- ત્રણ વર્ષ પહેલાં બીમાર દીકરીની સારવાર માટે વ્યાજે લીધા હતા
- મૂડી અને વ્યાજની રકમ ચૂકવી છતાં ધમકી આપી ઉઘરાણી કરતા હતા
- આપી નાણા ચુકવી દીધા હોવા છતાં ઉઘરાણી કરી ધમકી આપતા હતા
રતનપરના નારણપરામાં રહેતા અને શાકભાજીની લારી ચલાવતા યુવાને 8 વ્યાજખોરો સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
જેમાં આ શખ્સોએ નાણા ધીરધારના કોઈપણ લાયસન્સ વગર ઉંચા વ્યાજે પૈસા આપી નાણા ચુકવી દીધા હોવા છતાં ઉઘરાણી કરી ધમકી આપતા હતા.રતનપરના નારણપરામાં 37 વર્ષીય પીન્ટુભાઈ લાભુભાઈ સાંતોલા રહે છે.
તેઓ શાકભાજીની લારી ચલાવી જીવન ગુજારે છે. ત્રણેક વર્ષ પહેલા તેમની દિકરી બીમાર હોય તથા પિતાની પણ સારવાર કરાવવાની હોય નાણાની જરૂરીયાત ઉભી થઈ હતી. આથી સૌ પ્રથમવાર રતનપરમાં રહેતા સંજય રાઠોડ પાસેથી રૂપીયા 1.60 લાખ માસીક 10 ટકાના ઉંચા વ્યાજે લીધા હતા. બાદમાં પરસોત્તમભાઈ ચાવડા પાસેથી 2 લાખ, કલ્પેશભાઈ રાજપુત પાસેથી 85 હજાર, સુખાભાઈ ડાંગર પાસેથી 40 હજાર, પ્રતીપાલસીંહ પાસેથી 40 હજાર, ભુપેન્દ્ર ઠક્કર પાસેથી 50 હજાર, ધીરૂભાઈ પાસેથી 30 હજાર અને બળવંતસીંહ મકવાણા પાસેથી 20 હજાર વ્યાજે લીધા હતા.
આ શખ્સોને અમુક રકમ મુડી અને વ્યાજ તરીકે આપી દેવા છતાં તેઓ ધમકી આપતા હતા. અને અમુક વ્યાજખોરો પાસે પીન્ટુભાઈએ આપેલ કોરાચેક હોઈ ધમકી આપતા હતા. આથી પીન્ટુભાઈએ આઠેય વ્યાજખોરો સામે જોરાવરનગર પોલીસ મથકે નાણા ધીરધારની કલમો સાથે ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.


