- ક્ષત્રિય સમાજનો રોષ ઠારવા પ્રયાસો હજુ પણ ચાલુ
- ક્ષત્રિયોએ 24મીથી રાજ્યભરમાં ધર્મરથ કાઢવા તૈયારી કરી
- ક્ષત્રિય સમાજે આંદોલન શરૂ કરતાં ભાજપમાં આંતરિક હડકંપ જેવી સ્થિતિ
રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન-દીકરીઓને લઈ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેના વિરોધમાં રૂપાલાની ટિકિટ રદ્ કરવાની માગણી ન સંતોષાતા હવે ક્ષત્રિય સંકલન સમિતિએ આંદોલન પાર્ટ-2 શરૂ કર્યો છે, આ સ્થિતિને પગલે ભાજપના આગેવાનોએ ડેમેજ કંટ્રોલ માટે દોડધામ શરૂ કરી છે, અગાઉ રાજકોટ અને જામનગરમાં પણ બેઠકોનો દોર યોજ્યો હતો અને હવે ભાવનગર ખાતે પણ બેઠકો જામી છે. આ સાથે જ સંગઠનના આગેવાનો-હોદ્દેદારોને ભાજપ સંગઠન તરફથી વિવાદાસ્પદ નિવેદનો ટાળવા બાબતે સ્પષ્ટ તાકીદ કરી દેવાઈ છે.
ક્ષત્રિય સમાજે આંદોલન શરૂ કરતાં ભાજપમાં આંતરિક હડકંપ જેવી સ્થિતિ છે, મતદાનમાં કોઈ નુકસાની ના થાય તે માટે ભાજપે ડેમેજ કંટ્રોલ માટે પ્રયાસો હાથ ધર્યા છે, ક્ષત્રિય સંકલન સમિતિના એલાન બાદ ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે પરંતુ મતદાન પર કોઈ અસર ના થાય તે માટે ભાજપે પ્રયાસો હાથ ધર્યા છે. ક્ષત્રિય આગેવાનો સાથે પણ બેઠકો જામી છે, જેમાં રૂપાલાએ માફી માગી હોવાથી મોટું મન રાખી માફ કરવા સહિતના મુદ્દા આગળ ધરાઈ રહ્યા છે. આ તરફ ક્ષત્રિય સમાજના આગેવાનોએ 24મી એપ્રિલથી રાજ્યના તમામ આસ્થા કેન્દ્રો પરથી ધર્મરથ કાઢવા તૈયારી શરૂ કરી છે, અમદાવાદના ગોતા ખાતે અન્ય સમાજની બહેનો પણ ઉપવાસમાં જોડાશે. ક્ષત્રિયો દ્વારા શરૂ કરાયેલા આંદોલનને ખાળવા માટે ભાજપ હાઈકમાન્ડે આકાશ-પાતાળ એક કરી રહ્યા છે. ક્ષત્રિય નેતાઓને સમજાવટના અનેક રસ્તાઓ ચાલુ રાખ્યા છે. હજુ પણ ક્ષત્રિય આંદોલન પુરૂં થવાનું નામ લેતું નથી. બીજી તરફ જેમ જેમ મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યભરમાં એક જ સવાલ ઊઠી રહ્યો છે રૂપાલાનું શું થશે?


