- કેનાલના પાણી પ્રશ્ને તકરાર થતા ધારિયા વડે માર માર્યો
- મહિલા સહિત 4 સામે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
- અપશબ્દો કહી ઢીકાપાટુનો તથા લોખંડના ધારીયા વડે માર માર્યો
વઢવાણ તાલુકાના બાળા ગામની સીમમાં કેનાલમાંથી મશીન વડે પાણી લેતા સમયે બાજુના મશીનવાળા ખેડુતનું પાણી નહી આવવા દેવાનું કહેતા મામલો બીચકાયો હતો.
જેમાં મહિલા, પિતા અને બે ભાઈઓએ વૃધ્ધ ખેડૂતને લોખંડના ધારીયા વડે માર મારી ઈજા પહોંચાડી હતી. એથી વૃધ્ધ ખેડૂતને સારવાર અર્થે તુરત જ સુરેન્દ્રનગર શહેરની સી.યુ. શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.
બનાવ અંગેની પોલીસ સુત્રો પાસેથી વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ વઢવાણ તાલુકાના બાળા ગામે 66 વર્ષીય રમણીકભાઈ ભુરાભાઈ વડેખણીયા રહે છે. તેમની બાળા ગામની સીમમાં ખેતીની જમીન આવેલી છે. ગત તા. 17મી જુનના રોજ તેઓ સવારે ખેતરે કામ કરતા હતા. જેમાં પાણીની જરૂર હોય તેઓ ખેતર નજીક આવેલ નર્મદા કેનાલે ગયા હતા. જયાં તેમનું મશીન મુકેલુ હોય તેઓ ચાલુ કરવા ગયા હતા. આ સમયે તેમના મશીન પાસે બાજુમાં કોઠારીયાના રામજીભાઈ લકુમનું પાણી લેવાનું મશીન હતુ. જેનું પાણી રમણીકભાઈના મશીન પાસે ઢોળાયેલ હતુ. આથી રમણીકભાઈએ હાજર ભાઈ-બહેન ચંદ્રીકાબેન રામજીભાઈ લકુમ અને દશરથભાઈ રામજીભાઈ લકુમને તમારા મશીનનું પાણી અમારા મશીન બાજુ ન આવવા દેશો, ચાલુ કરવામા તકલીફ થાય છે. તેમ કહેતા બન્ને ઉશ્કેરાયા હતા. અને અપશબ્દો કહી ઢીકાપાટુનો તથા લોખંડના ધારીયા વડે રમણીકભાઈને માર માર્યો હતો. થોડીવારમાં રામજીભાઈ લકુમ અને તેમનો બીજો દીકરો પણ આવી જતા તેઓએ પણ અપશબ્દો કહી રમણીકભાઈ સાથે મારામારી કરી હતી. રમણીકભાઈને ઈજા થતા સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ લઈ જવાયા હતા. આ બનાવની વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ગુનો નોંધીને વધુ તપાસ એએસઆઈ એ.વી.દવે ચલાવી રહ્યા છે.


