નવી દિલ્હીમાં વિપક્ષના નેતાઓની બેઠક મળવાની છે તેમાં આપ અને કોંગ્રેસ વચ્ચે મનમેળ થાય કે નહીં, ગુજરાતમાં બંને પક્ષના એક પછી એક ધારાસભ્યો ખડી રહ્યા છે
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલાં ઓપરેશન કમલ ખીલતું હતું, પણ હવે મોસમ બદલાઈ છે. આ વખતે રાજ્યસભા પહેલાં કોઈ ઓપરેશન કરવાની જરૂર રહી નથી. બંને બેઠકો ભાજપને મળશે અને કોંગ્રેસ ઉમેદવાર પણ ઊભો રાખવાની તસદી નહીં લે. એટલે આ વખતે હવે લોકસભા પહેલાં રાજ્યમાં ભાંગફોડ શરૂ થઈ છે. આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું તે પછી ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે પણ રાજીનામું આપી દીધું.
તેમની સવારથી ચાલુ થયેલી સ્ક્રિપ્ટ સ્પષ્ટ ચિત્ર આપે છે કે તેઓ ભાજપમાં જઈને જોડાશે. તે માટેનું મૂરત નક્કી થશે ત્યારની વાત ત્યારે, કેમ કે તે પહેલાં હજી પણ થોડા ધારાસભ્યોને તોડી નાખવામાં આવશે તો તેની નવાઈ નહીં લાગે.
ગુજરાતમાં બે મુદતથી લોકસભામાં સો ટકા રિઝલ્ટ મળે છે ત્યારે બેઠકો મેળવવાની બહુ ચિંતા નથી. ગુજરાતમાંથી આ વખતે લીડનો રેકર્ડ કરવાનો છે એવી વાતો ચાલતી થઈ છે. તે માટે વિપક્ષના મતો પણ જોડવા પડે અને એટલે વિપક્ષમાંથી જેટલા ધારાસભ્યો મળે તેટલાને લઈ લેવાનો વ્યૂહ અપનાવાયો હોય તો નવાઈ નહીં.
રાજકીય પક્ષો એક બીજાને મહાત કરવા માટે પ્રયાસો કરે તે રાજકારણ છે એટલે વિપક્ષે આમાં લડવાનું છે તે વાત કહીને આપણે બેસી જઈશું તો ચાલશે ખરું? વિપક્ષમુક્ત રાજકારણ કેવું હશે તેની થોડી કલ્પના કરો.
વિપક્ષ તરીકે મુદ્દાઓ ઉઠાવવાના હોય, પરંતુ હમણાં ગુજરાતમાં એવી સ્થિતિ પણ જોવા મળે છે કે સવાલો અને કામ નથી થતાની ફરિયાદ ભાજપના ધારાસભ્યો, કે સાંસદો, કે સંગઠનના હોદ્દેદારો કે સિનિયર નેતાઓ કરતા હોય છે. લોકશાહીમાં એ પણ સારી નિશાની છે કે શાસક પક્ષના સભ્યો પણ બ્યૂરોક્રસી સામે સવાલ ઊઠાવે. અધિકારીઓ શાસક પક્ષના નેતાઓને ગાંઠતા ના હોય ત્યારે તંત્ર કેટલું નિંભર છે તેના પુરાવા પણ આપણને મળે.
પુરાવા મળી જાય, પણ પછી કેસ ચાલે જ નહીં અને તારીખ પે તારીખ પડતી રહે તેવા તંત્રમાં કે સિસ્ટમમાં શું કરવાનું રહે? એક પછી એક ચૂંટણી વીતતી જાય અને વિપક્ષ રાજ જ જોતો રહી જાય… જમાના પ્રમાણે વિપક્ષે પણ એ સમજવું પડે તેમ છે કે પ્રજા જ દર વખતે જાગે અને તમને જીતાડે તેવું જરૂરી નથી. તમારે પણ સજ્જ થવું પડે, તમારા સભ્યો જતા રહે છે તેના કારણો પણ તપાસવા પડે અને જનારા અને જવા માગનારા લોકો સામે કેવો પ્રતિસાદ આપવો તેની એક સ્ટ્રેટેજી પણ ઘડવી પડે.
થાય છે એવું કે ચૂંટણી નવી આવી જાય ત્યારે સ્ટ્રેટેજી એની એ જ જૂની હોય છે. લોકસભા 2024માં કંઈક અલગ કરીશું તે માટે કેટલાય મહિનાથી ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ મંથન કરી રહ્યા છે, પણ તેમાંથી કંઈ નિપજતું હોય તેમ લાગતું નથી. તેમની હજી તો બેઠકો જ થઈ રહી છે કે નેક્સ્ટ બેઠકો ક્યારે કરવી, જ્યારે ભાજપની આગેવાનીમાં એનડીએ ગઠબંધને ઓલરેડી 2024ની ચૂંટણી માટેની સ્ટ્રેટેજીનો અમલ શરૂ કરી દીધો છે.