પીએસએલવીનું 60મુ સફળ ઉડ્ડયન પહેલી જાન્યુઆરીએ સવારે થયું એ જાણે રાબેતા મુજબનું હોય એટલું સજ્જ ઇસરો થઈ ચૂક્યું છે, ત્યારે ભૂમિ પર દોડશે ઇલેક્ટ્રિક સિટી રીક્ષા?
એક પછી એક અવકાશી છલાંગ ઇસરો મારતું રહે છે. તેના કાર્યક્રમો એટલા નિયમિત અને નિર્ધારિત છે કે દરેક મિશન રાબેતા મુજબનું અને સહજ થઈ ગયું છે. 2024ના વર્ષની શરૂઆતે પહેલી જાન્યુઆરીએ સવારે સવા નવ વાગ્યે વધુ એક પીએસએલવી રોકેટ અવકાશ તરફ વછૂટ્યું. તેનું નામ રખાયું છે એક્સપોસેટ એટલે કે એક્સ-રે પોલારીમીટર સેટેલાઇટ. 650 કિમી ઉપર ભ્રમણકક્ષામાં આ સેટેલાઇટ ગોઠવી દેવાયો છે. અનંત અવકાશમાં રહેલા રહસ્યમયી બ્લેક હોલના સંશોધન માટે આ સેટેલાઇટ ગોઠવાયો છે. ચંદ્ર મિશન અને આદિત્ય મિશન વિશે વિગતવાર લખાયું છે. આદિત્ય મિશન હેઠળ અવકાશયાન સતત સૂર્ય સામે તાકીને તેની માહિતી મોકલવા લાગ્યું છે. આ સેટેલાઇટને હવે કાર્યરત કરાશે અને સૂર્યના કિરણોથી જરા દૂર નજર નાખીને અંધારિયા અવકાશમાં બ્લેક હોલને તાકવાની કોશિશ થશે.
બ્રહ્માંડ આજેય એટલું જ રહસ્યમયી છે. આપણે જેટલું સમજતા જઈએ છીએ એટલું વધારે વિસ્મય થાય છે. નવું જાણીએ એટલા નવા સવાલો પણ ઊભા થાય. બ્લેક હોલ તો પ્રકાશને પણ પોતાનામાં ગળી જતો હોય ત્યારે તેને સમજવાનું સૌથી અઘરું છે. પણ તેને સમજવું જરૂરી પણ છે. કેમ કે સમગ્ર બ્રહ્માંડનો ઉદભવ, તેનું વર્તમાન અને ભવિષ્ય શું હશે તેનો એક અંદાજ માનવજાત મેળવવા માટે હંમેશા મથતો રહ્યો છે.
બ્રહ્માંડની સાથે જ આપણે જે ભૂમિ પર વસ્યા છીએ તેના પણ વર્તમાન અને ભવિષ્યને વધારે સારી રીતે સમજવાની જરૂર છે. દેશ, સમાજ અને જીવનમાં કેટલાક વિરોધાભાસ કાયમ રહે છે. સતત પરિવર્તન એ સંસારનો નિયમ છે, પણ કેટલુક જાણે સમયમાં સ્થિર થઈ જતું હોય તેવું પણ આપણે જોઈએ છીએ. ભૂલોમાંથી આપણે શીખીએ છીએ ઓછું, પુનરાવર્તન વધારે કરીએ છીએ. ભૂલો વારંવાર કરીએ છીએ.
એવી એક ભૂલ એટલે આયોજનની ભૂલ. હકીકતમાં આયોજનનો અભાવ એ વધારે બંધબેસતો શબ્દ છે. સરકારી કામકાજમાં જ શા માટે, આપણા પોતાના જીવનમાં પણ આયોજનનો અભાવ હોય છે. આયોજન થઈ જાય ત્યારે તેમાં અધૂરપ હોય છે અને ભૂલોનું પુનરાવર્તન હોય છે. દાખલા તરીકે જાહેર પરિવહન માટે મોટા ભાગે આયોજનનો અભાવ રહ્યો છે અને આયોજન થયું છે તે ઢંગધડા વિનાનું થતું રહ્યું છે. આજે પણ એ જ થઈ રહ્યું છે. અવકાશયાત્રા સરળ બનવા લાગી છે, પણ શહેરની અંદર જ ઘરેથી કામના સ્થળે જવા, ઘરેથી માર્કેટમાં જવા કે એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જવા માટેની યાત્રા વધુને વધુ વિકટ બની રહી છે. ટ્રાફિક એ આધુનિક માનવીની સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. મેટ્રો પ્રચારમાં બહુ ઉપયોગી છે એટલે બને છે. તેમાં કરોડો રૂપિયા વેડફાઇ જાય છે. તેનાથી ભાગ્યે જ પરિવહનનો પ્રોબ્લેમ દૂર થાય છે. અમદાવાદ જેવા શહેરમાં પણ બીઆરટીએસ ઊણી ઉતરી છે ત્યારે તેની કરીને સુરત અને રાજકોટમાં પણ બનાવવા પાછળ કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા. નવા વર્ષે આશા રાખીએ કે આ દિશામાં નવેસરથી વિચારવામાં આવે. ફોટામાં અને વીડિયોમાં સારું દેખાય, ભવ્ય રીતે પ્રચાર કરી શકાય કે વિકાસ કર્યો છે માત્ર એ જ લક્ષ્યથી આવી યોજનામાં કરોડો વેડફાઈ જાય છે. તેના બદલે લોકોને પૂછીને, ખરેખર જેમણે શહેરમાં હરફર કરવાની છે તેમની પાસેથી જાણીને, જાહેર પરિવહનમાં શું કરી શકાય તે નક્કી કરવું જોઈએ. જરૂર પડે તો સિટી બસની જેમ સિટી રીક્ષા – ઇલેક્ટ્રિક સિટી રીક્ષા પણ સરકાર ચલાવી શકે છે, પણ તેના પ્રચારમાં માભો ના પડે એ મુશ્કેલી છે. એ મુશ્કેલીનું નિવારણ નવા વર્ષમાં આવશે ખરું. જોતા રહેજો અને વિચારતા રહેજો.