બપોરે ૪.૧૦, ૪:3૦ અને રાત્રે ૮:૫૦ વાગે ૧.૫ની તિવ્રતાથી ધરતી ધ્રુજી : લોકોમાં ગભરાટ
અગ્ર ગુજરાત, અમરેલી
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મીતીયાળા પંથકમાં આજે કુદરતી આફતનો ડર ફરી જોવા મળ્યો છે. મીતીયાળા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં એક જ દિવસમાં પાંચ કલાકના ટૂંકા ગાળામાં સતત ત્રણ વખત ધરતીકંપના આંચકા અનુભવાયા છે. વારંવાર ધ્રૂજતી ધરાને કારણે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
આજે બપોરે 4:10 વાગ્યે પ્રથમ આંચકો અનુભવાયો હતો, ત્યારબાદ મિનિટોના અંતરે 4:30 વાગ્યે બીજો આંચકો આવ્યો હતો. આ બે આંચકાઓ બાદ શાંતિ જણાતી હતી ત્યાં જ રાત્રે 8:50 વાગ્યે ફરી એકવાર 1.5ની તીવ્રતાનો ત્રીજો આંચકો અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી વિભાગ દ્વારા આ આંચકાઓની પુષ્ટિ કરવામાં આવી છે. જોકે, આંચકા હળવી તીવ્રતાના હોવાથી અત્યાર સુધી કોઈ જાનહાનિ કે સંપત્તિના નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી.
ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ તાત્કાલિક રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જિલ્લા વહીવટી તંત્રને આ અંગે માહિતગાર કર્યા છે. ધારાસભ્યએ જણાવ્યું હતું કે, મીતીયાળા પંથકમાં વારંવાર આવતા આ આંચકાઓને કારણે લોકોમાં ભયનું વાતાવરણ છે અને તંત્ર દ્વારા આ બાબતે જરૂરી ટેકનિકલ તપાસ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. સતત આવતા આંચકાઓને કારણે વન્ય પ્રાણીઓ પણ વિચલિત થયા હોવાનું મનાઈ રહ્યું છે.


