- સુરેન્દ્રનગરની દરેક સોસાયટી, મહોલ્લામાં રાત્રી બેઠકોનો ધમધમાટ
- સુરેન્દ્રનગરમાં વીજ કંપનીના સ્માર્ટ મીટરોથી લોકોમાં આક્રોશ જોવા મળ્યો
- 100થી વધુ પરીવારોએ પોતાના ઘરે સ્માર્ટ મીટર ન લગાવવાની પ્રતીજ્ઞા લીધી
સુરેન્દ્રનગરમાં વીજ કંપની દ્વારા હાલ સ્માર્ટ મીટરો લગાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. શહેરમાં 900થી વધુ રહેણાક મકાનોમાં સ્માર્ટ મીટરો લાગ્યા છે. ત્યારે સ્માર્ટ મીટરોમાં ધડાધડ યુનીટો બળતા હોવાની રાવ ઉઠી છે. જેમાં રવિવારે રાત્રે શહેરની સંત સવૈયનાથ સોસાયટીમાં 100થી વધુ પરીવારોએ પોતાના ઘરે સ્માર્ટ મીટર ન લગાવવાની પ્રતીજ્ઞા લીધી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં યુજીવીસીએલ વીજ કંપની દ્વારા જુના-પુરાણા મીટરોની જગ્યાએ નવા સ્માર્ટ મીટરો લગાવવામાં આવી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજે 900થી વધુ રહેણાક મકાનોમાં હાલ સ્માર્ટ મીટર લાગ્યા છે. સુરેન્દ્રનગરમાં લાગેલા સ્માર્ટ મીટરોમાં ધડાધડ યુનીટ બળતા હોવાની રાવ ઉઠી હતી. જુના મીટરોમાં દરરોજ અંદાજે 18થી 20 યુનીટ બળતા હતા. જયારે નવા સ્માર્ટ મીટરો લાગ્યા પછી દરરોજ 65 થી 70 યુનીટ બળી જાય છે. ઘરના અન્ય ઉપકરણો બંધ કરીને માત્ર ફ્રીઝ ચાલુ રાખીએ તો પણ એક કલાકે એક યુનીટ બળે છે. આમ માત્ર ફ્રીઝના જ 24 કલાકમાં 24 યુનીટ થઈ જાય છે. રાજયના અન્ય શહેરોની જેમ સુરેન્દ્રનગરમાં પણ સ્માર્ટ મીટર બાબતે લોકોમાં રોષ જોવા મળે છે. થોડા દિવસ પહેલા આ બાબતે વીજ કંપનીની સર્કલ કચેરીએ લેખીત રજુઆત કરાઈ હતી. બીજી તરફ સ્માર્ટ મીટર બાબતે લોકો જાગૃત થાય તે માટે રાત્રી બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેમાં શહેરની સંત સવૈયાનાથ સોસાયટીમાં રવીવારે રાત્રે બેઠક યોજાઈ હતી. જેમાં રાજુભાઈ કરપડા, કમલેશભાઈ કોટેચા, વિક્રમભાઈ દવે, અમૃતભાઈ મકવાણા સહિતનાઓએ ઉપસ્થીત 100થી વધુ પરીવારોને સ્માર્ટ મીટર અંગે માહીતી આપી હતી. અને આ મીટરો લગાવવાની થતા ફાયદા વિશે સમજાવનારા ફુટી નીકળ્યા છે. તેમનાથી લોકોને ચેતવા જણાવ્યુ હતુ.


