- પાછળ ટ્રક લઈને આવતા ભાઈએ મોબાઈલ પર કોલ કરતા નહીં ઉપાડતા GPSથી પત્તો મેળવી સ્થળ પર પહોંચ્યા
- એક ટ્રકના ચાલકને હ્રદયરોગનો હૂમલો આવતા તેની લાશ કેબીનમાંથી મળી હતી
- મુંબઇથી મીઠાપુર જવા નિકળેલા ટેન્કર ચાલકને રાતના સમયે છાતીમાં દુખાવો ઉપડતા તે બેભાન હાલતમાં પડી ગયા હતા
ઝાલાવાડમાં ગરમીનો પારો છેલ્લા એક સપ્તાહથી સતત ઉંચે જતા લોકોને લૂ લાગવાના, સ્ટ્રોકના બનાવોનું પ્રમાણ પણ વધવા પામ્યું છે ત્યારે સાયલા હાઇવે પર એક ટ્રકના ચાલકને હ્રદયરોગનો હૂમલો આવતા તેની લાશ કેબીનમાંથી મળી હતી.
વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ સાયલા હાઇવે પર મુંબઇથી મીઠાપુર જવા નિકળેલા ટેન્કર ચાલકને રાતના સમયે છાતીમાં દુખાવો ઉપડતા તે બેભાન હાલતમાં પડી ગયા હતા. પાછળ ટ્રક લઇને આવી રહેલા તેમના ભાઇએ મોબાઇલ કોલ કરતા નહીં ઉપાડતા જીપીએસ તપાસતા સાયલા ઓવરબ્રીજ નીચેનું લોકેશન આવતા ત્યાં સવારે પહોંચી જોતા ચાલક ધુરઇ જગન્નાથ યાદવ ઉ.વ.60 બેભાન હાલતમાં પડેલા મળી આવતા તુરંત 108 એમ્બ્યુલન્સ બોલાવાઇ હતી. પરંતુ તેમનું પ્રાણ પંખેરુ ઉડી જતા તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. આ બાબતે મૃતક ધુરઇ યાદવના ભાઇ શ્રાવણ યાદવના જણાવ્યા અનુસાર બન્ને ભાઇઓ ટેન્કર ચલાવે છે ત્યારે મૃતક એક દિવસ પહેલા મીઠાપુર જવા નિકળેલા હતા તેમજ સવારે તેમનો ફોન સંપર્ક નહીં થતા ટ્રકના જીપીએસથી લોકેશન પ્રાપ્ત કરી સાયલા પહોંચતા તેઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. મુળ યૂપીના વતની અને હાલ મુંબઇ રહેતા યાદવ પરિવારના આધેડના મોત વિષે ફરજ પરના તબીબે જણાવ્યા મુજબ તેમનું મૃત્યુ હાર્ટએટેક આવવાથી થયું હોઇ શકે છે તેમજ રાતે મોત નિપજયા બાદ ટ્રકમાં જ ઢળી પડયા હશે. પોલીસે આ બાબતે મૃતકના ભાઇ સહિતના નિવેદનો નોંધી લાશને પોસ્ટમોર્ટમ કરાવી પરિવારને સોંપી હતી.


