- JEE એડવાન્સ માટે ગાઇડલાઇન પ્રસિદ્ધ કરાઈ
- ચાલુવર્ષે આઇઆઇટી-મદ્રાસ દ્વારા આ પરીક્ષા લેવામાં આવશે
- ગુજરાતમાં કુલ 14 શહેરમાં પરીક્ષા વ્યવસ્થા ગોઠવાશે
દેશની ટોપ IIT ઈન્સ્ટિટયૂટમાં પ્રવેશ માટેની જેઈઈ-એડવાન્સને લઈ ગાઈડ લાઈન પ્રસિદ્ધ કરવામાં આવી છે. ચાલુવર્ષે આઇઆઇટી-મદ્રાસ દ્વારા આ પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા માટે આગામી તા. 21 એપ્રિલથી ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે અને 26મી મેના રોજ પરીક્ષા યોજાશે. પરીક્ષા માટે ગુજરાતમાં કુલ 14 શહેરમાં વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
ધો.12 પછી ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટે પહેલા તબક્કાની જેઇઇ-મેઇન પૂર્ણ કરી દેવામાં આવી છે. આગામી એપ્રિલ માસમાં બીજા તબક્કાની જેઇઇ-મેઇન લેવામાં આવશે. આ પરીક્ષામાં પ્રથમ અઢી લાખમાં સ્થાન મેળવનારા વિદ્યાર્થીઓે જેઇઇ-એડવાન્સ માટે લાયક ગણવામાં આવતાં હોય છે. કેટેગરી મુજબ જોઈએ તો ઓપન કેટેગરીમાં 96187 એટલે કે 101250 વિદ્યાર્થીઓને લાયક ગણવામાં આવશે. આજ રીતે ઇડબલ્યુએસ કેટેગરીમાં 23750 સાથે કુલ 25000 અને ઓબીસીમાં 64125 સાથે 67500 અને એસસી કેટેગરીમાં 35625 સાથે 37500 ઉમેદવારોને જેઇઇ-એડવાન્સ માટે લાયક ગણવામાં આવશે. જેઇઇ-એડવાન્સ માટે લાયક બનનારા વિદ્યાર્થિનીઓએ 1600 રૂપિયા, એસસી, એસટી, વિકલાંગ વિદ્યાર્થીઓને પણ રૂ.1600 અને અન્ય વિદ્યાર્થીઓએ રૂ.3200 રજિસ્ટ્રેશન ફી ભરવાની રહેશે. ગુજરાતમાં અમદાવાદ, આણંદ,ભાવનગર, ભૂજ, ગાંધીનગર, હિંમતનગર, જામનગર, જૂનાગઢ, મહેસાણા, રાજકોટ,સુરત, વડોદરા, વાપી અને વલસાડ સહિત 14 શહેરોમાં લેવામાં આવશે.


