગયા હતા. શું આ રીતે શહેરનો વિકાસ હોય? પ્રજાને યાતના આપીને થતા વિકાસને અમારે નથી જોઇતો. આવા ઉદગાર સવારથી રાત સુધી અહીં સર્જાયેલા ટ્રાફિક જામમાં ફસાયેલા વાહનચાલકોમાંથી સંભળાઇ રહયા હતા. અમુકના મોઢે તો એવુ સંભળાતુ હતુ કે, કાશ અહીંથી મેયર, કમિશનર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન, શાસક પક્ષના દંડક અને મનપાના અધિકારીઓને દરોજ પસાર થવાનું હોત તો ખબર પડે કે કેવી દોજખ પરિસ્થિતિ વચ્ચે વાહનચાલકોને નીકળવુ પડે છે.
જન્માષ્ટમીમાં પરિસ્થિતિ વધુ બગડશે
સામાન્ય દિવસોમાં પણ સાંઢિયાપુલ પાસે ભોમેશ્વર થઇને જે ડાયવર્ઝન કાઢવામા આવ્યુ છે ત્યા પીક અવર્સમાં નીકળવુ મુશ્કેલ બને છે. એમાયે હવે તો તહેવારના દિવસો શરૂ થયા છે. પુલનું કામ શરૂ થયુ એ પછી ગઇકાલે રક્ષાબંધનનો પ્રથમ તહેવાર હતો. હવે તો તહેવારના દિવસો શરૂ થયા છે. સાતમ-આઠમ, નવરાત્રિ, દીવાળી સુધી આવી જ હાલત રહેશે તેવી દહેશત નક્કી છે. એમાયે જો ધોધમાર વરસાદ પડે અને રેલનગર તથા પોપટપરા નાલુ સ્વીમીંગ પુલ બની જશે ત્યારે શું હાલત થશે?
ચક્કાજામમાં બે એમ્બ્યુલન્સ ફસાઇ
સાંઢિયાપુલનો રસ્તો એકમાત્ર સિવિલ હોસ્પિટલ તરફથી જવા માટેનો વિકલ્પ છે. ગઇકાલે રેલનગર અને બજરંગવાડી તરફથી સિવિલ હોસ્પિટલે જતી બે એમ્બ્યુલન્સ ભોમેશ્વર તરફના ડાયવર્ઝન રૂટ પર ફસાઇ હતી. એમ્બ્યુલન્સમાં દર્દી પણ મોજુદ હતા. સદનસીબે આઇસીયુવાન એમ્બ્યુલન્સ હતી એટલે દર્દીનો જીવ જોખમમાં મુકાયો ન હતો. પણ આઇસીયુ વાન વગરની એમ્બ્યુલન્સ હોત તો તેમા દર્દીને હોસ્પિટલે લઇ ગયા હોત તો દર્દીના જીવનું શું થાત? જો દદીનો જીવ ગયો હોત તો કોણ જવાબદાર હોત? આ બધા સવાલો વચ્ચે મનપાથી માંડી, ટ્રાફિક પોલીસ, કલેકટર સહિત સંબંધિત તમામ પ્રશાસન અને રેલવે બાબુઓએ તેની નિંભરતા છોડીને જનતાનો વિચાર કરી ટ્રાફિક સમસ્યા ન સર્જાય તેવુ સુચારુ આયોજન કરવુ જોઇએ.
શક્ય અને સરળ ઉપાય છે જ, અયપ્પા મંદિરથી આગળ નવુ ફાટક બને તો મોટી રાહત
હજારો વાહનચાલકોને ત્રણ વર્ષ સુધી આ હાડમારી વેઠવી પડે તેને ધ્યાને રાખીને ઉપાય અપનાવા યોગ્ય
કોઇપણ ગામડું હોય, મહાનગર હોય કે પછી નાનુ શહેર, તેના મેટ્રો વિકાસ માટે થોડા સમય માટે અગવડતાઓ સહન કરવી પડતી હોય જ છે, અને વિકાસ માટે સહન કરવાની જ હોય. તેની સામે કોઇ સવાલ કે વિરોધ ન જ હોવો જોઇએ. પણ હા, વિકાસમાં થોડી વિવેક બુધ્ધિથી કામ લેવામા આવે તો અગવડતામાં થોડી ઘણી રાહત જરૂર મેળવી શકાય છે તેમા પણ શંકા કે સવાલ કરવાને કોઇ સ્થાન નથી. સરળ અને સસ્તો ઉપાય એ છે કે, જામટાવર તરફથી સાંઢિયા પુલની ડાબી બાજુ અયપ્પા મંદિર અને પરસાણાનગરને ટચ થઇને સીધા જ સાંઢિય પુલના બીજા છેડે નીકળી શકાય તેવો વિકલ્પ શક્ય છે જ. તેના માટે ખુબ આસાન કહી શકાય તેવો વિકલ્પ એ છે કે, આ રસ્તે આવતા રેલવે ક્રોસીંગ પાસે એક નાનુ એવુ ફાટક બનાવવુ. ખર્ચ બહુ લાંબો નથી. મેનપાવરમાં પણ માત્ર એક ફાટકમેનને જ રાખીને લાખો લોકોની અગવડતામાં રાહત અને અબજો રૂપિયાના ઇંધણનો વ્યય અટકાવી શકી છે. બસ જરૂર છે પ્રબળ ઇચ્છાશક્તિ અને અગવડતામાંથી પણ ઉપાય કાઢવાની વિવેકબુધ્ધિની.