- મોટીમાત્રામાં વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરાયા
- અમદાવાદના છ વેપારીઓને ત્યાં પણ મોડી રાત સુધી સર્ચ કરાયું
- આઇસક્રીમ બનાવવાની પ્રોસેસ ઉપરાંત કેટલો સ્ટોક કરાયો છે તેનુ ક્રોસ વેરિફિકેશન
અમદાવાદ સહિત રાજ્યભરમાં 12 સ્થળે આઇસ્ક્રીમના વેપારીઓને ત્યાં સ્ટેટ જીએસટીના અધિકારીઓ દરોડાના કામગીરી કરતા આઇસક્રીમના વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. બપોર બાદ અમદાવાદમાં છ સ્થળે અને બીજા રાજ્યના છ સ્થળે દરોડા પાડવામા આવ્યા હતા. દરોડા દરમ્યાન મોટીમાત્રા વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરાયા છે.
સ્ટેટ જીએસટી વિભાગે માર્ચ મહિના પછી વિરામ લીધો હતો ત્યાર બાદ અચાનક આઇસક્રીમના વેપારીઓને ઝપટમાં લીધા છે. ઉનાળામાં આઇસક્રીમનો વપરાશ વધારે હોવાથી જાણીતી બ્રાન્ડ સહિત રાજ્યમાં પ્રાઇવેટ કંપનીઓ પણ આઇસક્રીમ બનાવતા હોય છે.તેમના ત્યાં પણ દરોડા પાડવામા આવી રહ્યા છે. આઇસક્રીમ બનાવવાની પ્રોસેસ ઉપરાંત કેટલો સ્ટોક કરાયો છે અને કેટલુ વેચાણ કરાયુ છે તેનુ ક્રોસ વેરિફિકેશન ચાલી રહ્યુ છે. જીએસટીની ચોરી મોટાપાયે થઇ હોવાનુ પ્રાથમિત તપાસમાં જાણવા મળ્યુ છે.
અંડર બીલીગ પણ મોટાપાયે કરાય છે. ઉનાળામાં બહાર આઇસક્રીમ ખાવા જતા લોકો બીલ લેતા હોતા નથી જેના કારણે નફાની આવક ચોપડે બતાવવામા આવતી નથી. ખોટી એન્ટ્રી પાડીને નફાની રકમ સરભર કરી દેવાઇ છે. અમદાવાદમાં સ્ટેડિયમ રોડ અને સી.જી. રોડ પર બે વેપારીઓ તેમની પોતાની બ્રાન્ડનો આઇસક્રીમ બનાવીને વેચાણ કરે છે જેનો કોઇ હિસાબ રાખતા નથી. ત્રણ મહિનામાં કેટલુ વેચાણ કર્યુ અને આઇસક્રીમ બનાવવા માટે કેટલા પ્રમાણમાં ડ્રાયફ્રુટનો ઉપયોગ કરાયો તેની માહિતી પણ મેળવવામા આવી રહી છે.


